ફેબ્રુઆરી મહિનાના આ દિવસોમાં આગ સંબંધિત આ કામ કરવાનું ટાળો, નહીંતર..

જ્યોતિષશાસ્ત્રમાં ‘પંચક’ને અશુભ સમય માનવામાં આવે છે, જેમાં અમુક કાર્યો કરવાની સખત મનાઈ હોય છે. પંચક પાંચ પ્રકારના હોય છે, પરંતુ જ્યારે પંચક મંગળવારથી શરૂ થાય ત્યારે તેને ‘અગ્નિ પંચક’ કહેવામાં આવે છે. નામ પ્રમાણે જ આ પંચક ખૂબ જ ઘાતક માનવામાં આવે છે, કારણ કે આ સમયગાળામાં આગ લાગવાની કે અકસ્માતની ઘટનાઓ વધવાની શક્યતા રહેલી હોય છે.
વર્ષ 2026ના ફેબ્રુઆરી મહિનામાં શરૂ થનારા અગ્નિ પંચક અને તેના નિયમો વિશે આજે આપણે અહીં વિસ્તારથી વાત કરીશું. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર અગ્નિ પંચક દરમિયાન અગ્નિ તત્વ વધુ સક્રિય અને આક્રમક બને છે, તેથી આ પાંચ દિવસોમાં વિશેષ સાવધાની રાખવી અનિવાર્ય છે.
ક્યારે થાય છે અગ્નિ પંચકઃ
ફેબ્રુઆરી મહિનામાં અગ્નિ પંચકનો પ્રારંભ અને અંતની તારીખ અને સમય નીચે પ્રમાણેનો રહેશે-
પ્રારંભ: 17મી ફેબ્રુઆરી 2026, મંગળવારે સવારે 09.05 વાગ્યે.
સમાપ્તિ: 21મી ફેબ્રુઆરી 2026, શનિવારે રાત્રે 07.07 વાગ્યે.
અગ્નિ પંચકમાં રાખો આ ખાસ સાવધાની-
શાસ્ત્રો અગ્નિપંચક દરમિયાન શું ના કરવું જોઈએ અને શું કરવાથી બચવું જોઈએ એ વિશે વિસ્તારથી વાત કરીએ. આ સમયે ઘરમાં ગેસ સિલિન્ડર, લાકડા, ઘાસ કે અન્ય જ્વલનશીલ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. અગ્નિ કે વીજળી સાથે જોડાયેલાં મોટા મશીનો પર કામ કરવું ટાળવું, કારણ કે જાન-માલનું નુકસાન થવાની સંભાવના રહે છે. આ સિવાય કોઈ પણ નવું વ્યાપારિક કાર્ય કે પ્રોજેક્ટ આ પાંચ દિવસ દરમિયાન શરૂ ન કરવો. અગ્નિ પંચકમાં હવન કે યજ્ઞ કરવાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
અગ્નિ પંચક દરમિયાન આ કાર્યો છે વર્જિત
પંચકના સામાન્ય નિયમો મુજબ કેટલાક કાર્યો કરવાની મનાઈ કરવામાં આવે છે. ચાલો જોઈએ પંચક દરમિયાન કયા કાર્યો કરવાની મનાઈ છે-
- ઘરની છત (ધાબું) ભરાવવી નહીં.
- લાકડા એકઠા કરવા કે નવું ફર્નિચર ખરીદવું નહીં.
- દક્ષિણ દિશાની યાત્રા કરવી અશુભ માનવામાં આવે છે.
- પલંગ કે ચારપાઈ બનાવવી નહીં.
- જો પંચકમાં કોઈનું મૃત્યુ થાય, તો વિશેષ વિધિ (પુતળા દહન) કર્યા વિના અંતિમ સંસ્કાર ન કરવા જોઈએ.
પંચક ક્યારે લાગે છે?
પંચક ક્યારે બેસે છે એના વિશે વાત કરીએ જ્યારે ચંદ્ર ઘનિષ્ઠા નક્ષત્રના ત્રીજા ચરણમાં પ્રવેશ કરે છે ત્યારે પંચક શરૂ થાય છે અને જ્યારે ચંદ્ર શતભિષા નક્ષત્રમાંથી બહાર નીકળે છે ત્યારે તેની સમાપ્તિ થાય છે. પંચકના પાંચ દિવસોમાં પાંચ નક્ષત્રો (ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી)નો પ્રભાવ જોવા મળે છે.


