ભારત-પાકિસ્તાન મૅચની 12,000 રૂપિયાવાળી ટિકિટ બ્લૅકમાં 83,000 રૂપિયામાં વેચાય છેઃ અહેવાલ
દુબઈઃ બુધવાર, 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવાર, 23મી ફેબ્રુઆરીએ જે ટક્કર થવાની છે એની ઑનલાઇન બુકિંગમાં ટિકિટો એક કલાકમાં જ વેચાઈ ગઈ હોવાનો અહેવાલ આવ્યા બાદ પ્રાથમિક અહેવાલ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે આ હાઈ-વૉલ્ટેજ મૅચની 500 દિરહામ (આશરે 12,000 રૂપિયા)ની ટિકિટ બ્લૅકમાં અંદાજે 3,500 દિરહામ (આશરે 83,000 રૂપિયા)માં વેચાઈ રહી છે.
એ રીતે, ભારત-પાકિસ્તાન મુકાબલાની ટિકિટ કાળા બજારમાં 600 ટકા ઊંચા ભાવે મળી રહી હોવાનું મનાય છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમવા માટે ભારત પોતાની ટીમને પાકિસ્તાન તો નથી મોકલવાની, પરંતુ હાઇબ્રિડ મૉડેલ હેઠળ દુબઈમાં રમાનારી ભારતની દરેક મૅચ રોમાંચક બની રહેશે અને એ મૅચની ટિકિટો લેવા માટે લોકો પડાપડી કરશે એમાં કોઈ શંકા નહોતી. એમાં હવે સમાચાર મળ્યા છે કે રવિવાર 23મી ફેબ્રુઆરીએ (બપોરે 2ઃ30 વાગ્યાથી) દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હાઇ-વોલ્ટેજ ટક્કર થવાની છે એ મૅચની ટિકિટો એક જ કલાકમાં વેચાઈ ગઈ છે.
આ પણ વાંચો: IND vs PAK: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાન મેચમાં પિચ અંગે ક્યુરેટરે ખુલાસો કર્યો
ભારત-પાકિસ્તાનનો ફરી મુકાબલો મૅચ ઑફ ધ ટૂર્નામેન્ટ' બની રહેવાનો છે. આઇસીસી ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે ભારતનો જબરદસ્ત વિનિંગ-રેકોર્ડ હોવાને કારણે આ મૅચની ટિકિટો ખરીદવા ઘણા લોકો પડાપડી કરશે એવી ધારણા હતી જ. વર્ચ્યુઅલ ટિકિટ ખરીદવા માટે અંદાજે દોઢ લાખ લોકોએ પ્રયત્ન કર્યો હતો.
આઈએએનએસના એક અહેવાલ મુજબ દુબઈમાં રહેતી સુધાશ્રી નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે ભારત-પાકિસ્તાન વચ્ચેના મુકાબલાની ટિકિટો ખરીદવા માટે અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ પ્રયત્ન કરશે એવી મારી ધારણા હતી જ, પણ ટિકિટો એક કલાકમાં જ વેચાઈ જશે એ જોઈને મને જે નવાઈ લાગી છે અને આઘાત પણ લાગ્યો છે એ હું શબ્દોમાં સમજાવી શકું એમ નથી.' સુધાશ્રીએ પ્રતિક્રિયામાં એવું પણ કહ્યું હતું કે
મારો નંબર આવે ત્યાં સુધીમાં તો માત્ર બે કૅટેગરીની ટિકિટો બાકી રહી હતી અને એ મારા બજેટ બહારની હતી.’
શારજાહના અબ્દુલ કરીમે એક મુલાકાતમાં કહ્યું, `મેં ઑનલાઇન બુકિંગ વખતે મારા પેજને કલાકો સુધી રીફ્રેશ કર્યું હતું, પણ મને ટિકિટ મળી જ ન શકી. મને એક પણ ટિકિટ તો ન મળી, ટિકિટ રીસેલ કરનારાઓએ 600 ગણો ભાવ વધારી દેવાયો છે.’
ઘણા ક્રિકેટરસિકોએ આ મૅચની ટિકિટ ખરીદવા ઑનલાઇન બુકિંગમાં કલાકોનો સમય આપ્યો હતો, પરંતુ તેમને જાણવા મળ્યું હતું કે એક કલાકમાં જ ટિકિટો વેચાઈ ગઈ હતી. હવે જે ટિકિટો ઉપલબ્ધ છે એ તોતિંગ ઊંચા ભાવવાળી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મૅચ બુધવાર 19 ફેબ્રુઆરીએ (બપોરે 2ઃ30 વાગ્યાથી) પાકિસ્તાન અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે કરાંચીમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ મૅચ ગુરુવાર 19 મી ફેબ્રુઆરીએ (બપોરે 2ઃ30 વાગ્યાથી) દુબઈમાં રમાશે.