રખડતા શ્વાને બિલાડીને બચકાં ભર્યા ને બિલાડીએ બાપ-દીકરાને અને…
![A stray dog fed the cat and the cat fed the father and son and…](https://bombaysamachar.com/wp-content/uploads/2023/12/Mumbai-Samachar-by-Dhiraj-2023-12-01T182207.947.jpg)
એક ખૂબ જ દુઃખદ અને અચરજ પમાડે તેવી ઘટના ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના અકબરપુર નામના દેહાતી વિસ્તારમાં બની છે. અહીં ઘરની પાલતું બિલાડીને રખડતા શ્વાને બચકાં ભર્યા હતા. તે બાદ થોડા સમય બાદ બિલાડીએ પરિવારના પિતા-પુત્રને બચકાં ભર્યા હતા. નવેમ્બર મહિનાની શરૂઆતમાં બિલાડી અને તે બાદ છેલ્લા અઠવાડિયામાં પિતા-પુત્રના મોત થઈ ગયા છે અને ત્રણેયના હડકવા (રેબીસ)ને કારણે મોતથયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આ રખડતું શ્વાન હડકાયું હોવાનું માનવામાં આવે છે.
અહીં રહેતા અને પ્રાથમિક સ્કૂલમાં ભણાવતા ઈમ્તિયાઝ ઉદ્દીન એકાદ વર્ષ પહેલા ઘરે એક બિલાડી લાવ્યા હતા જેને આખો પરિવાર ખૂબ જ લાડથી રાખતો હતો. ઑક્ટોબર મહિનામાં આ બિલાડીને શ્વાને બચકાં ભરી લીધા હતા. તે બાદ તેની સારવાર પણ કરાવી હતી. સમય જતા બિલાડી હિંસક બની હતી અને તેણે ઘના બધાને ક્યારેક પંજા માર્યા હતા તો ક્યારેક બચકાં ભર્યા હતા. જોકે આને માત્ર એક નાનકડા પ્રાણીની મસ્તી સમજી બધાએ નજરઅંદાજ કર્યું હતું.
તે બાદ નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયે બિલાડી મરી ગઈ. તે બાદ ઈમ્તિયાઝનો દીકરો અઝીઝ ભોપાલ એક લગ્નમાં ગયો હતો. અહીં તેની તબિયત લથડવા માંડી અને પરિવારે કાનપુરમાં તેની સારવાર કરાવી. જોકે તે મૃત્યુ પામ્યો. તેના મૃત્યુના આઘાતમાં ઈમ્તીયાઝ દુખી રહેતા હતા અને તેમનું વર્તન પણ બદલાયેલું હતું. 25 નવેમ્બરે દીકરા અઝીઝના મોત બાદ 30મીએ ઈમ્તીયાઝનું પણ મોત નિપજ્યું. પડોશીના કહેવા અનુસાર બિલાડીના કરડવા બાદ તેમના વર્તનમાં ધીમે ધીમે થોડો ફરક આવ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પરિવારના બાકીના સભ્યો અને જે પણ બિલાડીના સંસર્ગમા આવ્યું હોય તેને કાનપુરની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમનું ચેક અપ કરવામાં આવ્યું છે.
ડોક્ટોરના જણાવ્યા અનુસાર જો કોઈ હડકાયું પ્રાણી કોઈ માણસને કરડે છે તો તેણે 24 થી 48 કલાકની અંદર હડકવાની રસી મૂકાવી લેવી જોઈએ. જો રસી મૂકવામાં ઢીલ દાખવવામાં આવે તો ખતરો વધી જાય છે. એ જરૂરી નથી કે હડકવાના લક્ષણો તરત દેખાવા માંડે. એ મહિનાઓ, વર્ષો પછી પણ સામે આવી શકે છે, તેથી હડકવાની રસી મૂકાવવામાં ઢીલ કરવી જોઈએ નહીં.
હાલ રખડતા શ્વાને કરડી ખાતા પરિવારે પાલતું પ્રાણી અને બે સભ્યોને ગુમાવ્યા છે.