સૂર્યાએ બૅટિંગ પસંદ કર્યા પછી ‘હૅપી દશેરા’ કહીને આપી શુભેચ્છા, અર્શદીપના સ્થાને બિશ્નોઈ ટીમમાં સામેલ

હૈદરાબાદ: બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયાએ અહીં ત્રીજી અને છેલ્લી મૅચમાં ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ‘હૅપી દશેરા’ કહીને સૌને હૈદરાબાદના મેદાન પરથી શુભેચ્છા પાઠવી હતી. ઇલેવનમાં પેસ બોલર અર્શદીપ સિંહના સ્થાને વધારાના સ્પિનર તરીકે રવિ બિશ્નોઈને ટીમમાં સમાવવામાં આવ્યો છે.
એ જોતાં, વિકેટકીપર જિતેશ શર્મા કે બૅટર તિલક વર્માને સિરીઝમાં રમવાનો મોકો નથી મળ્યો.
આ પણ વાંચો :ટીમ ઇન્ડિયાનો ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર બાંદરાના મેદાન પર ધમાલ મચાવશે!
હૈદરાબાદનું મેદાન આઇપીએલ દરમ્યાન બૅટર્સની ફટકાબાજીને કારણે ખૂબ લોકપ્રિય થયું હતું. આ મેદાન પર પિચથી માંડીને એક તરફની બાઉન્ડરી લાઇન 63 મીટર અને બીજી તરફની લાઇન 68 મીટર દૂર છે.
ક્રિકેટર અભિનવ મુકંદના મતે આ મૅચમાં 200-પ્લસનો સ્કોર અચૂક જોવા મળશે.
ભારતના અગિયાર ખેલાડીઓમાં કૅપ્ટન સૂર્યકુમાર ઉપરાંત સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિન્કુ સિંહ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને મયંક યાદવનો સમાવેશ છે.