રાશિફળ

100 વર્ષ બાદ મકર રાશિમાં બની રહ્યો છે પંચગ્રહી યોગ, ચાર રાશિના જાતકોની થઈ રહી છે ચાંદી જ ચાંદી…

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલ અને તેમની યુતિ હંમેશા ઉત્સુકતાનો વિષય રહી છે. વર્ષ 2026 ની શરૂઆત જ એક અત્યંત દુર્લભ અને પ્રભાવશાળી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. 19મી જાન્યુઆરી, 2026ના રોજ મકર રાશિમાં ‘પંચગ્રહી યોગ’ રચાવા જઈ રહ્યો છે. 100 વર્ષ બાદ સર્જાતો એક વિશિષ્ટ સંયોગ માનવામાં આવે છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર જ્યારે સૂર્ય, મંગળ, બુધ, શુક્ર અને ચંદ્ર જેવા પાંચ મહત્ત્વના ગ્રહો એક જ રાશિમાં આવે છે ત્યારે પંચગ્રહી યોગનું નિર્માણ થાય છે. શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં આ યુતિ સર્જાતી હોવાથી તેની અસર શિસ્ત, મહેનત અને લાંબા ગાળાના આર્થિક લાભ પર જોવા મળશે. જ્યોતિષીઓના મતે આ યોગ મુખ્યત્વે 4 રાશિઓ માટે ગોલ્ડન ટાઈમ લઈને આવશે.

વૃષભ રાશિના જાતકો માટે આ યોગ નવમા ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં રચાશે. અટકેલા નાણાં પરત મળશે અને રોકાણમાંથી શ્રેષ્ઠ વળતર મળવાની પૂરી શક્યતા છે. વિદેશ યાત્રા કે ઉચ્ચ શિક્ષણના પ્રયાસોમાં સફળતા મળશે. જે ખુશીઓ 2025 માં અધૂરી રહી ગઈ હતી, તે હવે પૂર્ણ થતી જણાશે. ઘરમાં ધાર્મિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે અને વડીલોના આશીર્વાદથી કાર્ય સફળ થશે.

કર્ક રાશિના જાતકો માટે આ યુતિ સાતમા ભાવમાં થશે, જે ભાગીદારી અને સંબંધોને પ્રભાવિત કરશે. અચાનક નાણાકીય લાભના યોગ છે. જૂના દેવામાંથી મુક્તિ મળશે. ક્રિએટિવ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે જોડાયેલા લોકોને નવી અને મોટી તકો મળશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખતા દંપતીઓ માટે આ સમય શુભ સમાચાર લાવી શકે છે. માનસિક તણાવમાં ઘટાડો થશે.

તુલા રાશિના ચોથા ભાવમાં આ યોગ રચાશે, જે સુખ-સુવિધા અને મિલકતનું પ્રતિનિધિત્વ કરે છે. લાંબા સમયથી ઘર કે વાહન ખરીદવાની યોજના હવે સાકાર થઈ શકે છે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સામાજિક વર્તુળમાં તમારું માન-સન્માન વધશે. નોકરીમાં મનગમતી જગ્યાએ બદલી કે પ્રમોશનના યોગ છે.

આ દુર્લભ યોગ મકર રાશિમાં જ બની રહ્યો હોવાને કારણે આ રાશિના જાતકો પર તેની સૌથી વધુ સકારાત્મક અસર જોવા મળશે. સૂર્ય અને મંગળની હાજરીથી આ સમયે આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં જબરદસ્ત વધારો થશે. કોર્ટ-કચેરી કે જમીન-મિલકતના જૂના વિવાદો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે. કામના સ્થળેતમારી પકડ મજબૂત બનશે અને મોટી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. જે આર્થિક સ્થિતિને વધુ સશક્ત બનાવશે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button