મુંબઈની આ મૅચ વાનખેડેમાં નહીં, પણ અમદાવાદમાં રમાશે…

મુંબઈઃ રવિવાર, 11મી મેએ મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચેની મૅચ હિમાચલ પ્રદેશના ધરમશાલાને બદલે મુંબઈના વાનખેડેમાં ખસેડવામાં આવશે એવો બુધવારે એક અહેવાલ હતો, પણ એવું નહીં થાય. એ મૅચ વાનખેડેમાં નહીં, પરંતુ અમદાવાદમાં યોજાશે. ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન (જીસીએ)ના સેક્રેટરી અનિલ પટેલે પીટીઆઇને આ જાણકારી આપી હતી.
અનિલ પટેલે કહ્યું હતું કે `બીસીસીઆઇએ અમને વિનંતી કરી અને અમે તરત સ્વીકારી લીધી. મુંબઈ ઇન્ડિયન્સની ટીમ સાંજે આવી રહી છે અને પંજાબના ખેલાડીઓ પછીથી જાહેર કરાશે. એક તરફ આજે ધરમશાલામાં પંજાબ અને દિલ્હી વચ્ચેની મૅચની તૈયારીઓ થઈ રહી છે ત્યારે ધરમશાલાની જ રવિવારની મૅચના શેડ્યૂલનો ફેરફાર વાઇરલ થઈ ગયો છે.
પંજાબ-દિલ્હીના ખેલાડીઓ બે દિવસ પહેલાં જ ધરમશાલામાં આવી ગયા હતા, પરંતુ હવે પછીની રવિવારની મૅચ માટે કોઈ ખેલાડીઓ આ શહેરમાં આવી શકે એમ નથી, કારણકે કમર્શિયલ ફ્લાઇટ માટે ધરમશાલાનું ઍરપોર્ટ AIRPORT) બંધ કરવામાં આવ્યું છે.