
બેંગલુરુ : આઈપીએલનો ખિતાબ જીત્યા બાદ આરસીબીના વિજયની ઉજવણી દરમિયાન ભાગદોડના કેસમાં પોલીસે કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન (KSCA)પર કેસ નોંધ્યો છે. તેમજ આજે આરસીબીના માર્કેટિંગ મેનેજર સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ દરમિયાન કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશન હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. જેમાં એસોસિએશને એફઆઈઆર રદ કરવાની અપીલ કરી છે.
એફઆઇઆર દાખલ કરવી અન્યાયી
આ અરજી કર્ણાટક રાજ્ય ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રઘુરામ ભટ, સેક્રેટરી એ. શંકર અને ટ્રેઝરર ઇ.એસ. જયરામ દ્વારા દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે એસોસિએશનના કાર્યક્રમ માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને ભીડ નિયંત્રણ અંગે નિર્ધારિત માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું હતું. ત્યારે એફઆઇઆર દાખલ કરવી અન્યાયી છે. આ અરજીની સુનાવણી આજે બપોરે કર્ણાટક હાઇકોર્ટના જસ્ટિસ કૃષ્ણ કુમારની બેન્ચ દ્વારા કરવામાં આવશે.
એફઆઈઆરમાં ગુનાહિત બેદરકારીની ઉલ્લેખ
પોલીસે ગુરુવારે બેંગલુરુમાં ભાગદોડ કેસમાં RCB,DNA (ઇવેન્ટ મેનેજર), KSCA વહીવટી સમિતિ અને અન્ય લોકો સામે ક્યુબન પાર્ક પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ એફઆઈઆર ભાગદોડની ઘટનામાં ગુનાહિત બેદરકારી અંગેની છે. જેમાં પોલીસે નોંધેલી એફઆઇઆરમાં કલમ 105, 125 (1)(2), 132, 121/1, 190 R/W 3 (5) હેઠળ નોંધવામાં આવી છે.
પોલીસ અધિકારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા
ઉલ્લેખનીય છે કે, આઇપીએલ 2025માં આરસીબીએ ટાઇટલ જીત્યા બાદ જીતની ઉજવણી દરમિયાન બુધવારે બેંગલુરુમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. જેની બાદ સરકાર એક્શન મોડમાં છે. તેમજ ગુરુવારે સાંજે સરકારે શહેર પોલીસ કમિશ્નર સહિત અનેક પોલીસ અધિકારીઓને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા છે.
આ પણ વાંચો – લગ્નની પ્રપોઝલ આવતાં છોકરી જોવા ગયો, પણ પછી સ્ટેડિયમ પર પહોંચી ગયો જીવ ગુમાવ્યો!
આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ
સરકારના આદેશ પર હવે આજે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરસીબી માર્કેટિંગ હેડ નિખિલ સોસલે સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિખિલ મુંબઈ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.