IPL 2025

હાર્દિકે કેમ ઓછી બોલિંગ કરી એ જ નથી સમજાતું: વરુણ આરૉન

અમદાવાદ: રવિવારે પંજાબ કિંગ્સ (PBKS)નો નેહલ વઢેરા (29 બૉલમાં 48 રન) માત્ર 13 રન પર હતો ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI)ના ટ્રેન્ટ બૉલ્ટે તેનો કૅચ છોડ્યો અને પછી રીસ ટૉપ્લીની 13મી ઓવરમાં શ્રેયસ ઐયરે જે ત્રણ સિક્સર ફટકારી એ બે ટર્નિંગ પોઇન્ટ મુંબઈની વિરુદ્ધમાં અને પંજાબની તરફેણમાં ગયા હતા. જોકે રવિવારે મધરાત બાદ મુંબઈ હારી ગયું એ પહેલાં ખુદ કેપ્ટન હાર્દિક પંડ્યા (HARDIK PANDYA)એ મોટું બ્લન્ડર કર્યું હતું અને એ વિશેની સમજ ભારતના ભૂતપૂર્વ ફાસ્ટેસ્ટ બોલર વરુણ આરૉને (VARUN AARON) એક વેબસાઈટ પર આપી છે.

મુંબઈએ બૅટિંગ મળ્યા પછી છ વિકેટે 203 રન કર્યા હતા જેના જવાબમાં પંજાબે 19 ઓવરમાં પાંચ વિકેટે 207 રન કરીને રોમાંચક વિજય મેળવ્યો હતો.

ખાસ કરીને સ્પિન બોલર સામે સારું રમતો પંજાબનો કેપ્ટન શ્રેયસ ઐયર (87 અણનમ, 41 બૉલ, આઠ સિક્સર, પાંચ ફોર) મૅન ઑફ ધ મૅચનો એવોર્ડ જીત્યો હતો.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ બૉલ્ટ, બુમરાહ અને અશ્વની કુમાર પાસે પૂરી ચાર-ચાર ઓવર બોલિંગ કરાવી હતી, પરંતુ પોતે બે જ ઓવર કરી હતી. નવા પેસ બોલર રીસ ટૉપ્લીને પણ તેણે ત્રણ ઓવર આપી હતી, પણ એકમાત્ર સ્પિનર મિચલ સેન્ટનરને પણ તેણે ફક્ત બે ઓવર આપી હતી.

વરૂણ આરૉનનું એવું કહેવું છે કે ‘પંજાબની ઇનિંગ્સની 10મી ઓવર પછી હાર્દિકે બોલિંગ જ નહોતી કરી. શા માટે? મારી દ્રષ્ટિએ આ મૅચમાં બુમરાહ ઉપરાંત હાર્દિક અને સેન્ટનર ત્રણ મુખ્ય બોલર હતા. જોકે હાર્દિકે પોતે બે જ ઓવર કરી અને સેન્ટનરને પણ બે ઓવર ઓછી આપી હતી.

આપણ વાંચો:  રાજીવ શુકલા સંભાળશે બીસીસીઆઈની કમાન, રોજર બિન્ની બાદ બનશે કાર્યકારી અધ્યક્ષ

વરૂણ આરૉનનું ભારપૂર્વક કહેવું છે કે ‘અમદાવાદની આ પિચ પર હાર્દિક જ્યારે ગુજરાત ટાઇટન્સ વતી રમતો હતો ત્યારે મૅચમાં મોટા ભાગે પૂરી ચાર ઓવર બોલિંગ કરતો હતો, પરંતુ આ વખતે તેણે શા માટે ઓછી બોલિંગ કરી એ જ નથી સમજાતું.’

ઉલ્લેખનીય છે કે હાર્દિકે 19મી ઓવર બિનઅનુભવી પેસ બોલર અશ્વની કુમારને આપી હતી જેમાં શ્રેયસે ચાર છગ્ગા ફટકારીને ખેલ ખતમ કરી નાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button