સોશિયલ મીડિયા પરના ટ્રોલિંગ માનસિક રીતે કરી શકે અસર: જાણો સર્વેના ચોંકાવનારા તારણો…

આમ તો આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ કહેવાય છે. માણસો પોતાની લાગણી, પોતાના અનુભવો, દ્રષ્ટિકોણ, મંતવ્ય, ગમા-અણગમાને વ્યક્ત કરતાં હોય છે. આજના સમયમાં માણસ જેટલી જિંદગી હકીકતમાં જીવે છે તેટલી જ કે તેનાથી વધારે જિંદગી સોશિયલ મીડિયામાં જીવે છે. પણ આ જ સોશિયલ મીડિયા જ માનવ જીવનની સામે અનેક પ્રશ્નો પણ ઉભા કરે છે. ખાસ કરીને સોશિયલ મીડિયાની માનસિક અસરો ઘણી મહત્વની બની રહે છે.
આજના આ આધુનિક ટેકનોલોજીના યુગમાં જ્યારે લોકો પોતાની લાગણીઓ સોશિયલ મીડિયા દ્વારા રજૂ કરે છે ત્યારે તેના સકારાત્મક ની સાથે ક્યાંક નકારાત્મક પાસાઓને પણ ધ્યાનમાં લેવા પડે છે. જે ટ્રોલિંગના રુપમાં બહાર આવે છે. જેના પરિણામે વ્યક્તિ ચિંતા,હતાશા અને સામાજિક એકલતાનો ભોગ બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનિઓ પંડ્યા ફોરમ અને અઘેડા હિતેશ્રીએ માગૅદશૅન હેઠળ 788 લોકોનો સર્વે કર્યો છે.
સર્વેના તારણો
સર્વેમાં 67 ટકા લોકો આવું માને છે કે ટ્રોલિંગની અસર અભ્યાસ તથા કારકિર્દી પર થાય છે. 53.1 % લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા ગભરાય છે. 50.5 % લોકો ટ્રોલિંગના ડરે નવા મિત્રો બનાવતા ગભરાય છે. 59 % લોકો એ સ્વીકાર્યું છે કે ટ્રોલિંગના કારણે વ્યક્તિના આત્મવિશ્વાસને પણ અસર પહોંચે છે. 55.5 % લોકોને પોતાના શારીરિક દેખાવના કારણે ટ્રોલ થવાનો ડર રહે છે.
લોકો શું કહેશે તેવો ડર લાગ્યા કરે
50.5 % લોકો એવું માને છે કે ટ્રોલ થવાના ડરે બાહ્ય દેખાવમાં પરિવર્તન કરવાના પ્રયત્નો કરવા જોઈએ. 54.3 % લોકો એવું સ્વીકારે છે કે ટ્રોલિંગના કારણે વ્યક્તિ પોતાની લાગણીઓને વ્યક્ત કરતા ડર અનુભવે છે. 56.4 % લોકો સ્વીકારે છે કે લોકો શું કહેશે તેવો ડર તમને લાગ્યા કરે છે. 67 % લોકોએ એવું માન્યું છે કે કોઈ દ્વારા કરવામાં આવેલ નિષેધક ટિપ્પણી બાદ બીજી વાર કોઈ પર વિશ્વાસ મૂકી શકાતો નથી. 68.1 % લોકોએ એવો સ્વીકાર્યું છે કે ટ્રોલના ડરે ઘણી વખત વ્યક્તિ પોતાના મનની વાત બીજાને કહી શકતો નથી..
આત્મહત્યા સુધીનાં પગલાં ભરવાં મજબૂર
આમ, આ રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ ટ્રોલિંગએ લોકોના માનસિક સ્વાસ્થ્યને બહુ મોટા પ્રમાણમાં નુકશાન પહોંચાડી શકે છે. જેના કારણે વ્યક્તિ ઘણી વખત આત્મહત્યા સુધીનાં પગલાં ભરવાં મજબૂર બને છે. ટ્રોલિંગ માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અને ઘણીવાર નકારાત્મક અસર કરે છે. આ અસર ખાસ કરીને ગંભીર બની શકે છે જો વ્યક્તિ પહેલાથી જ કોઈ માનસિક તાણ, ચિંતા અથવા આત્મ-શંકાથી પીડાઈ રહી હોય. અહીં કેટલીક મુખ્ય અસરો જોઈએ જે ટ્રોલિંગને લીધે થઈ શકે.
ટ્રોલિંગની માનસિક અસરો
પોતાની જાતનું ઓછું મૂલ્ય આંકે
સતત નકારાત્મક ટિપ્પણીઓ અને અપમાનજનક સંદેશાઓ વ્યક્તિને તણાવ અને દુઃખની લાગણી અનુભવી શકે છે, જે લાંબા ગાળે ચિંતા અને હતાશામાં પરિણમી શકે છે. ટ્રોલિંગ વ્યક્તિના આત્મવિશ્વાસને હચમચાવી શકે છે. સતત ટીકા અને નકારાત્મક મૂલ્યાંકનથી વ્યક્તિ પોતાની જાતને ઓછી મૂલ્યવાન સમજવા લાગે છે. ટ્રોલિંગનો ભોગ બનેલા વ્યક્તિઓ અન્ય લોકો સાથે વાતચીત કરવાનું ટાળી શકે છે, ખાસ કરીને ઓનલાઇન. તેઓ ડરી શકે છે કે ફરીથી તેમનું અપમાન થશે, જેના કારણે તેઓ સામાજિક રીતે અલગ પડી જાય છે અને એકલતા અનુભવે છે.
આત્મહત્યાના વિચારો
ગંભીર કિસ્સાઓમાં, ટ્રોલિંગ એટલું તીવ્ર હોઈ શકે છે કે વ્યક્તિને આત્મહત્યાના વિચારો આવી શકે છે અથવા તેઓ પોતાની જાતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે. સતત તણાવ અને ચિંતાને કારણે વ્યક્તિને ઊંઘવામાં તકલીફ પડી શકે છે. નકારાત્મક વિચારો રાત્રે પણ મગજમાં ફરતા રહે છે, જેનાથી ઊંઘની ગુણવત્તા બગડે છે.
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી
માનસિક સ્વાસ્થ્ય પરની નકારાત્મક અસરને કારણે વ્યક્તિને શાળા અથવા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેનાથી તેમની કામગીરી પર અસર પડે છે. ટૂંકમાં, ટ્રોલિંગ એ માત્ર એક હેરાનગતિ નથી, પરંતુ તે વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અને લાંબા ગાળાની નકારાત્મક અસર કરી શકે છે. તેથી, ટ્રોલિંગને ગંભીરતાથી લેવું જોઈએ અને તેનો ભોગ બનેલા લોકોને ટેકો અને મદદ પૂરી પાડવી જોઈએ.