27 કરોડના ઋષભ પંત અંગે લખનઉના મેન્ટર ઝહીર ખાને આપ્યું નિવેદન, ક્ષમતા અંગે શંકા નહીં

લખનઉ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની વર્તમાન સીઝનમાં ઋષભ પંતે અપેક્ષા મુજબ પ્રદર્શન કર્યું ન હતુ છતાં લખનઉ સુપર જાયન્ટ્સના મેન્ટર ઝહીર ખાને કહ્યું હતું કે આ વિકેટકીપર બેટ્સમેનની ક્ષમતા અને યોગ્યતા અંગે ક્યારેય કોઈ શંકા નહોતી.
મેગા ઓક્શનમાં 27 કરોડ રૂપિયાની જંગી કિંમતે ખરીદવામાં આવેલા પંતે 13 ઇનિંગ્સમાં માત્ર 269 રન ફટકાર્યા હતા. તેણે સીઝનની ટીમની છેલ્લી મેચમાં 61 બોલમાં 118 રન કર્યા હતા પરંતુ તેમ છતાં તેની ટીમને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: ઋષભ પંતે આઈપીએલ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન, આકર્ષણ સ્વાભાવિક પણ…
ઝહીરે મેચ પછી પત્રકારોને જણાવ્યું હતું કે તેણે કેપ્ટન તરીકે ખરેખર સારું પ્રદર્શન કર્યું. આ અમારા માટે આખી સીઝન દરમિયાન એક સકારાત્મક પાસું હતું. બેટ સાથેનું તેનું પ્રદર્શન ચોક્કસપણે તેના માટે શીખવાનો અનુભવ હતો કારણ કે આ સીઝન તેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. તેણે કહ્યું હતું કે પરંતુ કોઈને તેની ક્ષમતા અને યોગ્યતા પર કોઈ શંકા નહોતી.
ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલરે કહ્યું કે આ આક્રમક વિકેટકીપર બેટ્સમેનને શાનદાર પ્રદર્શન સાથે સીઝનનો અંત કરતા જોવાથી સારુ લાગ્યું છે. અમને ખુશી છે કે તેણે સીઝનનો અંત ખૂબ જ સારા પ્રદર્શન સાથે કર્યો. તેની ક્ષમતા એવી છે અને તે રમત પર મોટો પ્રભાવ પાડી શકે છે.
આ પણ વાંચો: ઋષભ પંતને મળી શકે છે મોટું સન્માનઃ ‘લૉરિયસ વર્લ્ડ કમબેક’ એવોર્ડ માટે નોમિનેટ
નોંધનીય છે કે આ સીઝન લખનઉ માટે નિરાશાજનક રહી અને તે છ જીત અને આઠ હાર સાથે સાતમા સ્થાને રહી હતી. મુખ્ય બોલરોને ઈજાઓ થવાને કારણે ટીમે તેની લય ગુમાવી દીધી હતી.
ઝહીરે કહ્યું જ્યારે તમે IPL સીઝન શરૂ કરો છો ત્યારે તમારું પહેલું લક્ષ્ય પ્લેઓફ વિશે વિચારવાનું હોય છે કે તમે ત્યાં કેવી રીતે પહોંચશો. અમારા કેટલાક મુખ્ય બોલરો ઈજાને કારણે બહાર હતા અને અમે આ પડકારોનો સામનો કરવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કર્યો. અમારા બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું અને આ અમારા માટે એક સકારાત્મક પાસું હતું.