સ્પોર્ટસ

હું દિલીપભાઈને પહેલી વાર યુકેમાં મળેલો, તેમણે નેટમાં મારી સામે બોલિંગ કરી હતીઃ સચિન

નામાંકિત ગુજરાતી સ્પિનર દિલીપ દોશીનું 77 વર્ષની ઉંમરે નિધનઃ તેમણે 33 ટેસ્ટમાં 114 અને 15 વન-ડેમાં બાવીસ વિકેટ લીધી હતી

નવી દિલ્હીઃ 1979થી 1983 દરમ્યાન ભારત વતી ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દી રમવા છતાં વિશ્વ વિખ્યાત બનેલા લેફ્ટ-આર્મ સ્પિનર દિલીપ દોશી (Dilip Doshi)નું સોમવારે લંડનમાં 77 વર્ષની વયે અવસાન થયું હતું અને તેમને ભારતીય ક્રિકેટમાંથી અનેક ક્રિકેટરોએ અંજલિ (condolence) આપી છે જેમાં ખાસ કરીને બૅટિંગ-લેજન્ડ સચિન તેન્ડુલકરે કહ્યું હતું કે ` હું દિલીપભાઈને પહેલી વાર ઇંગ્લૅન્ડમાં મળ્યો હતો જ્યાં તેમણે નેટ પ્રૅક્ટિસમાં મારી સામે બોલિંગ કરી હતી.’

ચશ્માધારી સ્પિનર દિલીપ રસિકલાલ દોશીનો જન્મ ડિસેમ્બર, 1947માં રાજકોટમાં થયો હતો. તેમની કરીઅર પીઢ લેફ્ટ-આર્મ સ્પિનર બિશનસિંહ બેદીના સમયકાળમાં જ શરૂ થઈ હતી એટલે તેમને બહુ રમવા નહોતું મળ્યું, પણ ભારતીય ક્રિકેટને તેમણે બહુમૂલ્ય યોગદાન આપ્યું હતું. તેમણે 33 ટેસ્ટમાં 114 વિકેટ લીધી હતી.

દિલીપ દોશી ક્રિકેટની કરીઅર બાદ ઇંગ્લૅન્ડમાં સ્થાયી થયા હતા અને ઘણા દાયકાઓથી ત્યાં રહેતા હતા. હૃદયને લગતી બીમારીને કારણે તેમનું અવસાન (death) થયું.

ફેબ્રુઆરી, 1981માં મેલબર્નની ટેસ્ટમાં ગે્રગ ચૅપલની કૅપ્ટન્સીમાં રમનાર ઑસ્ટ્રેલિયા સામે ભારતે સુનીલ ગાવસકરના સુકાનમાં 59 રનથી જે વિજય મેળવ્યો એમાં દિલીપ દોશીનો મૅચ-વિનિંગ પર્ફોર્મન્સ હતો. તેમણે પ્રથમ દાવમાં 109 રનમાં ત્રણ વિકેટ અને બીજા દાવમાં 33 રનમાં બે વિકેટ લીધી હતી. એ ટેસ્ટમાં ગુંડપ્પા વિશ્વનાથ (114 રન અને 30 રન) મૅન ઑફ ધ મૅચ બન્યા હતા.

દિલીપ દોશીને અંજલિમાં કોણે શું કહ્યું

સચિન તેન્ડુલકરઃ

દિલીપભાઈ દોશી ખૂબ જ પ્રેમાળ સ્વભાવવાળા હતા. અમે 1990માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગયા હતા ત્યારે હું પહેલી વાર તેમને મળ્યો હતો અને એ ટૂર દરમ્યાન તેમણે નેટ પ્રૅક્ટિસમાં મારી સામે બોલિંગ કરી હતી. તેમને મારો પર્ફોર્મન્સ ખૂબ ગમતો હતો અને મેં પણ તેમની શાનદાર કરીઅરને બિરદાવી હતી. આપણને સૌને તેમની ખૂબ ખોટ વર્તાશે. ખાસ કરીને અમે ક્રિકેટની બાબતમાં જે ચર્ચા કરતા હતા એ મને બહુ યાદ આવ્યા કરશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. ઓમ શાંતિ.

રવિ શાસ્ત્રીઃ

દિલીપભાઈ વ્યક્તિ તરીકે શ્રેષ્ઠ હતા અને ઉમદા સ્પિનર હતા. તેમના અવસાનના સમાચાર જાણીને મને ખૂબ દુઃખ થયું. તેમના પરિવારને હું હૃદયપૂર્વક અંજલિ પાઠવું છું.

