આરામના દિવસો ગયા, દરેક બૉલને જંગ સમજીને રમજોઃ ટીમ ઇન્ડિયાને ગૌતમ ગંભીરની સૂચના

લીડ્સઃ ઇંગ્લૅન્ડના ટેસ્ટ-પ્રવાસે આવેલી ભારતીય ટીમને હેડ-કોચ ગૌતમ ગંભીરે નિરાંતના મિજાજમાંથી બહાર આવીને એવી રીતે રમવાની તૈયારી કરવાની સૂચના આપી છે કે ખાસ કરીને વિરાટ કોહલી, રોહિત શર્મા અને આર. અશ્વિનની નિવૃત્તિ પછીની આ પ્રથમ ટેસ્ટ શ્રેણી (TEST SERIES) ભારત માટે યાદગાર બની જાય.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની પાંચમાંથી પ્રથમ ટેસ્ટ 20મી જૂને લીડ્સના હેડિંગ્લી ગ્રાઉન્ડમાં રમાશે.
ઇંગ્લૅન્ડમાં ભારત 2007ની સાલ પછી ટેસ્ટ સિરીઝ નથી જીત્યું એટલે શુભમન ગિલના સુકાનમાં ભારત જો આ શ્રેણી જીતશે તો 18 વર્ષમાં બ્રિટિશ ધરતી પણ આ પ્રથમ ટેસ્ટ શ્રેણી વિજય કહેવાશે.
ટીમ ઇન્ડિયાની પ્રતિબદ્ધતાથી પ્રભાવિત
ગૌતમ ગંભીરે (GAUTAM GAMBHIR) બીસીસીઆઇની ટીવી ચૅનલને મુલાકાતમાં જણાવ્યું હતું કે ભારતીય ટીમની આ ટૂરને બે દૃષ્ટિકોણથી જોવામાં આવશે. એક તો અમારી ટીમ ત્રણ સૌથી અનુભવી ખેલાડીઓ વિનાની છે. બીજું, તેમની ગેરહાજરીમાં દેશ માટે કંઈક વિશેષ કરવાની ટીમને અમૂલ્ય તક મળી છે જે ઝડપી લેવાની છે. ગિલ (SHUBHMAN GILL)ના સુકાનમાં ઇંગ્લૅન્ડ આવેલી ભારતીય ટીમના ખેલાડીઓમાં મને એ પૅશન અને પ્રતિબદ્ધતા દેખાઈ રહી છે.' ગૌતમ ગંભીરે એવું પણ કહ્યું હતું કે
મને વર્તમાન ટેસ્ટ ટીમના ખેલાડીઓમાં સફળતા મેળવવાની ભૂખનો અહેસાસ થઈ રહ્યો છે. તેમનામાં આ ટેસ્ટ શ્રેણી રમવાના જોશ તથા જુસ્સાની તેમ જ કટિબદ્ધતાની પ્રતીતિ થઈ રહી છે. જો ખેલાડીઓ નિરાંતના મિજાજમાંથી બહાર આવશે અને માત્ર પ્રત્યેક દિનને જ નહીં, દરેક સત્રને, દરેક કલાકને અને દરેક બૉલને જંગ સમજીને રમશે તો મને લાગે છે કે અમારા માટે આ પ્રવાસ યાદગાર બની રહેશે.’
સુદર્શન-અર્શદીપની ભરપૂર પ્રશંસા
ઓપનિંગ બૅટ્સમૅન સાઇ સુદર્શન અને લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યા છે અને ગૌતમ ગંભીરે તેમનું ટેસ્ટની ટીમ ઇન્ડિયામાં સ્વાગત કર્યું હતું. ગંભીરે તેમના વિશે કહ્યું, સુદર્શનના ત્રણ ખૂબ જ સારા ગયા છે. તેને મારી સલાહ છે કે તેણે રેડ બૉલની આ ટૂરને ખૂબ જ યાદગાર બનાવવાની છે. અર્શદીપ સિંહ વિશે કહેવાનું કે વાઇટ બૉલમાં તેં ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે અને મને ખાતરી છે કે હવે તું રેડ બૉલથી પણ ઉત્કૃષ્ટ પર્ફોર્મ કરીશ.' ગૌતમ ગંભીરે કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ-કૅપ્ટન રિષભ પંતની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે
પહેલી વાર ટેસ્ટનો સત્તાવાર કૅપ્ટન બનવા બદલ હું ગિલને અભિનંદન આપું છું. દેશની ટેસ્ટ ટીમનું નેતૃત્વ સંભાળવાથી મોટું ગૌરવ બીજું કોઈ જ ન હોઈ શકે. રિષભને પણ અભિનંદન. તે પણ ટીમના નેતૃત્વના ગ્રૂપનો મુખ્ય હિસ્સો છે.’
આ પણ વાંચો - ‘ભારતીય ટીમમાં પ્રતિભા તો છે પણ…’ ઇંગ્લેન્ડના વાઇસ-કેપ્ટનને પડકાર ફેંક્યો
કરુણ નાયરનું કમબૅક પ્રેરણારૂપઃ ગંભીર
હેડ-કોચ ગૌતમ ગંભીરે સાત વર્ષે ટેસ્ટ ટીમમાં કમબૅક કરનાર બૅટ્સમૅન કરુણ નાયર વિશે કહ્યું કે ` કમબૅક ક્યારેય આસાન નથી હોતું. સાત વર્ષે કમબૅક કરનાર કરુણ નાયરે છેલ્લાં એક વર્ષમાં બહુ સારો દેખાવ કર્યો છે. તેં ઘણા રન કર્યા છે અને ખાસ તો મરતે દમ તક લડવાનો તારો અભિગમ પ્રશંસાને પાત્ર છે અને એ અભિગમને લીધે જ તું ટીમ ઇન્ડિયામાં કમબૅક કરી શક્યો છે. તારું આ કમબૅક ટીમના બીજા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે. વેલકમ, કરુણ નાયર.’