આજે પૃષ્ટિમાર્ગના સ્થાપક શ્રી વલ્લભાચાર્યજીનો 547મો પ્રાગટ્ય દિવસ
![Today is the 547th appearance day of Shri Vallabhacharyaji, the founder of Prishtimarga.](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/yogesh-d-43.jpg)
ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્તોમાં વલ્લભાચાર્યજીનું પણ વિશેષ સ્થાન છે. ભક્તિને પુષ્ટિનું સ્વરૂપ જો કોઈએ આપ્યું હોય તો એ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીએ આપ્યું છે. વલ્લભાચાર્યની જન્મજયંતિ વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી એટલે કે વરુથિની એકાદશીના રોજ ઉજવવામાં આવે છે. આજે વલ્લભાચાર્ય જયંતિ 4 મે 2024ના રોજ છે. એવું કહેવાય છે કે વલ્લભાચાર્યજીનો શ્રીનાથજી સાથે ઊંડો સંબંધ છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/yogesh-d-42.jpg)
તેમનો જન્મ વિક્રમ સંવત ૧૫૩૫ (ઇ.સ. ૧૪૭૯)માં ચૈત્ર વદ અગિયારસના દિવસે એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્યમાં થયો હતો. જન્મ થતાં બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા આઘાત સાથે બાળકને ખીજડાના વૃક્ષની બખોલમાં મૂકીને હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની ફરતે અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં હતા. શ્રીવલ્લભાચાર્યજીના પૂર્વજોમાં યજ્ઞયાગાદિક વૈદિક માર્ગ તરફ પૂરા આદરવાળી ગોપાલકૃષ્ણને ઇષ્ટદેવ માનતી વૈષ્ણવી પરંપરા હતી.
મધ્યયુગની ક્રાંતિકારી ચળવળ ભક્તિ આંદોલન દરમિયાન તેમણે વલ્લભાચાર્યજી શ્રી કૃષ્ણના પ્રખર અનુયાયી હતા. તેમણે ભક્તિ ચળવળ માટે ભારતમાં ઘણા સ્થળોએ પ્રવાસ કર્યો. તે માનતા હતા કે ભગવાનની સાચી ભક્તિ દ્વારા જ મુક્તિનો માર્ગ પ્રાપ્ત થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, વૈશાખ કૃષ્ણ એકાદશીના શુભ દિવસે ભગવાન શ્રીનાથજી વલ્લભાચાર્યજી સમક્ષ પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/yogesh-d-44.jpg)
એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ અહીં વલ્લભાચાર્યજીને શ્રીનાથજીના રૂપમાં પ્રગટ થયા હતા. તેના સમર્પણ માટે તેમને આલિંગન આપ્યું હતું. તે દિવસથી પુષ્ટિ સંપ્રદાયના લોકો ભગવાન કૃષ્ણની ‘બાલ’ અથવા યુવાન મૂર્તિની પૂજા કરે છે. સૂરદાસજી માટે કૃષ્ણ તેમના ગુરુ સમાન હતા. વલ્લભાચાર્યજીને કૃષ્ણ ભક્ત સૂરદાસજીના ગુરુ માનવામાં આવે છે. સુરદાસજીએ એક વાર કહ્યું હતું કે તેમને શ્રી કૃષ્ણ અને વલ્લભાચાર્યજીમાં કોઈ ફરક દેખાતો નથી, ‘મારા માટે બંને એક જ છે જ્યારે પણ હું શ્રી કૃષ્ણ પર લખતો ત્યારે મારા મગજમાં વલ્લભાચાર્યજીની છબી આવતી.’..
![](https://bombaysamachar.com/wp-content/uploads/2024/05/yogesh-d-45-1.jpg)
મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીની ચોર્યાસી બેઠકો પ્રસિદ્ધ છે. પુષ્ટિ પરંપરામાં ‘ઝારીજી’ ભરવાનું મહત્ત્વ છે. મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજી ત્રણ પ્રકારની સેવા બતાવે છે. તનુજા, વિત્તજા અને માનસી. જેમાં આચાર્ય ચરણ નિરૂપણ કરે છે કે, “શુદ્ધ ભાવો પ્રભુ સેવ્ય ના ચાતુર્યમ પ્રયોજક; અંતર્યામી સમસ્તાનામ્ ભાવં જાનાતી માનસા.”
સમગ્ર સૌરાષ્ટ્રમાં પુષ્ટી માર્ગ પ્રવર્તક અખંડ ભુમંડળ આચાર્ય જગતગુરૂ શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547 મો પ્રાગટય મહોત્સવ તા. 4ને શનિવારના ઉજવાશે. આ પ્રસંગે હવેલીઓમાં વિવિધ દર્શન, આરતી, મનોરથ યોજાશે. આ ઉપરાંત અનેક શહેરો, ગામોમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે. પ્રભાતફેરી,કિર્તન,આરતી, મહાપ્રસાદ ઉપરાંત અન્ય કાર્યક્રમોનું પણ વૈષ્ણવ સમાજ દ્વારા આયોજન કરાયું છે. શહેરો,ગામોની હવેલોઓમાં મનમોહક શણગાર કરાયા છે.