શ્રેયસને સિલેક્ટ ન કરવા બદલ ગાંગુલી ગુસ્સામાં, સિરીઝ જીતવા માટે બે મંત્ર પણ આપ્યા

નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયેલી ભારતની ટેસ્ટ ટીમમાં મિડલ-ઑર્ડરના બૅટ્સમૅન શ્રેયસ ઐયર (Shreyas Iyer)નો સમાવેશ ન કરવા બદલ ભૂતપૂર્વ કૅપ્ટન અને ભૂતપૂર્વ બીસીસીઆઇ-પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)એ નારાજગી વ્યક્ત કરી છે. ગાંગુલી એક સમયે ચીફ સિલેક્ટર અજિત આગરકરનો પ્રશંસક હતો, પણ શ્રેયસને ટેસ્ટ ટીમમાં સામેલ ન કરવા બદલ તે આગરકરના અધ્યક્ષસ્થાન હેઠળની સિલેક્શન કમિટી પર ગુસ્સે છે.
ગાંગુલીનું માનવું છે કે `શ્રેયસ હવે ફાસ્ટ બોલરના શૉર્ટ બૉલ (short ball)ને સારી રીતે રમી શકે છે. તેણે એ નબળાઈ દૂર કરી લીધી છે. એટલું જ નહીં, માનસિક દબાણવાળી ઇનિંગ્સમાં ટીમને તે ખૂબ ઉપયોગી પણ થઈ શકે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં સારું પર્ફોર્મ કરવાની હવે તેને સારી ફાવટ છે અને ખાસ કરીને મર્યાદિત ઓવરવાળી મૅચમાં તેનો દેખાવ અસાધારણ છે. એક વર્ષથી તે ખૂબ સારું રમી રહ્યો છે.’
શ્રેયસ 2023ના વન-ડે વર્લ્ડ કપમાં તેમ જ તાજેતરમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટોચના બૅટ્સમેનોમાં ગણાયો હતો. તેણે 2024માં કોલકાતાને આઇપીએલની ટ્રોફી અપાવી હતી અને આ વખતે કુલ 604 રન કરીને પંજાબ કિંગ્સને રનર-અપ બનાવ્યું હતું. ગાંગુલીના મતે આ બધી સિદ્ધિઓ જોતાં શ્રેયસનો ટેસ્ટ ટીમમાં સમાવેશ થવો જ જોઈતો હતો. ગાંગુલીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, `ભલે ટેસ્ટ-ક્રિકેટનું ફૉર્મેટ અલગ છે, પણ હું જો સિલેક્ટર હોત તો મેં શ્રેયસને ટેસ્ટ ટીમમાં લેવડાવ્યો જ હોત.’
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ગયા હોવાથી ભારતીય બૅટિંગ લાઇન-અપમાં હવે મોટો બોજ કૅપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત પર આવી ગયો છે.
ગાંગુલીએ 20મી જૂને ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણી વિશે એવું પણ કહ્યું છે કે `જસપ્રીત બુમરાહની ફિટનેસ પર મોટો આધાર રહેશે. બીજું, ભારતની બૅટિંગ ખૂબ સારી હોવી જોઈશે. 2020-’21માં આપણે યુવા ખેલાડીઓને ઑસ્ટ્રેલિયા મોકલી હતી અને સિરીઝ જીતી લીધી હતી. એ સિરીઝમાં રોહિત અને કોહલી નહોતા. એ જોતાં મને લાગે છે કે આ વખતે ઇંગ્લૅન્ડમાં આપણી યુવા ટીમ સિરીઝ જીતી શકે એમ છે.’
આ પણ વાંચો - રોહિતના ફોર્મ પર BCCIને શંકા! સિલેક્ટર્સ શોધી રહ્યા છે વનડે માટે નવો કેપ્ટન
ગાંગુલીએ બુમરાહના મુદ્દે એવું પણ કહ્યું હતું કે `કૅપ્ટન શુભમન ગિલે બુમરાહનો સમજદારીથી ઉપયોગ કરવો જોઈશે. દિવસના ભાગમાં તેને વધુમાં વધુ 12 ઓવર બોલિંગ આપવી જોઈએ. શુભમને બુમરાહનો ઉપયોગ મુખ્ય વિકેટ-ટેકિંગ બોલર તરીકે જ કરવો જોઈએ. બુમરાહ પાસે શરૂઆતના ભાગમાં 12 ઓવર બોલિંગ કરાવવામાં આવશે અને તેને મુખ્ય બોલર તરીકે જ ગણવામાં આવશે તો પછીથી તે ટીમને ઘણો કામ લાગી શકશે.’