Indian Railwayની મહત્ત્વની જાહેરાત, આ તારીખે 2 કલાક સુધી નહીં થાય ટિકિટ બુકિંગ…

ભારતીય રેલવે (Indian Railway)માં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ આગામી પહેલી અને બીજી નવેમ્બરના બે કલાક સુધી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ કામ નહીં કરે, જેને કારણે પ્રવાસીઓ ટિકિટ બુક નહીં કરી શકે કે ન તો પીએનઆર સ્ટેટ્સ ચેક કરી શકે. આવો જોઈએ શું છે કારણ અને ક્યારે બે કલાક સુધી આ સિસ્ટમ બંધ રહેશે.
ભારતીય રેલવે એ દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું અને વ્યસ્ત કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. હવે આ ભારતીય રેલવે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર દિલ્હી સ્થિત પીઆરએસ પહેલી નવેમ્બર અને બીજી નવેમ્બરના રાતે 12.05 કલાકથી રાતે 2.06 કલાક સુધી એટલે કે બે કલાક સુધી બંધ રહેશે. આ સમયે રેલવે જૂના કોર સ્વીચને નવા કોર સ્વીચમાં બદલશે, જેને કારણે પ્રવાસીઓને વધારે ઝડપી અને વિશ્વાસપાત્ર સેવા મળી શકે.
રેલવે અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ કામ સિસ્ટમને અપડેટ અને ટેક્નોલોજીથી સજ્જ બનાવવાની દિશામાં મહત્ત્વનું પગલું છે. આ અપગ્રેડ દરમિયાન દિલ્હી પીઆરએસ સિસ્ટમ સાથે સંકળાયેલી કેટલીક સુવિધાઓ થોડાક સમય માટે બંધ રહેશે. જેમાં ઈન્ટરનેટ ટિકિટ બુકિંગ, ટિકિટ કેન્સેલેશન, કરન્ટ રિઝર્વેશન, ચાર્ટિંગ, પીએનઆર સંબંધિત ક્વેરી, ઈડીઆર, પ્રાઈમસ એપ્લિરકેશન અને એનટીઈએસ જેવી સુવિધાનો સમાવેશ થાય છે.
રેલવે દ્વારા પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ સમયે ટિકિટ બુકિંગ કે જર્ની સંબંધિત કોઈ પણ પ્રોસેસ કરવાથી બચે. જેવું અપગ્રેડેશનનું કામ પૂરું થશે કે તરત જ તમામ સુવિધાઓ ફરી પૂર્વવત્ કરી દેવામાં આવશે.
રેલવેએ જણાવ્યું હતું પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને આ તમામ કામની દેખરેખ એક્સપર્ટ્સની ટીમ દ્વારા કરવામાં આવશે, જેથી કોઈ પણ સમસ્યા આવે તો તરત જ તેનું સમાધાન કાઢી શકાય. અપગ્રેડેશન પૂરું થતાં જ પ્રવાસીઓને પહેલાંની જેમ જ ઝડપી અને વિશ્વસનીય સુવિધાનો લાભ મળશે…



