આજે ટીમની જાહેરાત, બુમરાહના વર્કલોડ અને રાહુલના કમબૅક પર સિલેક્ટરોની નજર
![Selectors look at squad announcement today, Bumrah's workload and Rahul's comeback](https://bombaysamachar.com/wp-content/uploads/2024/02/BB1i0KNN-780x470.webp)
મુંબઈ: ઇંગ્લૅન્ડ સામેની પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝમાં અત્યારે હિસાબ 1-1થી બરાબરીમાં છે, પરંતુ ખરી ટક્કર બાકીની ત્રણ ટેસ્ટમાં જોવા મળશે એટલે બન્ને ટીમ સિરીઝની શરૂઆતની સરખામણીમાં વધુ મજબૂત બને એની સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ ખાસ તકેદારી રાખશે.
અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં ભારતીય સિલેક્શન કમિટીની વાત કરીએ તો તેઓ ગુરુવારે ભેગા થવાના હતા અને બાકીની બે કે ત્રણ ટેસ્ટ માટેની સ્ક્વૉડ શું રાખવી એના પર નિર્ણય લેવાના હતા, પણ એ મીટિંગ શુક્રવારની સાંજ પર મુલતવી રખાઈ.
પસંદગીકારો ખાસ કરીને જસપ્રીત બુમરાહ પરના વર્કલોડને ધ્યાનમાં લેશે. ભારતની ટર્નિંગ પિચો પર બુમરાહ જે રીતે મોહમ્મદ શમીની ગેરહાજરીમાં પેસ બોલિંગમાં જે રીતે એકલા હાથે ટીમને જિતાડી રહ્યો છે એ સરાહનીય જરૂર છે, પરંતુ ટેસ્ટમાં ભારતના પહેલા વર્લ્ડ નંબર-વન પેસ બોલર બનેલા બુમરાહ પર જવાબદારીનો અને અપેક્ષાનો મોટો બોજ ન આવી પડે એનું પણ સિલેક્ટરો ધ્યાન રાખશે.
મોહમ્મદ સિરાજને આરામ આપવાના આશયથી સેક્ધડ ટેસ્ટમાં નહોતો રમાડવામાં આવ્યો, પણ હવે તેને ટીમમાં પાછા લેવાની વાતો સંભળાય છે. એ જોતાં, મુકેશ કુમારને ઇલેવનની બહાર રખાશે એવી સંભાવના છે. બીજું, કેએલ રાહુલ ઈજામુક્ત થઈને પાછો રમવા આવી રહ્યો છે, જ્યારે શ્રેયસ ઐયર ઇન્જરીને કારણે બાકીની ત્રણ ટેસ્ટમાં કદાચ નહીં રમે એવી શક્યતા જોતાં રાહુલ પર બૅટિંગનો બોજ વધી જશે, કારણકે વિરાટ કોહલી હજી પણ અંગત કારણસર ટીમથી દૂર રહેવા માગે છે એવા અહેવાલ છે.
ત્રીજી ટેસ્ટ 15મીથી રાજકોટમાં રમાવાની છે.