સ્પોર્ટસ

આઇસીસીએ અપનાવ્યા નવા નિયમોઃ અમ્પાયરોને વધુ સત્તા, ટેસ્ટમાં પણ સ્ટૉપ ક્લૉકનું ટિક…ટિક…ટિક…

દુબઈઃ ક્રિકેટના કાયદા ઘડતી ઇંગ્લૅન્ડની મૅરિલબૉન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા તૈયાર કરવામાં આવેલા તેમ જ ફેરફાર કરવામાં આવેલા કેટલાક મહત્ત્વના નિયમોને ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ અપનાવ્યા છે જેમાં ખાસ કરીને લાળ સંબંધિત નિયમ પણ સામેલ છે. બૉલ પર ખેલાડીની લાળ (SALIVA) લાગી હોય તો એ બૉલ બદલી નાખવો એવું અમ્પાયર (UMPIRE) માટે હવે ફરજિયાત નથી. બૉલ બદલવો કે નહીં એ અમ્પાયરો નક્કી કરશે. સ્ટૉપ-ક્લૉક (STOP CLOCK)નો નિયમ (RULE) વન-ડે ક્રિકેટ બાદ હવે ટેસ્ટ-ક્રિકેટમાં પણ લાગુ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ટરનૅશનલ મૅચમાં બૉલ પર લાળ લગાડવાની મનાઈ છે. બનતું એવું કે કેટલાક બોલર નવા બૉલની જરૂર પડતી ત્યારે બૉલ પર તેઓ વારંવાર લાળ લગાડતા હતા કે જેથી બૉલ ખરાબ થઈ જતો અને અમ્પાયર પાસે તેઓ નવા બૉલની માગણી કરતા હતા કે જેથી કરીને બોલિંગમાં તેમને ફાયદો થાય. જોકે હવે આઇસીસીએ નિયમ બનાવ્યો છે કે બૉલ પર જો લાળ લાગી જ હોય તો બૉલ બદલી જ નાખવો એ હવે અમ્પાયરો માટે ફરજિયાત નથી. બૉલ ત્યારે જ બદલવામાં આવશે જ્યારે બૉલ પૂરેપૂરો ભીનો થઈ ગયો હોય કે ખરાબ થઈ ગયો હોય. ટૂંકમાં, બૉલ બદલવાની પૂરેપૂરી સત્તા અમ્પાયરને અપાઈ છે.

આઇસીસીએ વન-ડે બાદ હવે ટેસ્ટ-ક્રિકેટમાં પણ સ્ટૉપ ક્લૉકનો નિયમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. એમાં ફીલ્ડિંગ કરનારી ટીમે પાછલી ઓવર પૂરી થયા બાદ એક મિનિટની (60 સેક્નડની) અંદર નવી ઓવર શરૂ કરવા માટે તૈયાર રહેવું પડશે. જો એવું નહીં થાય તો ફીલ્ડિંગ કરનારી ટીમને અમ્પાયર બે ચેતવણી આપશે. જો બે ચેતવણી પછી પણ ફીલ્ડિંગ કરનારી ટીમ કસૂર કરવાનું ચાલુ રાખશે તો એને પાંચ રનની પેનલ્ટી કરાશે. 80 ઓવર બાદ અમ્પાયરે જે પણ ચેતવણી આપી હશે એ શૂન્ય થઈ જશે. ટેસ્ટના વર્લ્ડ કપમાં (વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપમાં)ની નવી સીઝનમાં આ નિયમનો ઉપયોગ થઈ રહ્યો છે.

જો કોઈ બૅટ્સમૅનને વિકેટકીપરના હાથમાં કૅચઆઉટ થયેલો જાહેર કરવામાં આવે અને બૅટ્સમૅન ડીઆરએસ (ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ) હેઠળ અપીલ કરે જેમાં બૉલ તેના બૅટને અડીને ન ગયો હોય, પણ માત્ર પૅડને અડીને પાછળની દિશામાં ગયો હોય એવું અલ્ટ્રાએજમાં જોવા મળશે તો એ બૅટ્સમૅન કૅચની અપીલમાં નૉટઆઉટ ગણાશે. જોકે નવા નિયમ મુજબ બૉલ-ટ્રૅકિંગ ગ્રાફિકમાં અમ્પાયરના મૂળ નિર્ણયમાં ` આઉટ’ જણાવાયું હશે તો એ નિર્ણયને કૅચઆઉટ ઉપરાંત એલબીડબ્લ્યૂ માટેની રિવ્યૂ તરીકે પણ ગણવામાં આવશે અને જો બૉલ-ટ્રૅકિંગમાં બૉલ બૅટ્સમૅનના પૅડને અડક્યો હોય અને તે સ્ટમ્પ્સની લાઇનમાં હશે તેને લેગ બિફોર વિકેટ આઉટ આપવામાં આવશે.

શૉર્ટ રનની બાબતમાં પણ નિયમ બદલાયો છે. જો કોઈ બૅટ્સમૅન રન દોડી રહ્યો હોય અને વધુ એક રન લઈ શકાય એ હેતુથી પાછલા રન વખતે તે ક્રીઝમાં ન પહોંચ્યો હોય અને બીજો રન લેવા દોડ્યો હોય તો એ સ્થિતિમાં નવા બૉલનો સામનો કયા બૅટ્સમૅને કરવો એ ફીલ્ડિંગ કરતી ટીમના કૅપ્ટન પર છોડવામાં આવશે. એ ઉપરાંત, બૅટિંગ કરતી ટીમને પાંચ રનની પેનલ્ટી પણ કરાશે.

બીજી જુલાઈથી વન-ડેમાં 35મી ઓવરથી થનારી રમતમાં એક જ બૉલ વપરાશે. બીજી રીતે કહીએ તો બે નવા બૉલને બદલે એક જ બૉલથી રમવાનું ફરજિયાત રહેશે. આને લીધે બોલરને વધુ સારા રિવર્સ-સ્વિંગ મળશે તેમ જ ઇનિંગ્સમાં પછીથી સ્પિનર્સને પણ ફાયદો થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button