રાશિફળ

શું તમને પણ થાય છે હેરફોલ? ક્યાંક તમારી કુંડળીમાં પણ નબળા તો નથી ને આ ગ્રહો…

આજની ભાગદોડભરી, સ્ટ્રેસફૂલ લાઈફસ્ટાઈલ હેર ફોલ એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે અને લોકો આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે શેમ્પૂ અને તેલ પાછળ હજારો રૂપિયા ખર્ચી નાખે છે. આમ છતાં પણ ધાર્યું પરિણામ મળતું નથી. પરંતુ જો તમને કોઈ કહે કે તમારા હેર ફોલનો સંબંધ તમારી ગ્રહ દશા પર આધાર રાખે છે તો માનવામાં આવે ખરું? કદાચ માનવામાં ના આવે પણ એ હકીકત છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, ઘણીવાર આ સમસ્યા પાછળ માત્ર પોષણનો અભાવ જ નહીં, પરંતુ કુંડળીમાં રહેલા ગ્રહોની અશુભ સ્થિતિ પણ જવાબદાર હોય છે, જેના વિશે આજે આપણે અહીં વાત કરીશું.

જ્યોતિષશાસ્ત્રમાં શરીરના દરેક અંગ પર કોઈને કોઈ ગ્રહનું આધિપત્ય હોય છે. જ્યારે આ ગ્રહો નબળા પડે છે, ત્યારે તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય અને દેખાવ પર પડે છે. ત્યારે આજે આપણે અહીં જાણીશું કે આખરે કયા ગ્રહોની નબળાઈને કારણે વાળ ખરે છે અને તેને રોકવાના અસરકારક જ્યોતિષીય ઉપાયો શું છે એ-

સૌથી પહેલાં તો હેરફોલ માટે ગ્રહોના રાજા સૂર્ય જવાબદાર છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનો સંબંધ હાડકાં અને મસ્તક સાથે જોડવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈની કુંડળીમાં સૂર્ય નીચનો હોય કે શનિ-રાહુથી પીડિત હોય, તો સ્કેલ્પ એટલે કે તાળવાની ત્વચા નબળી પડે છે અને વાળ ખરવા લાગે છે.

સૂર્ય સિવાય જ્યારે તમારી કુંડળીમાં માયાવી ગ્રહ રાહુ નબળો હોય ત્યારે પણ હેરફોલની સમસ્યા જોવા મળે છે. રાહુ અચાનક થતી ઘટનાઓનો કારક છે. જો તમારા વાળ અચાનક જ ગુચ્છામાં ખરવા લાગે, તો સમજો કે રાહુ અશુભ સ્થિતિમાં છે. એમાં પણ ખાસ કરીને ધન કે વૃશ્ચિક રાશિમાં રહેલો રાહુ સૂર્ય પર દ્રષ્ટિ કરે ત્યારે ટાલ પડવાની શક્યતા વધી જાય છે.

આ સિવાય જ્યારે ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ દેવની નબળાઈ હોવાથી પણ હેરફોલ થાય છે. જો કોઈની શનિ નીચનો હોય કે છઠ્ઠા કે આઠમાં ભાવમાં હોય, તો વાળ પાતળા અને નિર્જીવ થઈ જાય છે. ગ્રહોના રાજકુમાર બુધ નબળો હોવાથી વ્યક્તિને ધીમે-ધીમે ટાલ પડવાની સમસ્યા પણ નડે છે.

ખરતાં વાળ રોકવાના અચૂક ઉપાયો

જો તમે પણ વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોવ, તો નીચે મુજબના જ્યોતિષીય ઉપાયો કરી શકાય છે. ચાલો જોઈએ કયા છે આ ઉપાયો…

  • સૂર્યને મજબૂત કરો: દરરોજ સવારે તાંબાના લોટામાં જળ ભરી સૂર્યદેવને અર્ધ્ય આપો. જળ ચઢાવતી વખતે ‘ૐ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરવો. રાત્રે તાંબાના વાસણમાં રાખેલું પાણી સવારે પીવાથી પણ સૂર્ય ગ્રહ બળવાન બને છે.
  • શનિ અને રાહુની શાંતિ: શનિવારે કાળા તલ અથવા લોખંડની વસ્તુઓનું દાન કરો. આ ઉપાય કરવાથી શનિ-રાહુના અશુભ પ્રભાવથી બચી શકાય છે.
  • બુધ ગ્રહ માટે ઉપાય: નહાવાના પાણીમાં લીમડાના પાન અથવા એલચી નાખીને સ્નાન કરવાથી બુધ મજબૂત બને છે, જે વાળના ગ્રોથમાં મદદરૂપ થાય છે.
  • વીંટી ધારણ કરવી: અનામિકા એટલે કે રિંગ ફિંગરમાં તાંબાની વીંટી ધારણ કરવાથી સૂર્ય અને બુધ બંને ગ્રહો સકારાત્મક ફળ આપે છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button