વિજયની ઉજવણી વિશે બીસીસીઆઈનો મોટો નિર્ણય આવી રહ્યો છે: અહેવાલ

મુંબઈ: બેંગલૂરુમાં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (RCB)ના ઐતિહાસિક ચેમ્પિયનપદની ઉજવણી માણવા એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. CHINNASWAMI STADIUM)ની આસપાસ એકત્રિત થયેલા લાખો લોકો વચ્ચે ભાગદોડ અને ધક્કામુક્કી (STEMPEDE)ની જે કમનસીબ ઘટના બની એને પગલે બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)એ દુઃખ વ્યક્ત કર્યું છે અને સાથે એવો ખુલાસો પણ કર્યો છે કે આરસીબી દ્વારા આ સેલિબ્રેશન (CELEBRATION)ની ઇવેન્ટ યોજવામાં આવી હોવાની બીસીસીઆઈને અગાઉથી કોઈ જ જાણ નહોતી કરવામાં આવી. ક્રિકેટ બોર્ડે એવું પણ જણાવ્યું હોવાનું મનાય છે કે હવે પછી આવી દુર્ઘટના ન સર્જાય એ માટે પૂરતી તપાસ કરવામાં આવશે અને નક્કર નિર્ણય લેવામાં આવશે.
બની શકે કે હવે પછી ભારતમાં આઈપીએલ કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંબંધિત આવી કોઈ પણ પ્રકારની ઉજવણી પર પ્રતિબંધ આવી શકે.
18 વર્ષે પહેલી વાર આરસીબીની ટીમ ચેમ્પિયન બની એટલે એના વિજયી ખેલાડીઓને જોવા લાખો લોકો સ્ટેડિયમની નજીક આવી ગયા હતા. સ્ટેડિયમમાં સેલિબ્રેશન થવાનું હતું. સ્ટેડિયમમાં લગભગ 35,000 પ્રેક્ષકો બેસી શકે એટલી જગ્યા છે, પરંતુ ત્રણ લાખ જેટલા લોકો સ્ટેડિયમ નજીક આવી પહોંચ્યા હતા અને પોલીસ તંત્ર તેમને અંકુશમાં લેવામાં અસમર્થ હતું. આ દુખદ ઘટનામાં 11 જણના મૃત્યુ થયા હતા અને બીજા અનેક લોકોને ઈજા પહોંચી હતી.
સ્ટેડિયમના મેદાન પર ચેમ્પિયનપદની ઉજવણી ચાલી રહી હતી ત્યારે બહાર લોકોની ધક્કામુક્કીની પૂરતી વિગતો અંદર સુધી ન પહોંચી અને સેલિબ્રેશન ચાલુ રહ્યું હતું. જોકે સ્ટેડિયમ બહારની નાસભાગની ઘટનાની જાણ થતાં જ આરસીબી દ્વારા ખેલાડીઓની ઉજવણીનો કાર્યક્રમ ટૂંકાવી નાખવામાં આવ્યો હતો.
આ ઇવેન્ટ બીસીસીઆઈએ નહોતી રાખી. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિએશન તથા આરસીબીના મૅનેજમેન્ટ આ ગેરવ્યવસ્થા માટે જવાબદાર હોવાનું કહેવાય છે.
આઈપીએલની ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન અરુણ ધુમાલે જણાવ્યું હતું કે ‘ અમે આ ગંભીર ઘટનાની નોંધ લીધી છે અને ભવિષ્યમાં ફરી આવું ક્યારેય ક્યાંય પણ ન બને એની તકેદારી રાખીશું. બેંગ્લૂરુના સ્ટેડિયમમાં વિક્ટરી પરેડ યોજાવાની છે એવી અમને અગાઉથી કોઈ જ જાણ નહોતી કરવામાં આવી. આ સેલિબ્રેશનનું આયોજન કોણે કર્યું છે અને કેટલા લોકો ત્યાં જમા થઈ રહ્યા છે એ વિશે પણ અમને કંઈ જ જાણ નહોતી કરાઈ.’
આપણ વાંચો: ચહલની ટીમ IPL હારી તો ધનશ્રી વર્માએ કરી પોસ્ટ, જુઓ વિરાટ કોહલીને કેવી રીતે આપી શુભેચ્છાઓ
આરસીબીના ફ્રેન્ચાઇઝી દ્વારા આ સેલિબ્રેશનની ઇવેન્ટ રાખવામાં આવી હોવાનું મનાય છે. બીસીસીઆઈના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ જણાવ્યું હતું કે ‘ કોઈ ફ્રેન્ચાઇઝી સેલિબ્રેશનની ઇવેન્ટ રાખે એના પર અમારો કોઈ જ અંકુશ નથી હોતો. જો કે કોઈપણ કાળે નાસભાગ અને ધક્કામુક્કીની ઘટના ન જ બનવી જોઈએ એ વાતને ધ્યાનમાં રાખીને હવે ભવિષ્યના સેલિબ્રેશન માટે આ ઘટના બોધપાઠ બની રહે એ પણ સૌના ધ્યાનમાં હોવું જોઈએ. દર વર્ષે આઈપીએલમાં વિજેતા ટીમનું સેલિબ્રેશન થશે જ, પરંતુ આવી ઘટના તો ન જ બનવી જોઈએ. એક વાત નક્કી છે કે ફ્રેન્ચાઇઝીના પ્રાઇવેટ સેલિબ્રેશન પર બીસીસીઆઈનો કોઈ અંકુશ હોતો નથી. એની વ્યવસ્થાની જવાબદારી સંબંધિત ફ્રેન્ચાઇઝીની હોય છે.’