ફરોખ એન્જિનિયરઃ

મેં મારા ગાઢ મિત્ર દિલીપ દોશીના નિધનના સમાચાર સાંભળ્યા ત્યારે પહેલાં તો મારા માનવામાં જ નહોતું આવ્યું. તેઓ પહેલી વાર ઇંગ્લૅન્ડ આવ્યા ત્યારે થોડો સમય મારી સાથે રહ્યા હતા. તેમના અવસાન વિશે જાણીને મને ખૂબ આઘાત લાગ્યો છે. તેમના પત્ની કાલિંદી અને અન્ય પરિવારજનો પ્રત્યે હું શોક વ્યક્ત કરું છું. ઈશ્વર મારા ખાસ દોસ્તના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.

સુનીલ જોશીઃ

દિલીપભાઈના નિધન વિશે જાણ્યું ત્યારે મારા માનવામાં જ નહોતું આવ્યું. હજી પણ માનવામાં નથી આવતું. હજી ગયા બુધવારે મેં ફોન પર તેમની સાથે વાતચીત કરી ત્યારે તેઓ સ્વસ્થ લાગ્યા હતા. મારી દૃષ્ટિએ દિલીપ સર લેજન્ડરી સ્પિનર છે. તેમના પુત્ર અને ભૂતપૂર્વ ક્રિકેટર નયન દોશી તથા સમગ્ર દોશી પરિવારને મારો શોકસંદેશ પાઠવું છું.

બીસીસીઆઇ-પ્રમુખ રૉજર બિન્નીઃ

દિલીપ દોશીના અવસાનના સમાચાર જાણીને અમને સૌ કોઈને આઘાત લાગ્યો છે. સ્પિન બોલિંગની બાબતમાં તેમનામાં ગજબનું કૌશલ્ય હતું. તેઓ ખરા અર્થમાં સ્પિનર હતા અને મેદાનની બહાર પણ સજ્જન તરીકેની તેમની ખ્યાતિ હતી. ક્રિકેટની રમત પર તેમની અસર અપ્રતિમ હતી. ભારતીય ક્રિકેટમાં તેમણે આપેલું યોગદાન હંમેશાં યાદ રખાશે. તેઓ પોતાની કુશળતા તથા નિષ્ઠાની ભાવનાથી તેમના પછીની પેઢીના ક્રિકેટરો માટે પ્રેરણારૂપ બન્યા.

દિલીપ દોશીની કરીઅર પર એક નજરઃ

ટેસ્ટ-કરીઅરઃ

લેફ્ટ-આર્મ સ્પિનર દિલીપ દોશી સપ્ટેમ્બર 1979થી સપ્ટેમ્બર 1983 દરમ્યાન ભારત વતી 33 ટેસ્ટ રમ્યા હતા જેમાં તેમણે 114 વિકેટ લીધી હતી. તેમણે 32 વર્ષની ઉંમરે ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી. તેમણે છ વખત ટેસ્ટના દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી. 1982માં મૅન્ચેસ્ટરમાં એક દાવમાં 102 રનમાં લીધેલી છ વિકેટનો પર્ફોર્મન્સ તેમની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. જોકે 1979માં ચેન્નઈમાં ઑસ્ટ્રેલિયા સામે રમીને તેમણે ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું ત્યારે પહેલી જ 103 રનમાં છ વિકેટ લીધી હતી. તેઓ 1983માં બેંગલૂરુમાં પાકિસ્તાન સામે કરીઅરની આખરી ટેસ્ટ રમ્યા હતા.

વન-ડે કરીઅરઃ

દિલીપ દોશીએ 15 વન-ડેમાં 3.96ના ઇકોનોમી-રેટ સાથે કુલ બાવીસ વિકેટ લીધી હતી. 1980માં બ્રિસ્બેનમાં ન્યૂ ઝીલૅન્ડ સામે 4/30 વન-ડે ક્રિકેટમાં તેમનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. તેઓ 1980માં મેલબર્નમાં ઑસ્ટ્રેલિયા સામે કરીઅરની પ્રથમ વન-ડે રમ્યા હતા. જેમાં તેમણે 32 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. 1982માં મુલતાનમાં પાકિસ્તાન સામેની મૅચ તેમની કારકિર્દીની આખરી વન-ડે હતી જેમાં તેમને 58 રનમાં એક પણ વિકેટ નહોતી મળી.

ફર્સ્ટ-ક્લાસ કરીઅરઃ

દિલીપ દોશીએ પ્રથમ કક્ષાની ક્રિકેટમાં 238 મૅચમાં 898 વિકેટ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button