આંખોની સામે કોઈ દુર્ઘટના બને એની મગજ પર શું થાય છે અસર, ક્યાં સુધી જોવા મળે છે?

12મી જૂનના જ્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટથી પર અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ દુર્ઘટના નજરે જોનારા લોકોના મતે આ અકસ્માત એટલો ગમખ્વાર અને ભયાનક હતો કે તેને યાદ કરતાં જ તેમના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઈ જાય છે. નિષ્ણાતોના મતે જ્યારે કોઈ વ્યક્તિ આવી ઘટના નજરે જુએ છે તો તેની મગજ પર ગંભીર અસર જોવા મળે છે. આવા લોકોમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જોવા મળે છે, જેમાંથી તેઓ વર્ષો સુધી બહાર નથી આવી શકતા, ત્યારે ચાલો જાણીએ શું છે આ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને તેના લક્ષણો શું છે-
કઈ રીતે થાય છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર?
માનસિક રોગ નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ પ્રકારની ઘટના નજરે જોનારા કેટલાક લોકો માનસિક તાણ, ડર, બૈચેની અને ઘણી વખત તો લાઈફ લોન્ગ ચાલનારી માનસિક સમસ્યાઓનો શિકાર બની જાય છે. મનોવૈજ્ઞાનિક ભાષામાં આને ટ્રોમા કે પછી પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી) પણ કહેવામાં આવે છે. આવી વ્યક્તિના મગજમાં વારંવાર એ જ ઘટનાના દ્રશ્યો સામે તરવરે છે. એટલું જ નહીં આવી વ્યક્તિ વારંવાર એ જ ઘટનાને યાદ કરે છે એટલે સપનામાં પણ તેમને ઘટનાના દ્રશ્યો દેખાઈ શકે છે. જેને કારણે વારંવાર ઉંઘ ઉડી જવી, અનિંદ્રા જેવી સમસ્યા થાય છે. આવી દુર્ઘટના જોનારાઓમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર જોવા મળે છે.
શું છે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર અને એના લક્ષણો?
નિષ્ણાતોની વાત માનીએ તો આ એક ગંભીર માનસિક બીમારી છે, જેમાં વ્યક્તિને વારંવાર દર્દનાક ઘટનાની યાદ આવે છે. જો આવી કોઈ દુર્ઘટાા બાદ કોઈ વ્યક્તિને કોડર, બૈચેની, ઉંઘ ન આવવી, ડર લાગવો કે વારંવાર એ જ ઘટનાનું સ્મરણ થવા જેવા લક્ષણો મહિના સુધી જોવા મળે તો તેને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ગણી શકાય. આવી સ્થિતિમાં વ્યક્તિ સામાન્ય જીવન નથી જીવી શકતી, કામમાં મન લાગવું, પરેશાન રહેવું જેવી સમસ્યાઓનો સામનો પણ કરે છે.
વર્ષો સુધી રહે છે આની અસર…

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં છપાયેલા એક રિસર્ચ અનુસાર આ પ્રકારની ઘટનાના છ મહિનાથી 9 મહિના સુધી 25થી 50 ટકા લોકોમાં આ લક્ષણો દેખાય છે. છ મહિના બાદ 38.9 ટકા લોકોમાં દેખાય છે અને ત્યાર બાદ તે ધીરે ધીરે ઓછા થવા લાગે છે. 2009મા નેધરલેન્ડમાં બનેલી દુર્ઘટના બાદ કરવામાં આવેલા સર્વેમાં જોવા મળ્યું હતું કે ઘટનાના 2 મહિના સુધી 50 ટકા સર્વાઈવર્સને પીટીએસડી થવાનું જોખમ હતું જ્યારે 32 ટકા લોકોને ડિપ્રેશન થયું હતું. એટલું જ નહીં દુર્ઘટનાના 19 વર્ષ બાદ પણ કેટલાક લોકોમાં આના લક્ષણો જોવા મળ્યા હતા, આ સિવાય તેમની અંદર બીજા પણ કેટલાક લક્ષણો જોવા મળ્યા હતા.
એકલતા અને ડિપ્રેશન…

આ પ્રકારની ઘટનાઓ જોનારા અનેક લોકો ડિપ્રેશનમાં પણ સરી રડે છે. ઘણી વખત આવા લોકો પોતાની જાતને લોકોથી દૂર એકલા પણ કરી લે છે. આવા લોકોને કોઈ સાથે વાત કરવાનું મન નથી થતું, મન ભારે રહે છે. આ સિવાય માનસિક તાણની અસર શરીર પણ દેખાવવા લાગે છે. માથામાં દુઃખાવો, થાક, ભૂખ ઓછી લાગવી કે વધુ લાગવી જેવા લક્ષણો પણ જોવા મળે છે.
કઈ રીતે બચી શકાય?
જો કોઈ વ્યક્તિમાં ટ્રોમા કે પીટીએસડીના લક્ષણો જોવા મળે તો એને કઈ રીતે બચાવી શકાય એની વાત કરીએ તો આવી દુર્ઘટના બાદ જે તે વ્યક્તિની મેન્ટલ હેલ્થની ટેસ્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે. આ માટે ડોક્ટર સાઈકોલોજિસ્ટની મદદ લેવી જોઈએ. આ માટે કાઉન્સેલિંગ વગેરે લેવાથી ના ખચકાવું જોઈએ. ઘટના બાદ જે પણ ભાવનાઓ મનમાં આવી રહી હોય એને સ્વીકારીને પોતાના લોકો સાથે આ મુદ્દે વાત ચોક્કસ કરો. જો રોવાનું મન થાય છે તો રોઈ પણ લો. શક્ય હોય ત્યાં સુધી એકલા રહેવાનું ટાળો, જેથી તમારું મન કોઈ એક જગ્યાએ અટવાયેલું ના રહે.