`તને ટેસ્ટની કૅપ્ટન્સી ઑફર થાય તો તું સ્વીકારે?’ અશ્વિનના આવા સવાલના જવાબમાં જાડેજાએ કહ્યું કે…

નવી દિલ્હીઃ ઈંગ્લૅન્ડ ખાતેના આગામી ટેસ્ટ-પ્રવાસ માટેની ટીમનું સુકાન શુભમન ગિલને સોંપાયું છે અને વિકેટકીપર રિષભ પંતને વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે, પણ સિલેક્ટરોએ સુકાન સોંપવાની બાબતમાં જસપ્રીત બુમરાહ, વગેરેના નામ પર ચર્ચા કરવા ઉપરાંત સ્પિન-ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ના નામ પર પણ ચર્ચા કરી હતી કે નહીં એ ચર્ચાનો મુદ્દો છે. એનું કારણ એ છે કે ખુદ જાડેજાએ એક વાતચીતમાં કહ્યું છે કે ટેસ્ટનો સુકાની બનવાનું તેનું અધૂરું સપનું છે અને જો ગમે ત્યારે ઑફર થાય તો તે ટેસ્ટ કૅપ્ટન બનવા તૈયાર છે.
36 વર્ષના જાડેજાએ ભૂતપૂર્વ સાથી-સ્પિનર અને સ્પિન-જગતના લેજન્ડ્સમાં ગણાતા રવિચન્દ્રન અશ્વિન (R. Ashwin)ની યુટ્યૂબ ચૅનલ (YouTube channel) માટે આપેલી મુલાકાતમાં ટેસ્ટનો કૅપ્ટન બનવાની અધૂરી ઇચ્છાની વાત કરી છે તો તેની આ જ ઇચ્છાની જાણ (સીધી કે આડકતરી રીતે) કોઈને કોઈ તબક્કે સાથી ખેલાડીઓમાં અને બીસીસીઆઇમાં થઈ જ હોવી જોઈએ એવું માનીને ચાલીએ તો જાડેજાને આ વખતે કેમ સુકાન ન સોંપવામાં આવ્યું એ મોટો પ્રશ્ન છે.
શું ટેસ્ટનો સુકાની બનવાની તારી મહેચ્છા છે?’ એવું અશ્વિને મુલાકાત દરમ્યાન પૂછ્યું ત્યારે જાડેજાએ ફટ દઈને કહી દીધું કેહા, આટલા વર્ષોમાં હું વિવિધ કૅપ્ટનોના હાથ નીચે રમ્યો છું. દરેક સુકાનીની વિચારધારા અને માનસિકતાથી હું સુપરિચિત છું. તેમની કૅપ્ટન્સીમાં રમીને હું ખેલાડીઓની જરૂરિયાતો અને તેમની માનસિકતા વિશે શીખ્યો છું. મારી દૃષ્ટિએ ટેસ્ટની કૅપ્ટન્સી સરળ છે, પરંતુ એ બહુ ગણતરી માગી લે એવી પણ છે. આઇપીએલની કે ટી-20 ફૉર્મેટની કૅપ્ટન્સી જેવી એ મૂંઝવનારી નથી. એમાં તો દરેક બૉલમાં કંઈકને કંઈક નવું, અનોખું, અણધાર્યું કે પડકારરૂપ બનતું હોય છે.’
આપણ વાંચો: રિષભ પંતને 27 કરોડ રૂપિયાનો પૂરો પગાર નહીં મળે? કેમ?
જાડેજા 2012માં પ્રથમ ટેસ્ટ રમ્યો હતો. તેણે 13 વર્ષમાં 80 ટેસ્ટમાં 323 વિકેટ લીધી છે અને ચાર સેન્ચુરી તથા બાવીસ હાફ સેન્ચુરીની મદદથી 3,370 રન કર્યા છે. અણનમ 175 રન તેનો હાઇએસ્ટ ટેસ્ટ-સ્કોર છે.
મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં રમીને જાડેજા ઘણું શીખ્યો છે. ખરેખર તો જાડેજાએ ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં ધોનીના નેતૃત્વમાં જ કરીઅર શરૂ કરી હતી. તે આઇપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માં પણ ઘણા વર્ષો સુધી ધોની સાથે રમ્યો છે. ધોની વિશે જાડેજા કહે છે, ધોનીની વિચારશક્તિ અને અભિગમ સાવ અલગ છે. જો તેને લાગે કે હરીફ ટીમનો બૅટ્સમૅન ફલાણી દિશામાં ફલાણા સ્થાને વધુ શૉટ ફટકારીને રન બનાવી શકે તો તે તરત એવું પારખીને એક ફીલ્ડરને ત્યાં ઊભો રાખી દે છે અને બૅટસમૅનની યોજના ખોરવી નાખે છે.’ ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ તાજેતરમાં ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે જાડેજાને ટેસ્ટની ટીમનું સુકાન સોંપવાની અશ્વિને હિમાયત કરી હતી. અશ્વિને ત્યારે પોતાની ચૅનલ પર કહ્યું હતું કેશા માટે જાડેજાને કૅપ્ટન નથી બનાવી દેતા? તમે (સિલેક્ટરો) જો કોઈ નવી જ વ્યક્તિને કૅપ્ટન બનાવી દેવા માગતા હોય તો પછી 80 ટેસ્ટના અનુભવી જાડેજાને શા માટે નહીં?’