સ્પોર્ટસ

` ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી’ લૉન્ચ થઈઃ જાણો, બન્ને લેજન્ડે શું કહ્યું…

લીડ્સઃ ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે અને વિશ્વભરના બૅટ્સમેનોમાં ડૉન બ્રેડમૅન પછીના ગ્રેટેસ્ટ પ્લેયર તરીકે ઓળખાતા સચિન તેન્ડુલકર (Sachin Tendulkar) અને ઇંગ્લૅન્ડના પેસ-બોલિંગ-લેજન્ડ જેમ્સ ઍન્ડરસને (james Anderson) અહીં પોતાના નામવાળી ટ્રોફી સત્તાવાર રીતે લૉન્ચ કરી હતી અને ત્યારે તેમણે ટેસ્ટ-ક્રિકેટ પ્રત્યેની પોતાની સમર્પિતતાની તેમ જ પોતાને મળેલા આ સન્માન વિશે મંતવ્યો રજૂ કર્યા હતા.

અગાઉ આ ટ્રોફીનું નામ પટૌડી ટ્રોફી' હતું જે બદલીને ઍન્ડરસન-તેન્ડુલકર’ ટ્રોફી કરવામાં આવ્યું છે. જોકે બન્ને દેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ જીતનારી ટીમના સુકાનીને પટૌડી મેડલ'થી સન્માનિત કરવામાં આવશે. ઍન્ડરસન-તેન્ડુલકર’ ટ્રોફીના લૉન્ચિંગનો કાર્યક્રમ અગાઉ 14મી જૂને (સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ડબ્લ્યૂટીસીની ફાઇનલ વખતે) રાખવામાં આવ્યો હતો, પરંતુ 12મી જૂને અમદાવાદમાં પ્લેન-ક્રૅશની જે કરુણાંતિકા બની એને ધ્યાનમાં લઈને એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો.

ઍન્ડરસન-તેન્ડુલકર’ ટ્રોફી પર બન્ને દિગ્ગજોના ઇમેજ તેમ જ એન્ગે્રવ કરાયેલા ઑટોગ્રાફ છે. બન્ને આઇકૉનિક પ્લેયર પોતપોતાની રીતે શ્રેષ્ઠ છે. સચિન દોઢ દાયકાની કરીઅરમાં હાઇએસ્ટ 200 ટેસ્ટ રમ્યો હતો અને હાઇએસ્ટ 15,921 રન કર્યા હતા. ઍન્ડરસન 2024માં પૂરી થયેલી કારકિર્દીમાં 188 ટેસ્ટ રમ્યો હતો અને કુલ 704 વિકેટ લીધી હતી જે વિશ્વભરના પેસ બોલર્સમાં હાઇએસ્ટ છે. સચિને અહીં ટ્રોફીનું અનાવરણ કરતી વખતે કહ્યું, ટેસ્ટ-ક્રિકેટ મારા માટે હંમેશાં સર્વોત્તમ રહેશે. ટેસ્ટ-ક્રિકેટ જીવનના વળાંકો જેવી છે. એમાં તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી પર્ફોર્મ કરો, પણ જો કંઈ ખોટું થાય તો બીજા દિવસે તમે સુધારો કરી શકો છો, નવું વિચારી શકો છો અને વળતો જવાબ આપવા માટે પણ તમને પૂરતો સમય મળે છે. આ સર્વોચ્ચ કક્ષાનું ફૉર્મેટ ખેલાડીને સમય અને સંજોગ મુજબ (મુશ્કેલીઓ સામે) કાબેલિયત બતાવવાનું, શિસ્તબદ્ધતા તેમ જ સહનશક્તિ શીખવે છે. મારું ઘડતર જ ટેસ્ટ-ક્રિકેટને લીધે થયું હતું. મારા ઘડતરનો પાયો ટેસ્ટ-ક્રિકેટને લીધે જ મજબૂત થયો હતો. એના થકી હું નિરાશાને વિજયમાં અને આકાંક્ષાઓને પરિપૂર્ણતામાં ફેરવી શક્યો હતો. ટેસ્ટ-ક્રિકેટના ભાવિમાં ભારત અને ઇંગ્લૅન્ડની મહત્ત્વની ભૂમિકા રહી છે. હું આ ટ્રોફી મેદાન પર મને પડકારનાર બોલર અને મેદાન બહારના જેન્ટલમૅન સાથે શૅર કરી રહ્યો છું એનો મને બેહદ આનંદ છે.’

જેમ્સ ઍન્ડરસને કહ્યું હતું કે ` મારા માટે તેમ જ તેન્ડુલકર માટે આ બહુ મોટું સન્માન છે. આ આઇકૉનિક સિરીઝની ટ્રોફીને અમારા બન્નેના નામ અપાયા એ બહુ મોટું ગૌરવ છે. મારો પરિવાર પણ ગર્વ અનુભવે છે. ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની સિરીઝ હંમેશાં સ્પેશિયલ રહી છે અને ક્રિકેટના ઇતિહાસમાં બન્ને દેશ વચ્ચેની ક્રિકેટને અનેરું સ્થાન મળ્યું છે તેમ જ અનેક યાદગાર પળો પણ શ્રેણીઓએ જન્મી છે.’

આ પણ વાંચો…‘આ વિચિત્ર છે…’, IND vs ENG ટેસ્ટ સિરીઝનું નામ બદલવા પર કપિલ દેવે નારાજગી વ્યક્ત કરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button