સ્પોર્ટસ

ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ અમદાવાદમાં રાખો, એક લાખનું ક્રાઉડ મળશેઃ રવિ શાસ્ત્રી…

નવી દિલ્હીઃ જેમ વન-ડેના પહેલા ત્રણેય વર્લ્ડ કપ (1975, 1979 અને 1983)ની ફાઇનલ ઇંગ્લૅન્ડ (England)માં ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં રમાઈ હતી, પરંતુ 1983માં વર્લ્ડ ચૅમ્પિયન બનેલા ભારતમાંથી અવાજ ઊઠ્યો હતો અને 1987થી વિશ્વ કપના આયોજનને ઇંગ્લૅન્ડની બહાર લાવવાની માગણીમાં સફળતા મળી હતી એમ હવે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની ફાઇનલની બાબતમાં બનવા જઈ રહ્યું છે અને એમાં રવિ શાસ્ત્રીએ પહેલ કરી છે. તેમણે હવે પછીની ડબ્લ્યૂટીસીની ફાઇનલ માટે અમદાવાદનું નામ સૂચવ્યું છે.

1983માં કપિલ દેવના સુકાનમાં ભારત વિશ્વ વિજેતા બન્યું ત્યાર બાદ ભારતીય ક્રિકેટ બોર્ડ, એ સમયના રાજકીય નેતા એનકેપી સાળવે વગેરેના સંનિષ્ઠ પ્રયાસોથી 1987નો વિશ્વ કપ ભારતમાં (પાકિસ્તાન પણ સંયુક્ત યજમાન હતું) યોજાયો હતો જે રિલાયન્સ વર્લ્ડ કપ તરીકે ઓળખાયો હતો જેમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતેની ફાઇનલમાં ઇંગ્લૅન્ડને સાત રનથી હરાવીને ઑસ્ટ્રેલિયા પહેલી જ વાર વિશ્વ વિજેતા બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે ડબ્લ્યૂટીસીની 2021ની સાલની પ્રથમ સીઝનની ફાઇનલ ઇંગ્લૅન્ડના ઓવલમાં, 2023ની બીજી સીઝનની ફાઇનલ ઇંગ્લૅન્ડના જ સાઉધમ્પ્ટનમાં અને 2025ની ત્રીજી સીઝનની ફાઇનલ ઇંગ્લૅન્ડના જ લૉર્ડ્સમાં રમાઈ હતી. કહેવાય છે ને કે ઇતિહાસનું હંમેશાં એક યા બીજી રીતે પુનરાવર્તન થતું જ હોય છે.’ વન-ડેના પહેલા ત્રણેય વર્લ્ડ કપની ફાઇનલ ઇંગ્લૅન્ડમાં (લૉર્ડ્સમાં) રમાયા બાદ હવે છેલ્લા છ વર્ષ દરમ્યાન ડબ્લ્યૂટીસીની પહેલી ત્રણેય સીઝનની ફાઇનલ પણ ઇંગ્લૅન્ડમાં જ રમાઈ. જોકે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (RAVI SHASTRI)નું એવું કહેવું છે કે ઇંગ્લૅન્ડમાં કોઈ પણ મોટી સ્પર્ધાની ફાઇનલ રાખવામાં આવે તો ક્રિકેટના વિકાસમાં ઘણી મદદ મળે એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે, પણ હવે પછીની (2027ની સાલની) ડબ્લ્યૂટીસીની ફાઇનલ ભારતમાં કે ઑસ્ટ્રેલિયામાં યોજી શકાય.

રવિ શાસ્ત્રીનું એવું પણ કહેવું છે કે ` લૉર્ડ્સ આઇકૉનિક સ્ટેડિયમ ખરું અને ખૂબ લોકપ્રિય પણ છે, પરંતુ ત્યાં કંઈ 1,00,000 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ નથી. જોકે અમદાવાદ (AHMEDABAD)માં 1,00,000થી પણ વધુ પ્રેક્ષકો બેસી શકે એટલી જગ્યા છે. હવે પછીની ડબ્લ્યૂટીસીની ફાઇનલ અમદાવાદમાં રાખવી જોઈએ. ત્યાં આઇસીસીને આ ફાઇનલ માટે બહુ મોટું ક્રાઉડ મળશે. ઑસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) પણ સારું છે, ત્યાં પણ ફાઇનલ રાખી શકાય.’

ખાસ ઉલ્લેખનીય છે કે આઇસીસીએ 2027ની ડબ્લ્યૂટીસીની ફાઇનલનું સ્થળ થોડા મહિના પહેલાં જ નક્કી કરી લીધું હતું. 2027ની ફાઇનલ પણ લૉર્ડસમાં રાખવાની આઇસીસીની યોજના છે. બીસીસીઆઇએ આ ફાઇનલનું યજમાનપદ લેવા માટે પ્રયાસ કર્યો હતો, પણ તટસ્થ ટેસ્ટ મૅચોને સતત સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એ માટે જ ઇંગ્લૅન્ડની તરફેણ કરવામાં આવી રહી છે.રવિ શાસ્ત્રીનું કહેવું છે કે ભવિષ્યની ડબ્લ્યૂટીસીની કોઈ ફાઇનલ માટે પણ અમદાવાદને અગ્રતા આપી શકાશે.

આપણ વાંચો : ભારતીય ટીમે બીજી ટેસ્ટ માટે કઈ કચાશ દૂર કરવા ખૂબ પ્રૅક્ટિસ કરી?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button