![Fast bowler Kagiso Rabada ruled out due to injury](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/dhiraj-2024-05-15T172038.666.jpg)
ગુવાહાટી: પંજાબ કિંગ્સની ટીમ આઇપીએલ-2024ની બહાર થઈ ગઈ છે, પણ આજે સાંજે (7.30 વાગ્યાથી) રાજસ્થાન રૉયલ્સ સામેની લીગ મૅચ જીતીને પંજાબના ખેલાડીઓ આશ્વાસન જીત મેળવવાના મૂડમાં હશે, પરંતુ ફાસ્ટ બોલર કૅગિસો રબાડા ઈજાને લીધે સ્પર્ધાની બહાર થઈ ગયો છે. મુખ્ય કૅપ્ટન શિખર ધવન 2023ના મેમાં આઇપીએલમાં રમ્યા પછી સીધો 2024ની આઇપીએલમાં રમ્યો, પરંતુ ઈજાને કારણે શરૂઆતની ફક્ત પાંચ મૅચ રમી શક્યો જેને કારણે સૅમ કરૅને સુકાન સંભાળવું પડ્યું અને તે ટીમને પ્લે-ઑફમાં ન પહોંચાડી શક્યો.
આ પણ વાંચો: IPL :વિરાટ કોહલીએ ગ્રાઉન્ડ પરથી કોને કહ્યું, ‘બૅટ સે મારુંગા, બૈઠ જા’
આ સીઝનમાંથી એક્ઝિટ થવા ઉપરાંત ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટન ઇંગ્લૅન્ડ પાછો જતો રહ્યો એ ઘા હજી રુઝાયો નથી ત્યાં પંજાબની ટીમને વધુ એક આંચકો લાગ્યો છે. તે સાઉથ આફ્રિકા પાછો જતો રહ્યો છે. ટી-20 વર્લ્ડ કપ બહુ નજીકમાં જ છે એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડ રબાડાને ફરી દોડતો કરવા કોઈ કસર બાકી રાખવા નથી માગતું.
આઇપીએલ-2024માં રબાડાનો પર્ફોર્મન્સ સાવ સાધારણ રહ્યો. 11 મૅચમાં તેણે 11 વિકેટ લીધી અને 8.86 તેનો ઊંચો ઇકોનોમી-રેટ છે.
પંજાબની આજની રાજસ્થાન સામેની મૅચ બાદ રવિવારે હૈદરાબાદ સામે છેલ્લી લીગ મૅચ રમાવાની છે, પણ કદાચ એ પહેલાં જ સૅમ કરૅન અને જૉની બેરસ્ટૉ પણ ઇંગ્લૅન્ડ પાછા જતા રહેશે એટલે પંજાબને વધુ ઝટકા લાગશે.