ગૌતમ ગંભીર ઈંગ્લૅન્ડનો પ્રવાસ અધવચ્ચે છોડીને કેમ ભારત પાછો આવી ગયો?

યૉર્કશરઃ ભારતના ટેસ્ટ ખેલાડીઓ પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી રમવા ઇંગ્લૅન્ડ આવ્યા છે અને 20મી જૂને શરૂ થનારી પ્રથમ ટેસ્ટ માટેની તૈયારીઓમાં વ્યસ્ત છે ત્યાં તેમનો મુખ્ય કોચ ગૌતમ ગંભીર (GAUTAM GAMBHIR) ઈંગ્લેન્ડની ટૂર અધવચ્ચે છોડીને ભારત પાછો આવી ગયો છે. આ નિર્ણય પાછળનું કારણ તેના માતા (mother) સીમા ગંભીરને હૃદયરોગનો હુમલો આવતાં દિલ્હીની હૉસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સ્થિતિ હવે સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૌતમ ગંભીરના માતા બુધવારે હાર્ટ અટૅક (heart attack)નો શિકાર થયા હતા જેને પગલે ગંભીર તેના પરિવાર સાથે તાબડતોબ ભારત આવવા રવાના થયો હતો. આ ઘટનાએ ટીમ ઈન્ડિયાના ચાહકોમાં ચિંતા જગાવી છે, કારણ કે ગંભીરની ગેરહાજરીથી ટીમની તૈયારીઓ પર વિપરીત અસર પડી શકે. જો ગંભીરના મમ્મીની તબિયત સારી થઈ જશે તો ગૌતમ ગંભીર અઠવાડિયાની અંદર (20મી જૂને લીડ્સમાં શરૂ થનારી પ્રથમ ટેસ્ટ પહેલાં જ) ઇંગ્લૅન્ડ પહોંચી જશે.
ગંભીરે ઇંગ્લૅન્ડથી પાછા આવવું પડ્યું હોવાથી શુક્રવારે ટીમ ઇન્ડિયાની બેકનહૅમમાં ઇન્ડિયા `એ’ સામે શરૂ થયેલી ચાર દિવસની પ્રૅક્ટિસ મૅચમાં ગંભીરની ગેરહાજરીમાં બાકીના સપોર્ટ સ્ટાફે ટીમને કોચિંગ આપવાની સંપૂર્ણ જવાબદારી સંભાળી લીધી હતી. ગૌતમ ગંભીરના સ્થાને સહાયક કોચ રાયન ટેન ડૉશ્ચેટે કોચિંગની મુખ્ય જવાબદારી સંભાળી લીધી છે. તેમની સાથે બોલિંગ-કોચ મૉર્ની મૉર્કલ તેમ જ બૅટિંગ-કોચ સિતાંશુ કોટક પણ છે.
ઈંગ્લેન્ડ સામે આગામી શુક્રવારે શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ગંભીરની હાજરી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે આ યુવા ટીમ અને યુવા કેપ્ટનની આગેવાની હેઠળનો પ્રવાસ છે. ગંભીરનો અનુભવ અને માર્ગદર્શન ટીમનું મનોબળ વધારવા માટે મહત્વપૂર્ણ છે. ગૌતમ ગંભીરના પરિવાર પર આવેલું આ સંકટ જલદી ટળે અને તેઓ જલ્દી ટીમ સાથે જોડાશે. એવી ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. તેમની ગેરહાજરી ટૂંકા ગાળા માટે હોવા છતાં, ટીમની તૈયારીઓ પર તેની અસર પડી શકે છે.
આપણ વાંચો : બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ રમશે? હેડ-કોચ ગૌતમ ગંભીર કહે છે કે…