આરસીબીનો ઇક્વિટી હિસ્સો વેચાવાની અટકળો વચ્ચે માલિકોએ ખુલાસો કર્યો કે…
માલિકી-હિસ્સો વેચાશે એવી અફવા પાછળનું કારણ પણ જાણવા જેવુંઃ ટીમ પર એક વર્ષના સંભવિત પ્રતિબંધની પણ અટકળ ચાલી છે

બેંગલૂરુઃ રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (RCB)ની માલિકી ધરાવતી યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)એ ખુલાસો કર્યો છે કે તેઓ આઇપીએલ (IPL-2025)ના આ ફ્રૅન્ચાઇઝીમાં પોતાનો જે ઇક્વિટી હિસ્સો છે એ નથી વેચવાના કે આરસીબી ટીમ પણ નથી વેચાવાની. યુએસએલની માલિકી ઇંગ્લૅન્ડની ડિયાજીઓ પીએલસી નામની કંપની પાસે છે.
ત્રીજી જૂને અમદાવાદમાં 18મી આઇપીએલની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે આરસીબીનો વિજય થયો હતો. આરસીબીએ પહેલી જ વખત આઇપીએલનું ટાઇટલ જીતી લીધું અને એની બેંગલૂરુમાં બીજા દિવસે (ચોથી જૂને) ઉજવણી દરમ્યાન એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક જમા થયેલા ત્રણ લાખ જેટલા ક્રિકેટપ્રેમીઓમાં નાસભાગ તથા ધક્કામુક્કીની જે જીવલેણ ઘટના બની એને પગલે આરસીબીનું નામ ચર્ચાસ્પદ થયું છે. એ દુર્ઘટનામાં 30થી ઓછી ઉંમરના કુલ 11 જણના મૃત્યુ થયા હતા અને અનેક લોકોને ઈજા થઈ હતી.
ખેલકૂદની ઇવેન્ટ દરમ્યાન આરસીબીના આલ્કોહૉલ આધારિત પીણાંને લગતા સૉફ્ટ ઍડવર્ટાઇઝિંગ પર ભારતીય આરોગ્ય વિભાગ નિયંત્રણો મૂકાશે એવી સંભાવના હોવાના અહેવાલો વચ્ચે આરસીબીના ઇક્વિટી હિસ્સાના વેચાણની વાતો ઊડી હતી.
યુએસએલના કંપની સેક્રેટરી મિત્તલ સંઘવીએ એક પત્રમાં એવું કહ્યું હોવાનું એક વેબસાઇટ પર જણાવાયું હતું કે `આરસીબી વિશે ફેલાયેલી અટકળ માત્ર અફવા જ છે અને કંપનીની મીટિંગમાં આરસીબીના ઇક્વિટી હિસ્સાના વેચાણ વિશે કોઈ જ ચર્ચા નથી થઈ.’
આ પણ વાંચો - ટાઈટલ જીત્યા બાદ તરત જ RCB ટીમના વેચાણની તૈયારી! જાણો કેટલી હોઈ શકે છે કિંમત?
અમુક અહેવાલોમાં એવી અટકળ પણ કરવામાં આવી હતી કે આરસીબીના માલિકો આ ટીમનો ઇક્વિટી હિસ્સો બે અબજ યુએસ ડૉલર (અંદાજે 171.12 અબજ રૂપિયા)માં વેચવા વિચારે છે.
દરમ્યાન આરસીબીની ટીમ પર 2026ની આઇપીએલથી પ્રતિબંધ મૂકાશે એવી અફવા પણ બે દિવસથી ઉડી છે. અમુક અહેવાલ મુજબ આરસીબી પર બીસીસીઆઇ એક વર્ષનો બૅન મૂકશે એવી પણ અટકળ થઈ છે.