શરીર માટે પાણી અનિવાર્ય, પણ દિવસમાં કેટલું પાણી પીવું તે જાણો છો?

આજકાલ લોકો ઓનલાઈન હેલ્થ ટીપ્સ વાંચીને પોતે જ એક્સપર્ટ બની જાય છે. આવા લોકો પોતાની સાથે બીજાના સ્વાસ્થ્યને પણ નુકસાન કરે છે. સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખવા માટે પાણી પીવુ ખૂબ જ જરૂરી છે, પરંતુ પાણી પીવાની પણ એક રીત છે અને મર્યાદા છે. ખૂબ પાણી પીઓ, ખૂબ પાણી પીઓ તેવા સતત મેસેજ તમને સોશિયલ મીડિયા પર મળતા હશે, પરંતુ પાણી પણ સમજીને પીવાનું હોય છે ત્યારે આવો જાણીએ કે દિવસનું કેટલું પાણી પીવું જોઈએ. (How much water one should drink in a day)
જો આપણે આપણા શરીરને જરૂર છે તેના કરતા વધારે પાણી પીએ છીએ તો તેની સીધી અસર આપણી કિડની પર પડે છે. કિડનીની ફિલ્ટ્રેશન કેપેસિટી મર્યાદિત છે. જો તમે વધારે પડતું પાણી પીઓ તો તેની કેપેસિટી પર ધીમે ધીમે અસર થાય છે. ઘણા લોકો દિવસમાં આટલી લિટર પાણી પીવું જોઈએ તેવી સલાહો આપતા હોય છે, પરંતુ કોણે કેટલું પાણી પીવું તે જે તે વ્યક્તિની ખાવાપીવાની રીતભાત, શારીરિક ગતિવિધિઓ, ઉંમર, વજન, વાતાવરણ વગેરેને આધારે નક્કી થાય છે.
જે લોકોનું કામ શારીરિક શ્રમ સાથે જોડાયેલું છે, પ્રવાસ છે, ચાલવાનું છે, તે લોકો સ્વાભાવિક રીતે ત્રણ-ચાર લિટર વધારે પાણી પી જશે, પરંતુ જે લોકો ડેસ્ક જૉબ કરે છે, હલનચલન ઓછું છે તેઓ દિવસનું બેથી અઢી લિટર પાણી પીએ તો પણ ચાલી જતું હોય છે.

વધારે પાણી પીવાથી થઈ શકે છે નુકસાન
સામાન્ય રીતે, સ્વસ્થ વ્યક્તિની કિડની એક કલાકમાં લગભગ 500 થી 800 મિલી (મિલિલીટર) પાણી ફિલ્ટર કરી શકે છે. જો તમે વધારે પાણી પીઓ છો તો કિડની પર બોજ વધે છે અને સાથે શરીરમાંથી સોડિયમ ઓછું થવાનો ભય પણ રહે છે. આવી સ્થિતિને હાયપોનેટ્રેમિયા કહેવામાં આવે છે. જેનાથી ચક્કર, ઉલટી, થાક, મૂંઝવણ જેવી સમસ્યાઓ થઈ શકે છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થતું હોય છે.
આ વાતનું રાખો ધ્યાન
જળ વિના જીવન નથી, પણ જેમ વધારે પડતો વરસાદ ખેતી બગાડે છે, તેમ વધારે પડતું પાણી પણ શરીર બગાડે છે. આથી પાણી ત્યારે જ પીઓ જ્યારે તરસ લાગે. વાતાવરણ પ્રમાણે પાણી પીવાની માત્રામાં વધારો-ઘટાડો કરી શકાય. બેઠાડું જીવન હોય તો પાણી પીવાનું ઓછું રાખજો. જો શારીરિક શ્રમ ઓછો કરતા હો તો એક દિવસમાં 4 લિટરથી વધારે પાણી ન પીશો. તમે કોઈ બીમારી કે ખાસ શારીરિક સ્થિતિમાં હો તો ડોક્ટરની સલાહ લેશો.
ખાસ નોંધઃ આ માહિતી પ્રાથમિક તારણો અને અમુક નિષ્ણાતોની સલાહ અનુસાર આપી છે. તમે તમારા તબીબી નિષ્ણાતની સલાહ લો તે આવશ્યક છે.
આપણ વાંચો : આ ઔષધિ તમારી પથરીને જડમૂળથી દૂર કરશે