સ્પેશિયલ ફિચર્સ

ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તો પણ મૃતકનો પરિવાર વળતરનો હકદાર

આપણે એવી જ પ્રાર્થના કરીએ કે સૌ કોઈ જવાબદારીપૂર્વક વાહનો ચલાવે અને કોઈ અકસ્માતમાં જીવ ન ગુમાવે, પણ કમનસીબે દેશમાં માર્ગ અકસ્માતોના કિસ્સા ઘટવાનું નામ લેતા નથી. આવામાં અચાનકથી પરિવારની વ્યક્તિ ગુમાવ્યા બાદ જો પરિવારજનોને વળતર પણ ન મળે તો તેમની માટે મુસીબતો વધી જાય છે. ત્યારે ગ્રાહક કોર્ટે આપેલો એક નિર્ણય મહત્વનો છે.

કોઈ વ્યક્તિનું ડ્રાઇવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય અને ત્યાર પછી તે વાહન હંકારતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામે તો વળતર મળી શકે? હા, કારણ કે લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તેનો અર્થ એવો નથી કે તેણે બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કર્યું છે અથવા તેને ડ્રાઈવિંગ નથી આવડતું. નવસારી સ્થિત ગ્રાહક તકરાર નિવારણ પંચે આવો ચુકાદો આપીને એક એક્સિડન્ટના કેસમાં મૃતકના વારસદારને 11.25 લાખ રૂપિયાનો ક્લેમ ચુકવવા વીમા કંપનીને આદેશ આપ્યો છે. આ કેસમાં 2021માં એક એક્સિડન્ટમાં એક વ્યક્તિનું મોત થયું હતું જેના પુત્રને હવે ક્લેમની રકમ મળશે.


એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર 2 માર્ચ 2021ના રોજ વિજલપોર ખાતે ઈરુ રોડ પર એક વ્યક્તિનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. ચાર અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધા પછી 28 માર્ચે તેમનું મૃત્યુ થયું હતું. તેમનો ડેથ ક્લેમ વીમા કંપનીએ રિજેક્ટ કરતા તેમના પુત્ર એ ગ્રાહક તકરાર નિવારણ પંચમાં ફરિયાદ કરી હતી. મૃતકે રૂ. 15 લાખનું પર્સનલ એક્સિડન્ટ કવર લીધું હતું જે જૂન 2020થી એક વર્ષ માટે માન્ય હતું. પુત્રએ ક્લેમ કર્યો હતો, પણ 13 સપ્ટેમ્બર 2021ના રોજ વીમા કંપનીએ ક્લેમ રિજેક્ટ કરી દીધો.


વીમા કંપનીએ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામનારનું ડ્રાઈવિંગ લાઈસન્સ 14 મે 2018ના રોજ એક્સપાયર થઈ ગયું હતું. તેણે એમ પણ કહ્યું કે મૃતક બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરતા હોવાથી તેમનો અકસ્માત થયો હતો. પરંતુ ગ્રાહક તકરાર નિવારણ પંચે આ દલીલ ઉડાવી દીધી છે અને કહ્યું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ એક્સપાયર થઈ ગયું હોય તેનો અર્થ એવો નથી કે મૃતકને વાહન ચલાવતા નહોતું આવડતું અથવા તેઓ બેફામ ડ્રાઈવિંગ કરતા હતા.


વીમા કંપનીએ અગાઉના ચુકાદા ટાંકીને દલીલ કરી હતી કે મૃતક પાસે માન્યતાપ્રાપ્ત લાઈસન્સ હોત તો તે ક્લેમની રકમ મેળવવાને પાત્ર હોત. પુત્રના વકીલે કર્ણાટક હાઈકોર્ટના ચુકાદા ટાંકીને કહ્યું કે વીમા કંપનીએ લાઈસન્સ ચેક કરીને પછી જ વીમો ઈશ્યૂ કરવો જોઈએ. આ કિસ્સામાં વીમા કંપની આમ કરવામાં નિષ્ફળ ગઈ છે. મૃતક બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરવાથી દુર્ઘટનાનો ભોગ બન્યા છે તેવું દેખાડવા માટે કોઈ પૂરાવા આપી શકાયા નથી. એક ચુકાદામાં જણાવાયું છે કે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોય તો મૃતક 75 ટકા જેટલી વીમાની રકમ મેળવવાને પાત્ર છે.


ગ્રાહક તકરાર નિવારણ પંચે કહ્યું કે વીમા ધારક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવું જોઈએ. આ કેસમાં મૃતક પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હતું જે મે 2018 પછી રિન્યુ થયું ન હતું. એટલે કે તે વ્યવસ્થિત ડ્રાઈવિંગ જાણતા હતા. તેથી દુર્ઘટના સમયે તેઓ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરતા હતા તેમ કહી ન શકાય. તેના કારણે વીમા કંપનીએ મૃતકના પુત્રને 11.25 લાખની રકમ 9 ટકા વ્યાજ સાથે ચુકવવી પડશે, તથા માનસિક સતામણીના વળતર તરીકે રૂ. 5000 ચુકવવા પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…