ચૅમ્પિયન ખેલાડીઓની ઇવેન્ટ માટે છેલ્લી ઘડીએ પરવાનગી મળતાં લાખો લોકોમાં નાસભાગ થઈ?

બેંગલૂરુઃ બુધવારે અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની ચૅમ્પિયન ટીમને અને ખાસ કરીને વિરાટ કોહલીને જોવા ઊમટી પડેલા લગભગ ત્રણ લાખ જેટલા લોકોમાં ભારે નાસભાગ (STEMPEDE) અને ધક્કામુક્કી થઈ અને એમાં 11 જેટલા લોકોના મૃત્યુ થયા તેમ જ બીજા લગભગ 70 લોકો ઘાયલ થયા એ ઘટનાને પગલે કર્ણાટક રાજ્ય સરકાર પર પસ્તાળ પડી રહી છે એવામાં કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (KSCA)નો પત્ર ચર્ચાસ્પદ થયો છે.
મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ કહ્યું છે કે આટલી મોટી સંખ્યામાં લોકો ઊમટી પડશે એ તેમની સરકારે ધાર્યું નહોતું. જોકે ક્રિકેટ ઍસોસિયેશનના પત્રમાં એવું જણાવાયું છે કે તેમણે ખેલાડીઓના સેલિબે્રશનને લગતી ઇવેન્ટ માટે રાજ્ય સરકાર પાસે પરવાનગી આઇપીએલની મંગળવારની ફાઇનલ પહેલા જ માગી હતી.
આ પણ વાંચો: વિજયની ઉજવણી વિશે બીસીસીઆઈનો મોટો નિર્ણય આવી રહ્યો છે: અહેવાલ
પત્રમાં જણાવ્યા મુજબ ક્રિકેટ ઍસોસિયેશને રાજ્ય સરકારને પત્રમાં વિનંતી સાથે લખ્યું હતું કે આરસીબીની ટીમ 18 વર્ષમાં પહેલી વાર આઇપીએલનું ટાઇટલ જીતી છે એટલે એની ઉજવણી માટે સમારોહ રાખવા પરવાનગી આપો. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે છેક ઇવેન્ટના દિવસે (બુધવારે) સવારે પરવાનગી આપી હતી જેને કારણે સલામતી સહિતની વ્યવસ્થા માટે પૂરતો સમય નહોતો મળ્યો.
સૂત્રોના જણાવ્યા અનુસાર પરવાનગી મોડી મળી એ પણ લોકોની નાસભાગની ઘટના માટેનું એક કારણ ગણી શકાય. બીજું, ચૅમ્પિયન ખેલાડીઓની વિક્ટરી-પરેડ યોજવા વિશે તેમ જ મફતમાં પાસ અપાશે એ અંગે પણ વિરોધાભાસી જાહેરાતો થતાં સાત નંબરના ગેટ પર મોટી સંખ્યામાં લોકો ધસી આવ્યા હતા.
બુધવારે સવારે 11.56 વાગ્યે બેંગલૂરુ ટ્રાફિક પોલીસે જાહેરાત કરી હતી કે આરસીબીના ચૅમ્પિયન ખેલાડીઓની કોઈ જ વિક્ટરી-પરેડ નહીં યોજાય, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં માત્ર સન્માન સમારંભ યોજાશે.
આ પણ વાંચો: બેંગલુરુમાં બનેલી ઘટના પર વિરાટ કોહલીએ કરી ભાવુક પોસ્ટ, લખ્યું- હું સંપૂર્ણપણે તૂટી ગયો…
જોકે બપોરે 3.14 વાગ્યે એક્સ' પર આરસીબીના સત્તાવાર હૅન્ડલ પર વિરોધાભાસી જાહેરાત આવી હતી. એક પોસ્ટમાં લખાયું હતું કે
વિક્ટરી-પરેડ યોજાશે અને ત્યાર બાદ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સેલિબે્રશન કરવામાં આવશે. મફતમાં પાસ (મર્યાદિત સંખ્યા) વેબસાઇટ પર ઉપલબ્ધ છે.’
મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે `સ્ટેડિયમમાં 35,000 લોકો બેસી શકે એટલી સીટ છે, પરંતુ ત્રણ લાખથી વધુ લોકો સ્ટેડિયમ ખાતે આવી પહોંચ્યા હતા. સ્ટેડિયમના ગેટ તૂટ્યા હતા. અમે આ ઘટના બદલ ખેદ વ્યક્ત કરીએ છીએ. અમે હકીકત જાણવા માગીએ છીએ અને જનતામાં સ્પષ્ટ સંદેશ મોકલવા માગીએ છીએ.’