બોલર દિગ્વેશ રાઠી કંઈ મારો સગો નથી…રિષભ પંતે આ બહુ ખોટું કર્યું : અશ્વિને કેમ આવું કહ્યું?

લખનઊ: મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલૂરુ (RCB)ના સુપર હીરો જિતેશ શર્મા (85 અણનમ, 33 બૉલ, છ સિક્સર, આઠ ફોર)ને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG) સામેની યાદગાર ઈનિંગ્સમાં કટોકટીના સમયે જે જીવતદાન મળ્યું અને ખાસ કરીને રિષભ પંતે જે ખેલદિલી બતાવી એની સર્વત્ર ચર્ચા થઈ રહી છે, પરંતુ ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું કંઈક જૂદું જ માનવું છે. પંતના નિર્ણયથી અશ્વિન નારાજ છે.
લખનઊની ટીમે રિષભ પંત (118 અણનમ, 61 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)ની ધમાકેદાર સેન્ચુરીની મદદથી ત્રણ વિકેટે 227 રન બનાવ્યા પછી આરસીબીએ ચાર વિકેટે 230 રન કરીને વિક્રમજનક ચેઝ હાંસલ કરનાર ટીમ તરીકે પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાવી દીધું હતું. સૌથી મોટા સફળ રન ચેઝમાં આરસીબી ત્રીજા ક્રમે છે.
મંગળવારે બન્યું એવું કે આરસીબીએ જીતવા માટે 228 રન કરવાના હતા અને 17મી ઓવરમાં જ્યારે સ્પિનર દિગ્વેશ રાઠી (DIGVESH RATHI)એ એક બૉલ ફેંકયો એ પહેલાં નોન-સ્ટ્રાઈક એન્ડની ક્રીઝમાંથી બહાર નીકળી ચૂકેલા જિતેશ (JITESH SHARMA)ને તેણે રનઆઉટ કરી દીધો હતો. ‘માંકડેડ’ (MANKADED) તરીકે જાણીતા આ પ્રકારના રનઆઉટમાં રાઠીએ બેલ્સ ઉડાડી દીધી ત્યારે ઑન ફીલ્ડ અમ્પાયરે તેને પૂછ્યું હતું કે ‘તું જિતેશને રનઆઉટ કર્યો હોવાની અપીલમાં આગળ વધવામાં મક્કમ છે?’ રાઠીએ તરત ‘હા’માં જવાબ આપ્યો હતો.
જોકે થર્ડ અમ્પાયર (ઉલ્હાસ ગાંધે)એ એવું કહીને જિતેશને નોટ આઉટ જાહેર કર્યો હતો કે બોલર રાઠીએ રન-અપ પૂરો કર્યા બાદ બૉલ રિલીઝ કરતાં પહેલાંની બોલિંગ એક્શન પૂર્ણ કરી લીધી હતી, તેણે ક્રીઝ પાર કરી લીધી હતી અને ત્યાર બાદ તેણે (કટ-ઑફ પોઇન્ટ બાદ) પાછા વળીને બેલ્સ ઉડાડી હતી અને એ સ્થિતિમાં (આઈપીએલના નિયમ 38.3.1 મુજબ) જિતેશ રનઆઉટ ન કહેવાય.
જિતેશને નોન-સ્ટ્રાઈક એન્ડ પર રનઆઉટ કર્યો હોવાની રાઠીએ અપીલ કર્યા બાદ થર્ડ અમ્પાયર હજી નિર્ણય પર આવી રહ્યા હતા એ દરમ્યાન લખનઊના કેપ્ટન રિષભ પંતે હરીફ સુકાની જિતેશને કહી દીધું હતું કે ‘તને રનઆઉટ કર્યો હોવાની અપીલ મેં પાછી ખેંચી લીધી છે એટલે તું આગળ રમી શકીશ.’
રિષભ પંતે આવું કહ્યું અને પંત અને જિતેશ એકબીજાને ભેટ્યા હતા. એટલી જ વારમાં થર્ડ અમ્પાયરે જિતેશને નોટ આઉટ જાહેર કર્યો હતો.
આપણ વાંચો: IPL 2025 Qualifier-1: આવી રહેશે ચંદીગઢની પિચ, કોને થશે ફાયદો? PBKS vs RCB હેડ ટુ હેડ
આર. અશ્વિને શું કહ્યું?
