જય શાહની ‘મન કી બાત’ સાંભળતાં જ રોહિત ખૂબ હસવા લાગ્યો…

મુંબઈ: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ના ચેરમૅન જય શાહે તાજેતરમાં મુંબઈના એક કાર્યક્રમમાં પ્રવચન દરમ્યાન રોહિત શર્માની કેપ્ટન્સીને ખૂબ બિરદાવી અને તેને કેપ્ટન તરીકે ઓળખાવ્યો એ સાથે જ નજીકમાં બેઠેલો ખુદ રોહિત શર્મા ખૂબ હસી પડ્યો હતો. બાજુમાં બેઠેલી પત્ની રિતિકા પણ ખૂબ હસી હતી. રોહિત અને રિતિકાની આસપાસ બેઠેલા શાહરુખ ખાન તેમ જ ભારતીય મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર તેમ જ અન્ય મહેમાનોએ પણ રોહિતને તેમ જ ભારતીય ક્રિકેટને ગૌરવ અપાવતી જય શાહની આ ટિપ્પણીને વધાવી લીધી હતી.
બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઈ)ના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહે ખાસ કરીને 2024ના ટી-20 વર્લ્ડ કપની અને 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીની રોહિત શર્માની કેપ્ટન્સીની ભારોભાર પ્રશંસા કરી હતી.
Jay Shah : “our captain Rohit Sharma is sitting here. I am still calling you captain because under you, we won two ICC trophies”.
— Kusha Sharma (@Kushacritic) January 8, 2026
Jay Shah is grateful to Rohit Sharma for ending the drought of ICC trophies for India pic.twitter.com/7xjVZdjkwQ
વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત 264 રનનો વર્લ્ડ રેકૉર્ડ ધરાવતા અને આ જ ફૉર્મેટમાં વિશ્વમાં સૌથી વધુ ત્રણ ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત ટી-20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પણ હજી વન-ડે ક્રિકેટ રમે છે. જોકે વન-ડે ટીમમાં તેના સ્થાને હવે શુભમન ગિલને સુકાન સોંપવામાં આવ્યું છે. ટેસ્ટની કેપ્ટન્સી પણ ગિલને સોંપાઈ છે, જ્યારે ટી-20 ટીમનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે. રોહિત શર્મા હવે ભારતીય કેપ્ટન નથી, પરંતુ વન-ડે મૅચ દરમ્યાન ગિલ તેમ જ બીજા યુવાન ખેલાડીઓને માર્ગદર્શન જરૂર આપતો રહે છે.
38 વર્ષનો રોહિત શર્મા હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન નથી એમ છતાં જય શાહે તાજેતરમાં રિલાયન્સ ફાઉન્ડેશનની એક ઇવેન્ટમાં સ્પીચ દરમ્યાન રોહિત શર્માને ‘ કેપ્ટન રોહિત’ તરીકે ઓળખાવ્યો હતો.
આ પણ વાંચો…ઓલિમ્પિક 2036માં 100 મેડલનો લક્ષ્યાંક, જેમાં 10 તો માત્ર ગુજરાતના જ હશે: જય શાહ
ભારતના પુરુષ અને મહિલા વિશ્વ વિજેતા ક્રિકેટરો માટેની ‘ યુનાઈટેડ ઈન ટ્રાયમ્ફ’ નામની આ ઇવેન્ટમાં પ્રવચન દરમ્યાન જય શાહે કહ્યું, ‘ આપણા કેપ્ટન અહીં જ બેઠા છે. હું તો તેને કેપ્ટન તરીકે જ બોલાવીશ, કારણકે તેમણે ભારતને બે આઈસીસી ટ્રોફી અપાવી છે. 2023ના વન-ડે વર્લ્ડ કપમાં આપણે લાગલગાટ દસ મૅચ જીત્યા ત્યાર બાદ આપણે ટ્રોફી નહોતા જીતી શક્યા, પરંતુ સૌના દિલ જરૂર જીતી લીધા હતા. મેં ફેબ્રુઆરી 2024માં રાજકોટમાં કહ્યું જ હતું કે આગામી વર્લ્ડ કપમાં (2024 ના ટી-20 વિશ્વ કપમાં) આપણે સૌના દિલ અને ટ્રોફી બંને જીતીશું.’
2024ના ટી-20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતે ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.



