આખરે સરકારે જનતાની એક વાત તો કાને ધરીઃ અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરી

સરકાર જનતાની વાત કાને ધરતી નથી તેવું ઘણીવાર આપણે કહેતા હોઈએ છીએ, પરંતુ જનતાની એક વાત સરકારે સાંભળી છે અને જનતાની માગણી પૂરી કરી છે. ટેલિકોમ મિનિસ્ટ્રીએ અભિનેતા અમિતાભ બચ્ચનની કૉલર ટ્યૂન બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમ મામલે જનતાને જાગૃત કરવા બીગ બીના અવાજમાં કૉલર ટ્યૂન સેટ કરવામાં આવી હતી, જેમાં ઓટીપી શેર ન કરવા અને સાયબર ક્રાઈમ રિલેટેડ ગુનાઓ અંગે સરકારે જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી.
આ ટ્યૂન 40 સેકન્ડ લાંબી હતી અને સતત આવતી રહેતી હોવાથી લોકો કંટાળી ગયા હતા. ઘણાએ બીગ બીને આ બંધ કરવા અપીલ કરી હતી ત્યારે બીગ બીએ તેમને કહ્યું હતું કે સરકારને કહો, મેં તો તેમણે જે કહ્યું છે તે પ્રમાણે કર્યું છે.
આ પણ વાંચો: સાયબર ક્રાઇમ કોલર ટ્યુનથી લોકો ‘ત્રાહિમામ’: અમિતાભ બચ્ચન પર સાધ્યું નિશાન…
જનતાની આ વાત સરકાર અને ટેલિકોમ મિનિસ્ટર જ્યોતિરાદિત્ય સિંધિયા સુધી પહોંચાડવાનું કામ ઈન્દોરના ભૂતપૂર્વ વિધાનસભ્ય સુદર્શન ગુપ્તાએ કર્યું હતું. ગુપ્તાએ તેમને અપીલ કરતા જણાવ્યું હતું કે રોડ એક્સિડેન્ટના બે ઈમરજન્સી કેસમાં આ ટ્યૂન અવરોધ બની હતી. ફોન કરતા જ પહેલા 40 સેક્ન્ડ તે ચાલે ત્યારબાદ સંપર્ક થઈ શક્યો હતો. સિંધિયાએ તેમની વાત સ્વીકારી હતી અને હવે સરકારે આ ટ્યૂન બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
પણ જો બીજી રીતે વિચારીએ તો આ કેવી વિચિત્રતા પણ છે. અમિતાભ બચ્ચનની સફળતામાં મોટો ફાળો તેમના અવાજનો છે. તેમણે અવાજના પેટન્ટ કરાવ્યા છે તે હદે તેમનો અવાજ લોકપ્રિય છે, પરંતુ જનતાને જ્યારે તે સતત સાંભળવો પડ્યો ત્યારે કંટાળો આવવા લાગ્યો અને તેને બંધ કરવાની માગ ઊઠી!