બુમરાહે મૌન તોડ્યું, કહી દીધું કે કૅપ્ટન્સી માટે સિલેક્ટરોને મેં…

લીડ્સઃ રોહિત શર્માએ ટેસ્ટમાંથી ઓચિંતી નિવૃત્તિ લઈ લેવાને પગલે ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ શ્રેણી માટે નવો કૅપ્ટન નીમવાનો સમય આવ્યો ત્યારે અજિત આગરકર અને તેમના સાથી પસંદગીકારો વચ્ચે લાંબી ચર્ચા થયા બાદ છેવટે શુભમન ગિલ પર કળશ ઢોળવામાં આવતાં જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH)ના નામ વિશે સોશિયલ મીડિયામાં જાત જાતની અટકળો થવા લાગી હતી, પણ હવે ખુદ બુમરાહે ખુલાસો કરી દીધો છે.
બુમરાહે પોતે જ કહ્યું છે કે વર્કલૉડ મૅનેજમેન્ટના ભાગ તરીકે આઇપીએલ દરમ્યાન તેણે પોતે જ ટેસ્ટની કૅપ્ટન્સી (captaincy) નકારી કાઢી હતી તેમ જ બીસીસીઆઇ (BCCI)ને વાકેફ કરી હતી કે તે ટીમનું નેતૃત્વ સ્વીકારવાને બદલે બોલિંગની જવાબદારીને અગ્રતા આપવા માગે છે.
આપણ વાંચો: IPL 2025: MIની વિરોધી ટીમો સાવધાન! જસપ્રીત બુમરાહ ઘાતક બોલિંગ કરવા તૈયાર
બુમરાહે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બૅટ્સમૅન દિનેશ કાર્તિકને મુલાકાતમાં કહ્યું, ટેસ્ટની કૅપ્ટન્સી સાથે મારું નામ સંકળાયેલું હતું એમાં કોઈ જ નવાઈ પમાડે એવી વાત નથી. એ સંદર્ભમાં કોઈ વિવાદ પણ નથી અને મને કૅપ્ટન્સી નકારવામાં આવી હતી એવું પણ કંઈ નહોતું.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્ત થયા એ પહેલાં જ આઇપીએલ દરમ્યાન મેં બીસીસીઆઇ સાથે ઇંગ્લૅન્ડ સામેની આગામી પાંચ મૅચની ટેસ્ટ-શ્રેણીમાં મારા પર બોલિંગનો જે વર્કલૉડ રહેવાનો છે એ વિશે ચર્ચા કરી હતી.’ બુમરાહે કાર્તિકને એવું પણ જણાવ્યું છે કે મારી પીઠની ઈજા સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ સાથે મેં ચર્ચા કરી.
આપણ વાંચો: અરે વાહ! જસપ્રીત બુમરાહ દુબઈમાં…જાણો શા માટે….
ખાસ કરીને મારા સર્જન સાથે વાતચીત કરી છે. તેઓ મને હંમેશાં કહે છે કે વર્કલૉડની બાબતમાં મારે ખૂબ સાવધ રહેવું પડશે અને સમજદારીથી નિર્ણય લેવા પડશે. ત્યાર બાદ મેં બીસીસીઆઇને કહી દીધું હતું કે ટેસ્ટનો કૅપ્ટન બનાવવાનો સમય આવે ત્યારે મારી ગણતરી નહીં કરતા, કારણકે ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં હું પાંચેય મૅચ નથી રમી શકવાનો.
ટેસ્ટના નવા સુકાની તરીકે બીસીસીઆઇના ધ્યાનમાં હું પણ હતો, પણ મેં જ ના પાડી દીધી હતી. કારણ એ છે કે પાંચ ટેસ્ટની સિરીઝમાં ત્રણ ટેસ્ટમાં એક ખેલાડી કૅપ્ટન્સી સંભાળે અને બાકીની બે મૅચમાં બીજો પ્લેયર સંભાળે એ ટીમ માટે જ ઠીક ન કહેવાય.’
આપણ વાંચો: જસપ્રીત બુમરાહ જીત્યો આઇસીસીનો આ સર્વશ્રેષ્ઠ પુરસ્કાર, પાંચમો ભારતીય બન્યો જેણે…
રોહિતની નિવૃત્તિને પગલે અને બુમરાહે સુકાની બનવાની ના પાડી હોવાથી બીસીસીઆઇએ શુભમન ગિલને ટેસ્ટ ટીમનું સુકાન સોંપી દીધું છે.
ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ શુક્રવાર, 20મી જૂનથી (બપોરે 3.30 વાગ્યાથી) લીડ્સમાં રમાશે. બુમરાહ પાંચમાંથી પ્રારંભિક મૅચ સહિતની કુલ ત્રણ જ ટેસ્ટ રમવા માગે છે.
બુમરાહે ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે ભારતની ટેસ્ટ ટીમનું સુકાન સંભાળવા મળે એ મોટું ગૌરવ કહેવાય, પરંતુ મને કૅપ્ટન્સી કરતાં આ રમતમાં યોગદાન આપવામાં વધુ રસ છે. બીજી રીતે કહું તો મને કૅપ્ટન્સી કરતાં ક્રિકેટની રમત વધુ પ્રિય છે એટલે હું ટીમ ઇન્ડિયાને ખેલાડી તરીકે વધુ યોગદાન આપવા માગું છું.’ હેડ-કોચ ગૌતમ ગંભીરે થોડા સમય પહેલાં જ કહ્યું હતું કે બુમરાહ પાંચમાંથી ત્રણ જ ટેસ્ટ રમવા માગે છે.’