સૌરવ ગાંગુલી બીસીસીઆઇના ભૂતપૂર્વ સેક્રેટરી જય શાહના અભિગમ પર આફરીન…

નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન અને બોર્ડ ઑફ ક્નટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલી (SOURAV GANGULY)એ બોર્ડ સાથેના પોતાના ટૂંકા સમયગાળા વિશે આપેલી મુલાકાત દરમ્યાન જાહેર કરતા કહ્યું કે તેઓ એવું માનતા હતા કે બોર્ડના એ સમયના સેક્રેટરી તથા આઇસીસીના વર્તમાન ચૅરમૅન જય શાહ (JAY SHAH) તરફથી અમુક પ્રકારનો સખત અભિગમ અપનાવશે અથવા તેઓ જક્કી વલણ રાખશે, પરંતુ એનાથી સાવ ઊલટું બન્યું હતું અને જય શાહે વલણની બાબતમાં જે પ્રામાણિકતા’ બતાવી તેમ જ બધું વ્યવસ્થિત કરવાનો’ અપ્રોચ રાખ્યો એનાથી તે (ગાંગુલી) પ્રભાવિત થયો હતો.
ગાંગુલી ઑક્ટોબર, 2019થી સપ્ટેમ્બર, 2022 દરમ્યાન વિશ્વની સૌથી શ્રીમંત ક્રિકેટ-સંસ્થા બીસીસીઆઇના પ્રમુખપદે હતો. ત્યારે જય શાહ સેક્રેટરી હતા અને બન્ને વચ્ચે બોર્ડના વહીવટની બાબતમાં બહુ સારો તાલમેલ હતો. એ સમયગાળા દરમ્યાન કોવિડ-19ની મહામારી ફેલાઈ હતી અને ઘણા મહિનાઓ સુધી ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ ઠપ થઈ ગઈ હતી. ગાંગુલીએ કોલકાતામાં પોતાના નિવાસસ્થાને પીટીઆઇને આપેલી મુલાકાતમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય શાહ વિશે કહ્યું હતું કે ક્રિકેટ બોર્ડમાં જય શાહની કામ કરવાની પોતાની અલગ સ્ટાઇલ હતી, પરંતુ સૌથી સારી વાત એ હતી કે તેઓ ભારતીય ક્રિકેટ બધુ વ્યવસ્થિત પદ્ધતિથી પાર પાડવા માગતા હતા.

જુઓ, તેમની પાસે સત્તા હતી તેમની તરફેણમાં સપોર્ટ પણ ઘણો હતો એટલે કોઈને પણ વિચાર આવે કે તેઓ સખત અભિગમ અપનાવશે અથવા જક્કી વલણ રાખશે. જોકે તેઓ પોતાની સ્ટાઇલથી ભારતીય ક્રિકેટને લગતા મુદ્દા પાર પાડતા હતા, સમસ્યાઓનો ઉકેલ લાવતા હતા. અમારા બન્ને વચ્ચે સુમેળભર્યા સંબંધો હતા. હજી પણ અમારી વચ્ચે સારા સંબંધો (CORDIAL RELATIONS) છે. તેઓ 2019માં બીસીસીઆઇમાં આવ્યા ત્યારે ખૂબ યુવાન હતા, ખૂબ જ સહકારભર્યું વલણ રાખતા અને વહીવટની બાબતમાં ક્યારેય પણ તેમને મળી શકાતું હતું અને હંમેશાં ઉપલબ્ધ રહેતા હતા.
એ તબકકો એવો હતો જેમાં ગાંગુલી અને જય શાહ, બન્નેએ પહેલી વખત બીસીસીઆઇમાં હોદ્દો સંભાળ્યો હતો. ગાંગુલી એ પહેલાં પશ્ચિમ બંગાળ ક્રિકેટ ઍસોસિયેશનનો પ્રમુખ હતો, જ્યારે જય શાહ ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશનમાં હોદ્દેદાર હતા. ગાંગુલીએ તેમના વિશે મુલાકાતમાં એવું પણ કહ્યું કે તેઓ બધુ પ્રામાણિકતાથી અને વ્યવસ્થિત રીતે બધુ કામ કરવા માગતા હતા. ભૂલ તો બધાથી થાય. મેં કરી હતી અને તેમનાથી પણ થઈ હશે, પરંતુ ક્યારેય કોઈની ભૂલ ઇરાદાપૂર્વક નહોતી અને રમતનો વિકાસ કરવાનું મિશન ક્યારેય અટક્યું નહોતું.’
આપણ વાંચો :ટીમ ઇન્ડિયાને ગાંગુલીની સલાહ, `આવો મોકો વારંવાર નથી મળતો’