IPL 2025

ચેપૉકમાં સીએસકેનું સૌથી નીચું ટોટલ, નારાયણ ત્રણ વિકેટ સાથે અસલ મિજાજમાં…

ચેન્નઈઃ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમે આજે અહીં ચેપૉકના હોમ-ગ્રાઉન્ડ પર શરમમાં મુકાઈ જવું પડ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામેના આ મુકાબલામાં સીએસકેની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 103 રન બનાવી શકી હતી અને ચેપૉક પર આઈપીએલ (IPL)માં સીએસકેનું આ સૌથી નીચું ટોટલ છે. એટલું જ નહીં, આઇપીએલના ઇતિહાસમાં આ ત્રીજા નંબરનો સૌથી નીચો ટીમ-સ્કોર છે. શિવમ દુબેનો અણનમ 31 રનનો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો. વિજય શંકરે 29 રનનો ફાળો આપ્યો હતો.

ઈજાગ્રસ્ત ગાયકવાડની ગેરહાજરીમાં ધોનીએ આ મૅચમાં કૅપ્ટન્સી સંભાળી અને તે છેક નવમા નંબરે બૅટિંગ કરવા આવ્યો હતો અને એક જ રન બનાવીને સ્પિનર સુનીલ નારાયણ (Sunil naraine)ના બૉલમાં એલબીડબ્લ્યૂ થયો હતો. નારાયણે 13 રનમાં ત્રણ વિકેટ લઈને આ વખતની આઇપીએલમાં અસલ મિજાજમાં પર્ફોર્મ કરવાનું શરૂ કર્યું હતું. હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.

ઓપનર રચિન રવીન્દ્ર (ચાર રન), ડેવૉન કૉન્વે (12), રાહુલ ત્રિપાઠી (16) તેમ જ આર. અશ્વિન (1), રવીન્દ્ર જાડેજા (0) અને દીપક હૂડા (0) સારું રમવામાં નિષ્ફળ રહ્યા હતા. એ પહેલાં, અજિંક્ય રહાણેએ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. ઋતુરાજ ગાયકવાડની ગેરહાજરીમાં હવે આ આઇપીએલની બાકીની મૅચોમાં મહેન્દ્રસિંહ ધોની ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) ટીમની કૅપ્ટન્સી સંભાળશે અને બે વર્ષ બાદ ફરી એક વાર મેદાન પર ટૉસ માટે તે મેદાન પર આવ્યો હતો અને હજારો પ્રેક્ષકોએ તેને બૂમો પાડીને ફરી કૅપ્ટનપદે આવકાર્યો હતો.

કેકેઆરની ટીમમાં સ્પેન્સર જૉન્સનના સ્થાને મોઇન અલીને સમાવવામાં આવ્યો હતો. ઋતુરાજ ગાયકવાડ કોણીના ફ્રૅક્ચરને કારણે બાકીની મૅચો નથી રમવાનો. તેના સ્થાને રાહુલ ત્રિપાઠીને ઇલેવનમાં સામેલ કરાયો હતો, જ્યારે મુકેશ ચૌધરીના સ્થાને અંશુલ કમ્બોજનો ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button