ભારતના મહાન સ્પિનરોમાં ગણાતા રવિચંદ્રન અશ્વિને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લઈ લીધી. ખુદ અશ્વિન પોતે અગાઉ જૉસ બટલરને ‘માંકડેડ’ પ્રકારનો રનઆઉટ કરાવી ચૂક્યો છે.
અશ્વિને પોતાની યુટયૂબ ચેનલ પર જણાવ્યું છે કે ‘ લખનઊના સ્પિનર દિગ્વેશ રાઠીએ જિતેશને રનઆઉટ કરવા વિશેની જે અપીલ કરી એ કેપ્ટન પંતે પાછી નહોતી ખેંચવી જોઈતી.’
અશ્વિને વધુમાં જણાવ્યું છે કે ‘ દિવ્યેશ રાઠી કંઈ મારો સગો નથી થતો. તે મારો મિત્ર પણ નથી. તેને હું ઓળખતો પણ નથી. મારું એટલું જ કહેવું છે કે કોઈ કેપ્ટને પોતાના બોલરનો માનભંગ ન કરવો જોઈએ કે જેથી તેના પર્ફોર્મન્સ પર વિપરીત અસર થાય. કરોડો લોકોની સામે પોતાના બોલરની અપીલ પાછી ખેંચી લેવી એ તેનું (બોલરનું) અપમાન ન કહેવાય? બોલર બૉલ ફેંકે એ પહેલાં નોન-સ્ટ્રાઈક એન્ડ પરનો બૅટ્સમૅન ક્રીઝની બહાર નીકળી ગયો હોય તો બોલર તેને રનઆઉટ કરી શકે છે. બોલરને આ અધિકાર છે. ભલે થર્ડ અમ્પાયરે કાયદા મુજબ જિતેશને રનઆઉટ ન આપ્યાનો સચોટ નિર્ણય આપ્યો, પરંતુ રિષભ પંતે દિગ્વેશની અપીલ પાછી નહોતી ખેંચવી જોઈતી.’
એક કૉમેન્ટેટરે પંતની ખેલદિલીની પ્રશંસા કરી એ બાબતમાં અશ્વિનનું એવું કહેવું છે કે ‘ કમ ઑન યાર, આવી ગ્રંથિમાંથી હવે બહાર આવી જાઓ. હું એક સવાલ પૂછવા માગું છું. માનો કે દિગ્વેશ રાઠી તમારો દીકરો છે અને તેણે કરેલી અપીલ કેપ્ટન રિષભ પંત પાછી ખેંચી લે છે. તો શું તમે નારાજ નહીં થાઓ? એ રીતે કેપ્ટન પંતે કરોડો લોકોની હાજરીમાં દિવસ રાઠીના નિર્ણયને ખોટો ગણાવ્યો કહેવાય ખરુંને? કેપ્ટનની સૌથી પહેલી જવાબદારી પોતાના ખેલાડીનું રક્ષણ કરવાની હોય છે. આવો માનભંગ થતાં કોઈ બોલર પોતાને હવે નિમ્ન સ્તરનો ગણવા લાગે એ સ્વાભાવિક છે. બની શકે કે રાઠી હવે પછી ક્યારેય કોઈને આ રીતે રનઆઉટ નહીં કરે, કારણકે મંગળવારના કેસમાં તેને પોતાના જ કેપ્ટનનું પીઠબળ નહોતું મળ્યું.’
પ્લે-ઑફમાં કોણ કોની સામે…
પ્લે-ઑફના મુકાબલા આ રીતે નક્કી થયા છે: આજે ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં પંજાબ વિરુદ્ધ બેંગલુરુ (ક્વોલીફાયર-વન, સાંજે 7.30થી) અને શુક્રવાર, 30મી મેએ ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુરમાં મુંબઈ વિરુદ્ધ ગુજરાત (એલિમિનેટર, સાંજે 7.30થી).
ક્વોલીફાયર-વનમાં જીતનારી ટીમ (પંજાબ અથવા બેંગ્લૂરુ) સીધી ફાઇનલમાં જશે અને પરાજિત ટીમ એલિમિનેટરની વિજેતા ટીમ સામે ક્વોલીફાયર-ટૂમાં રમશે અને એમાં વિજય મેળવનારી ટીમ ફાઇનલમાં જશે. ફાઈનલ પહેલાં એલિમિનેટરની તથા ક્વોલિફાયર-ટૂની પરાજિત ટીમ સ્પર્ધાની બહાર થઈ ચૂકી હશે.