સ્પેશિયલ ફિચર્સ

…અને મા લક્ષ્મી થયા નારાજ, જગન્નાથ પૂરીના ખજાના થયા ખાલી, જાણો શું છે આખી સ્ટોરી…

આજે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની ભવ્યાતિભવ્ય રથયાત્રા નીકળી અને લાખોની સંખ્યામાં ભક્તો આ યાત્રામાં જોડાયા. દર વર્ષે આ દિવસને ખૂબ જ ઉત્સાહથી ઉજવવવામાં આવે છે. પણ શું તમને ખબર છે આજે ધન,ધાન્યથી ભરપૂર પુરીમાંથી મા લક્ષ્મીજી નારાજ થઈને જતા રહ્યા હતા અને તેમના ભંડાર, ખજાનો ખાલી થઈ ગયો હતો? ચાલો આજે તમને આ પાછળની સ્ટોરી જણાવીએ-

પૌરાણિક માન્યતાઓ અનુસાર જગન્નાથ પુરી સાથે મા લક્ષ્મીનો સંબંધ છે. નારદ પુરાણમાં જગન્નાથ પુરીને શ્રી ક્ષેત્ર કહેવામાં આવ્યો છે, જેમાં શ્રીનો અર્થ મા લક્ષ્મી સાથે છે. એવું કહેવાય છે કે મા લક્ષ્મી આ મંદિરમાં પૂરા વૈભવ સાથે વિરાજમાન રહેતા હતા અને એટલે જ અહીંનો રત્નભંડાર ક્યારેય ખાલી નથી થતો. પરંતુ આ મંદિર સાથે જોડાયેલી એક એવી માન્યતા પણ છે જેમાં એક વખત મા લક્ષ્મીના જગન્નાથ ધામ છોડતા જ પૂરો ધનભંડાર ખાલી થઈ ગયો હતો.

narad puran

પ્રચલિત દંતકથા અનુસાર પુરીમાં શ્રીયા નામની એક મહિલા રહેતી હતી, જે નીચલી જાતિની હતી. તે મા લક્ષ્મીની સાચી ભક્ત હતી તેમ છતાં શ્રીયા આર્થિક રીતે ગરીબ હતી. વિપરીત પરિસ્થિતિમાં તેની આસ્થા અને સંકલ્પ અડગ હતા. એક વખત તેણે સંકલ્પ કર્યો કે તે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે અષ્ટલક્ષ્મી વ્રત કરે, પણ તે આ વ્રતની વિધિ નહોતી જાણતી અને જેને પણ તે વિધિ પૂછતી તો લોકો તેને તેની જાતિને કારણે ધુત્કારી દેતા હતા.

એક દિવસ નારદ મુનિ સંત બનીને શ્રીયાના ઘરે પહોંચ્યા ત્યારે એને જણાવવામાં આવ્યું કે સાફ-સફાઈ અને સરળ પૂજાથી પણ મા લક્ષ્મી પ્રસન્ન થઈ જાય છે. શ્રીયાએ એમની વાત સાંભળીને એ દિવસે ઉપવાસ રાખ્યો, ખીર બનાવી અને દેવીને ભોગ લગાવીને આરતી પણ કરી. એ જ દિવસે આરતી બાદ એક ઘૂંઘટવાળી મહિલા તેના ઘરે આવીને પ્રસાદને બદલે પોટલી આપી. જ્યારે મહિલાનો ઘૂંઘટ હટ્યો ત્યારે ખબર પડી આ મહિલા તો સ્વયં મા લક્ષ્મીજી છે.

દેવી લક્ષ્મીની કૃપાથી શ્રીયાને આપેલી પોટલીમાંથી હીરા-ઝવેરાત અને સોના-ચાંદી નીકળ્યા. જ્યારે મા લક્ષ્મીજી પાછા શ્રીમંદિર પહોંચ્યા ત્યારે બલભદ્રજી નારાજ થઈ ગયા અને તેમણે લક્ષ્મીજીને મંદિરથી બહાર નીકળી જવાનો આદેશ આપ્યો. મા લક્ષ્મી ક્રોધિત થઈને ભગવાન બલભદ્રજીને શ્રાપ આપ્યો કે જ્યાં સુધી તેઓ કોઈ નીચલી જાતિની વ્યક્તિના હાથથી બનાવેલું ભોજન નહીં આરોગે ત્યાં સુધી તેમને અન્ન નહીં મળે.

મા લક્ષ્મીની વિદાયથી જ રત્ન ભંડાર ખાલી થઈ ગયા. મંદિરની શોભા ઝાંખી પડી અને બધું નષ્ટ થઈ ગયું. ત્યાર બાદ બલભદ્રજીને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે ભગવાનને માતા લક્ષ્મીજીને પાછા શ્રીમંદિરમાં બોલાવવાની આજીજી કરી અને દેવી લક્ષ્મીજી મંદિર પાછા ફર્યા અને એની સાથે જ મંદિરનો વૈભવ પાછો ફર્યો..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button