
જામનગર : ગઈકાલે, ૩ જૂન, ૨૦૨૫ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2025ની રોમાંચક ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમે પંજાબ કિંગ્સ સામે પ્રચંડ જીત મેળવીને પ્રથમ IPL ટાઇટલ જીતવાનો ઇતિહાસ રચ્યો છે. આ ઐતિહાસિક જીત બદલ જામનગરના જામસાહેબે RCBની ટીમને અને ખાસ કરીને સ્ટાર ખેલાડી વિરાટ કોહલીને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવી છે. આ સાથે જ, ફાઇનલ મેચ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા ફ્લાય પાસ્ટ કરતબના પણ તેમણે ખૂબ વખાણ કર્યા છે. જોકે, એરફોર્સના ફ્લાય પાસ્ટમાં ભાગ લેનારા સ્કવોડ્રન અને વિમાન અંગે કોઈ પ્રકાશ પાડવામાં ન આવતા, તેમણે આશ્ચર્ય સાથે આભાર વ્યક્ત કર્યો છે.
“મારું દિલ અને આત્મા બેંગલુરુ માટે છે”
RCBની આ પ્રથમ IPL ટ્રોફી જીત બાદ ટીમના સ્ટાર ખેલાડી અને આઇકોન વિરાટ કોહલી ભાવુક જોવા મળ્યો હતો. બેંગ્લોરની જીત બાદ કોહલીએ જણાવ્યું કે, “મેં મારું બધું આ ટીમને આપી દીધું છે. આમાં મારી નાની ઉંમરથી લઈને અત્યાર સુધીનો મારો સંપૂર્ણ અનુભવ સામેલ છે.” તેણે આગળ કહ્યું કે, “મારું દિલ અને આત્મા બેંગલુરુ માટે છે.” વિરાટ કોહલીએ આ જીતને જેટલી ટીમની છે તેટલી જ ચાહકો માટે પણ ગણાવી હતી. તેણે ઉમેર્યું કે, “આઇપીએલને ૧૮ વર્ષ પૂર્ણ થયા છે. મેં આ ટુર્નામેન્ટમાં મારી યુવાનીથી લઈને મારા પ્રાઈમ ટાઈમ સુધી બધું જ આપ્યું છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આ દિવસ આવશે. મેચના છેલ્લા બોલ પછી હું ભાવુક થઈ ગયો હતો.”
આ પણ વાંચો – આઇપીએલની નવી ચૅમ્પિયન આરસીબીની ટીમ પહોંચી બેંગલૂરુઃ સાંજે પાંચ વાગ્યે ઓપન-ટૉપ બસ પરેડ
અભૂતપૂર્વ પ્રદર્શન અને ચાહકોનો ઉત્સાહ
RCBની આ જીત વર્ષોની મહેનત અને ચાહકોના અતૂટ સમર્થનનું પરિણામ છે. વિરાટ કોહલી સહિત ટીમના દરેક ખેલાડીએ આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે તેઓ ફાઇનલમાં પહોંચી શક્યા હતા. આ ટાઇટલ જીત સાથે RCBના કરોડો ચાહકોનો વર્ષો જૂનો ઇંતઝાર પૂરો થયો છે, અને સોશિયલ મીડિયા પર પણ અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોએ આ ઐતિહાસિક ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી હતી અને RCBની જીતની ભવ્ય ઉજવણી કરી હતી.