ગાંગુલી કહે છે, ` રોહિત સાથે વાત કર્યા પછી જ ગિલને વન-ડેનો કૅપ્ટન બનાવાયો હશે’

કોલકાતાઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બીસીસીઆઇના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ ભારતની વન-ડે ટીમની કૅપ્ટન્સી શુભમન ગિલને સોંપવાના નિર્ણયને ગુરુવારે ટેકો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે ` મને લાગે છે કે રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમની કૅપ્ટન્સી પાછી લઈ લેવાનું પગલું રોહિત સાથેની ચર્ચા પછી જ લેવાયું હશે.’
રોહિત (Rohit)ના સુકાનમાં ભારતે ઘણી મૅચો જીતી હતી, પરંતુ 2024નો ટી-20 વર્લ્ડ કપ અને 2025ની વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફી કૅપ્ટન તરીકે તેની સૌથી મોટી બે સફળતા હતી.
આપણ વાંચો: વ ગાંગુલી બની ગયો હેડ-કોચઃ અચાનક આ મોટી જવાબદારી સ્વીકારી લીધી!
શુભમન ગિલ (Gill)ને ટેસ્ટમાં પહેલી વાર સુકાન સોંપાયું ત્યાર બાદ ભારતની પ્રથમ ટેસ્ટ શ્રેણી તાજેતરમાં ઇંગ્લૅન્ડમાં રમાઈ હતી અને એ શ્રેણી ભારતે પાંચ ટેસ્ટની શ્રેણી 2-2થી ડ્રૉ કરાવી હતી.
ગાંગુલીએ એક જાણીતી બ્રેન્ડ માટે પોતાને ઍમ્બેસેડર નિયુક્ત કરાયો એ પ્રસંગે આયોજિત સમારંભને સંબોધતા કહ્યું હતું કે ` મને લાગે છે કે બહારથી રોહિત સાથે ચર્ચા કર્યા પછી જ ગિલને વન-ડેની પણ કૅપ્ટન્સી આપવાનો નિર્ણય લેવાયો હશે.
આપણ વાંચો: સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…
અંદર શું બન્યું હશે એની તો મને ખબર નથી, પરંતુ બહારથી આ મુદ્દે નિર્ણય લેતાં પહેલાં જરૂર રોહિત સાથે વાતચીત કરવામાં આવી હશે. મને લાગી રહ્યું છે કે આ નિર્ણય ખોટો નથી. રોહિત વન-ડે મૅચો રમતો રહેશે અને સાથે-સાથે યુવાન કૅપ્ટન (ગિલ)ને માર્ગદર્શન આપતા રહીને તૈયાર પણ કરતો રહેશે. એ જોતાં, મને તો આ નિર્ણયમાં કંઈ જ ખોટું નથી દેખાતું.’
ભારત આગામી 19મી ઑક્ટોબરથી ઑસ્ટ્રેલિયામાં ત્રણ વન-ડે રમશે. રોહિત-વિરાટ એ શ્રેણી પછી પાછા આવી જશે, પરંતુ ત્યાર બાદ ભારતની ટી-20 ટીમ કાંગારૂઓ સામે પાંચ ટી-20 મૅચ રમશે.