સરકારની લીલી ઝંડી છતાં ભારત-પાકિસ્તાન મૅચના ક્યા મુદ્દે વિરોધ થયો? | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

સરકારની લીલી ઝંડી છતાં ભારત-પાકિસ્તાન મૅચના ક્યા મુદ્દે વિરોધ થયો?

બૅટિંગ-લેજન્ડ વીરેન્દર સેહવાગની પણ થઈ ટીકા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે આગામી નવમી સપ્ટેમ્બરે યુએઈમાં શરૂ થતા ટી-20 એશિયા કપમાં પાકિસ્તાન સામેની 14મી સપ્ટેમ્બરની મૅચ રમવા ભારતીય ટીમને મંજૂરી આપી છે છતાં આ મુકાબલાને લગતી જે પ્રમોશનલ ઍડ બહાર પાડવામાં આવી એ સામે ભારતમાંથી સોશ્યલ મીડિયા પર વિરોધ થઈ રહ્યો છે.

આ વિરોધ બીસીસીઆઈ અને સોની ચેનલ સામેનો છે તેમ જ ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દર સેહવાગની પણ ટીકા થઈ રહી છે. ટીઝરમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી વચ્ચેનો મેદાન પરનો મુકાબલો તેમ જ બન્ને દેશ વચ્ચેની ટક્કરનો વીરેન્દર સેહવાગ દ્વારા પ્રચાર, આ બન્ને મુદ્દા પર સોશ્યલ મીડિયામાં કેટલાક વર્ગો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચો: ભારત એશિયા કપમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરે એ સંભવ છે? બૉયકૉટ કેમ ન થઈ શકે?

આ વર્ગના લોકો પાકિસ્તાન સામેની મૅચનો બહિષ્કાર કરવાની માગણી કરી રહ્યા છે.

ભારત એશિયા કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ભારતે આઇસીસી તેમ જ ઑલિમ્પિક ચાર્ટરના અમુક નિયમોને અનુસરીને બહુરાષ્ટ્રીય સ્પર્ધામાં પાકિસ્તાન સામે રમવું જ પડે એમ છતાં મીડિયામાં કેટલાક વર્ગના લોકો એશિયા કપનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી રહ્યા છે.

આ જ વર્ગના લોકો 14મી સપ્ટેમ્બરના મુકાબલાનો અને એશિયા કપનો પ્રચાર કરવા બદલ સેહવાગની ટીકા કરી રહ્યા છે.

સેહવાગે જાહેરખબરમાં કહ્યું છે, ‘ હાલમાં ભારતીય ટીમ ટી-20માં ટોચ પર છે. આ ફોર્મેટમાં આપણે વર્લ્ડ ચેમ્પિયન છીએ અને એશિયા કપમાં પણ આપણે સર્વશ્રેષ્ઠ છીએ. આપણી ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ બહુ સારા ફૉર્મમાં છે. તેના સુકાનમાં અગાઉ આપણે ઘણી ટી-20 મૅચ જીત્યા છીએ. આ બધું જોતાં આપણે જ એશિયા કપ જીતીશું એવી મને ખાતરી છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button