હર્ષિત રાણાને ભારતીય ટીમમાંથી છૂટો કરાયો, બર્મિંગહૅમ નથી લઈ ગયા

બર્મિંગહૅમઃ 23 વર્ષના ફાસ્ટ બોલર હર્ષિત રાણા (Harshit Rana)ને લીડ્સની પ્રથમ ટેસ્ટ માટેના 18 ખેલાડીઓના સ્ક્વૉડમાં 19મા ખેલાડી તરીકે સમાવવામાં આવ્યો હતો, પણ હવે તેને ટીમમાંથી છૂટો (release) કરી દેવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડ (England) સામેની બીજી ટેસ્ટ બુધવાર, બીજી જુલાઈથી બર્મિંગહૅમ (Birmingham)માં રમાશે અને હર્ષિતને ટીમ સાથે બર્મિંગહૅમ નથી લઈ જવામાં આવ્યો. તેને નજીવી ઈજા હોવાનું મનાય છે.
હર્ષિત ઑસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ રમ્યો હતો જેમાં તેનો પર્ફોર્મન્સ સાધારણ હતો. ઇંગ્લૅન્ડમાં તે ઇન્ડિયા એ’ ટીમમાં હતો, પણ એમાં પણ તે ઇંગ્લૅન્ડ લાયન્સ સામેની બિનસત્તાવાર ટેસ્ટમાં સારું પર્ફોર્મ નહોતો કરી શક્યો, કારણકે તેને 27 ઓવરમાં 99 રનના ખર્ચે માત્ર એક વિકેટ મળી હતી. બીસીસીઆઇના એક સૂત્રએ નામ જાહેર ન કરવાની શરતે પીટીઆઇને જણાવ્યું હતું કે હર્ષિત રાણાને સ્ક્વૉડમાંથી છૂટો કરી દેવાયો છે. બીજી જુલાઈએ બર્મિંગહૅમમાં બીજી ટેસ્ટ શરૂ થશે, પરંતુ તેને ટીમ સાથે ત્યાં નથી લઈ જવાયો.’
આ પણ વાંચો: બુમરાહ બીજી ટેસ્ટમાં નહીં રમે? સાઇ સુદર્શનને વળી શું થયું?
પર્થમાં ઑફ-કટરથી ટ્રૅવિસ હેડના ડિફેન્સિવ અભિગમને ભેદીને તેને આઉટ કરવા બદલ જાણીતો હર્ષિત હજી રેડ બૉલની ક્રિકેટ (ટેસ્ટ-ક્રિકેટ) રમવા હજી પૂરેપૂરો ઘડાયો નથી એવું નિષ્ણાતોને થોડા સમયથી જોવા મળ્યું છે.
હેડ-કોચ ગૌતમ ગંભીરે ભારતની પ્રથમ ટેસ્ટની હાર પછી કહ્યું હતું કે ` હર્ષિત રાણા વિશે હું ચીફ સિલેક્ટર સાથે ચર્ચા કરી લઈશ. તેને નજીવી ઈજાને કારણે બર્મિંગહૅમ નથી લઈ જવાયો. બાકી બધુ ઠીક છે. હું આગરકર સાથે ચર્ચા કરીને પછી નિર્ણય લઈશ.’