પાકિસ્તાન ક્રિકેટના પતન અંગે ઇન્ઝમામ ઉલ હકે મેનેજમેન્ટને ગણાવ્યું જવાબદાર, કહ્યું ભૂલો સતત કરી રહ્યા છે અને…

લાહોરઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન ઇન્ઝમામ-ઉલ-હકે દેશમાં ક્રિકેટના પતન પર ચિંતા વ્યક્ત કરી છે અને તેના માટે રમતનું સંચાલન કરનારા લોકોએ અનેક ક્ષેત્રોમાં કરવામાં આવેલી ભૂલોને જવાબદાર ઠેરવી છે. ઇન્ઝમામે લાહોરમાં પત્રકારોને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં રાષ્ટ્રીય ટીમના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે. તેમણે કહ્યું હતું કે, “આપણે યોગ્ય દિશામાં કામ કરી રહ્યા નથી અને ઘણા ક્ષેત્રોમાં સતત ભૂલો કરી રહ્યા છીએ.”
આ પણ વાંચો: ઇન્ઝમામ-ઉલ-હકે મોહમ્મદ હાફિઝને હટાવવાના પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નિર્ણય પર ઉઠાવ્યા સવાલ
રાષ્ટ્રીય પસંદગી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ ઇન્ઝમામે ચેતવણી આપી હતી કે જો ટૂંક સમયમાં કોઈ નક્કર યોજના બનાવવામાં નહીં આવે તો ટીમના પ્રદર્શનમાં ઘટાડો ચાલુ રહેશે. તેમણે આ માટે ટીમ મેનેજમેન્ટ, કોચ અને ખેલાડીઓમાં સતત થતા ફેરફારોને જવાબદાર ઠેરવ્યા હતા.
આ પણ વાંચો: શમીને પાકિસ્તાનથી ઠપકો મળ્યો, ‘તેં ઇન્ઝમામને કાર્ટૂન કહ્યો? જોઈ લેજે, એક દિવસ ક્રિકેટ તને ખૂબ રડાવશે’
ઇન્ઝમામે કહ્યું હતું કે, “મારું માનવું છે કે ક્રિકેટ બોર્ડે હવે તેની ભૂલોમાંથી શીખવું જોઈએ અને છેલ્લા બે વર્ષથી જે ભૂલો કરી રહ્યું છે તેનું પુનરાવર્તન કરવાનું ટાળવું જોઈએ.” તેમણે કહ્યું, “છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન ટીમના પ્રદર્શનમાં ઘણો ઘટાડો થયો છે. જો આપણે યોગ્ય દિશામાં તાત્કાલિક પગલાં નહીં ભરીએ તો આ ઘટાડો ચાલુ રહેશે. આપણે બેસીને વિચારવું જોઈએ કે આપણે ક્યાં ભૂલો કરી.”