અર્શદીપ સિંહને આવતી કાલે ટી-20નો `ફાસ્ટેસ્ટ’ ફાસ્ટ બોલર બનવાનો મોકો

ચેન્નઈઃ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડને પાંચ મૅચવાળી ટી-20 સિરીઝની પ્રથમ મૅચમાં ગુરુવારે સાત વિકેટે હરાવી દીધા બાદ હવે આવતી કાલે પણ જીતીને 2-0થી સરસાઈ મેળવવાની તક માટે કોઈ જ કસર નહીં છોડે અને એવું કરવા જતાં લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને મોટો વિશ્વવિક્રમ કરવાની સુવર્ણ તક છે.
પચીસ વર્ષના અર્શદીપ સિંહે ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 61 મૅચમાં 97 વિકેટ લીધી છે. જો તે વધુ ત્રણ વિકેટ લેશે એટલે 62મી મૅચમાં તેની 100 વિકેટ થઈ કહેવાશે અને એ રીતે તે સૌથી ઓછી ટી-20 મૅચમાં વિકેટોની સેન્ચુરી ફટકારનાર ફાસ્ટ બોલર ગણાશે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 53 મૅચમાં અને નેપાળનો સંદીપ લામિછાને 54 મૅચમાં 100 વિકેટ લઈ ચૂક્યો છે. પાકિસ્તાનના હૅરિસ રઉફે 71 મૅચમાં 100 વિકેટ લીધી છે, જ્યારે અર્શદીપ 60-પ્લસ મૅચમાં જ 100મી વિકેટ મેળવવાની તૈયારીમાં છે.
ભારતમાં ભારત સામે ઇંગ્લૅન્ડ 12 ટી-20 રમ્યું છે જેમાંથી પાંચ મૅચમાં ઇંગ્લૅન્ડનો અને સાત મૅચમાં ભારતનો વિજય થયો છે. એ સાતમાંથી ત્રણ હાર ઉપરાઉપરી ત્રણ મૅચમાં થઈ હતી.ભારતીય ટીમ આવતી કાલે જૉસ બટલરની ટીમ સામેની મૅચમાં મોહમ્મદ શમીના સંભવિત કમબૅકમાં તેની ફિટનેસ પર અને સિરીઝમાં સરસાઈ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.