RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી! | મુંબઈ સમાચાર
નેશનલસ્પેશિયલ ફિચર્સ

RBIના ચેક બાઉન્સના નવા નિયમો: હવે જાણી જોઈને ચેક બાઉન્સ કરશો તો ખેર નથી!

આજના ડિજિટલ ઈન્ડિયાના સમયમાં મોટાભાગના પેમેન્ટ યુપીઆઈ, નેટ બેંકિંગ કે કાર્ડથી થઈ જાય છે, પરંતુ એક સમય હતો કે જ્યારે આ માટે ચેકનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે, હજી પણ ચેકનું મહત્ત્વ સાવ ઘટી નથી ગયું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) આ ચેકને લઈને જ કેટલાક મહત્ત્વના નિયમો બનાવ્યા છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું. ચાલો જોઈએ શું છે આ ચેક સંબંધિત નિયમો-

મોટા મોટા ટ્રાન્ઝેક્શન માટે આજે પણ લોકો ચેકથી જ લેવડ-દેવડ કરવાનું પસંદ કરે છે, કારણ કે તે એક વિશ્વસનીય માધ્યમ છે. ઘણી વખત આપણામાંથી અનેક લોકો સાથે એવું બન્યું હશે કે એકાઉન્ટમાં બેલેન્સ ના હોવાને કારણે ચેક બાઉન્સ થયો હોય. આવી સ્થિતિમાં થોડું આર્થિક નુકસાન થાય છે અને એની સાથે ચેક આપનારની શાખ પર પણ તેની અસર જોવા મળે છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આને વધુ સુરક્ષિત બનાવવા માટે કેટલાક મહત્ત્વના નિયમ લાગુ કર્યા છે, જે જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થશે.

ચેક બાઉન્સિંગના પરિણામો

કોઈ પણ ઔપચારિક વ્યવહાર દરમિયાન ચેકનો ઉપયોગ આજે પણ મહત્ત્વનો માનવામાં આવે છે. જ્યારે ચેક પાસ નથી થતો ત્યારે આખી પ્રક્રિયા થંભી જાય છે અને માહોલ થોડો ગરમાઈ જાય છે. પહેલાંના સમયમાં તો બેંક દ્વારા તેની જાણ પણ મોડેથી થતી હતી, જેને કારણે મુશ્કેલીઓ વધી જતી હતી. પણ હવે એવું નથી.

24 કલાકની અંદર એલર્ટ આપવું જરૂરી

આરબીઆઈના નવા નિયમ અનુસાર જો હવે કોઈ ચેક બાઉન્સ થાય છે તો બેંકને 24 કલાકની અંદર જ એસએમએસ કે ઈમેલના માધ્યમથી ગ્રાહકને તેની જાણ કરવી ફરજિયાત છે. આને કારણે કસ્ટમર તરત જ ગ્રાહકની સ્થિતિને સમજીને યોગ્ય કાર્યવાહી કરી શકશે અને નુકસાન ખૂબ જ ઓછું થશે.

જાણી-જોઈને ચેક બાઉન્સ કરનારાઓ પર સખત કાર્યવાહી

24 કલાકની અંદર કસ્ટમરને એલર્ટ આપવા સિવાય આરબીઆઈએ એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટો ચેક આપે છે તો તેના પર પહેલાંથી વધારે સખત કાર્યવાહી કરવામાં આવશે. પહેલાં આ માટે વધુમાં વધુ એક વર્ષની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને હવે તેને વધારીને 2 વર્ષ કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ભારે દંડ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

વારંવાર ભૂલ કરનારની ખેર નથી

જો કોઈ ખાતાધારક વારંવાર ચેક બાઉન્સ કરે છે તો બેંક તેની ચેકબુકની સુવિધા જ બંધ કરવામાં આવશે. આવા લોકો માત્ર ડિજિટલ કે ઓનલાઈન જ પેમેન્ટ કરી શકશે. આ નિયમ ઈમાનદાર ગ્રાહકોની સુરક્ષા અને લેવડ-દેવડને વધારવા માટે લાગુ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો:  ઓનલાઈન ગેમિંગ બિલ કેમ લાવવામાં આવ્યું? કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કારણ

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button