પુરુષ

એની ગજબ અજાયબીનો દરિયો

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

ડૂબેલાં જહાજોમાંથી મળી આવતો દુર્લભ ખજાનો.. , ઊંડે સુધી ડૂબકી મારી અલભ્ય ખજાનો શોધી લાવે છે સાગર સાહસિકો

મુગ્ધ બની સામે રહેલી પર્વતમાળાનાં ઉત્તુંગ શિખરો પર નજર ઠેરવો કે પછી બેફામ ઉછળતાં સમુદ્રનાં મોજાંને અપલક નિહાળીને એની સમીપ જાવ ત્યાર એ બન્નેની સામે માનવ તરીકે આપણે કેવા વામણા છીએ એ તરત જ મનોમન સમજાય જશે..

દેવ-દાનવના અમૃતમંથનની પૌરાણિક કથા આપણે સાંભળી-વાંચી છે. એનાં વિષ-અમૃતના પાઠ પણ ભણ્યા છીએ. સમુદ્રખેડુઓના આરાધ્ય એવા દરિયાદેવનાં સર્જન-વિસર્જન જેટલાં જાણીતા છે એટલાં અજાણ્યાં પણ છે. એનાં વિસર્જન તો હજુય નજર સામે તરી આવે, પણ દરિયાદેવની સર્જન જેવી સંપત્તિનો તાગ લેવો દુષ્કર છે. અને આવું આવું જાણવાની જિજ્ઞાસા મનુષ્યમાત્રને સમુદ્ર તટ પરથી એના તળિયા સુધી દોરી જાય છે.

આવા અફાટ દરિયા વિશે એની કેટલીક મૂળભૂત વાત જાણી લેવી જરૂરી છે, જેમકે સમુદ્રની સરેરાશ ઊંડાઈ ૩૬૮૨ મીટર એટલે કે ૧૨૦૮૦ ફૂટ છે. સમુદ્રના સૌથી ઊંડા ભાગને ‘ચેલેન્જર ડીપ’ કહે છે, જે મરિયાના ટ્રેન્ચના દક્ષિણ છેડે પશ્ર્ચિમ પેસિફિક મહાસાગરની નીચે છે. તેનું આ નામ ચેલેન્જરના નામના એક શીપ પરથી રાખવામાં આવ્યું છે, જેના ક્રૂએ સૌપ્રથમ ૧૮૭૫માં ખાઈની ઊંડાઈનો અવાજ સાંભળ્યો હતો.

પૃથ્વીની સપાટીના ૭૦ ટકાથી વધુ ભાગને વિભિન્ન મહાસાગરે આવરી લીધો છે, જે વિશ્ર્વના અડધાથી વધુ ઓક્સિજનનું ઉત્પાદન કરે છે-આબોહવાનું નિયમન કરે છે અને માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના લગભગ ત્રીજા ભાગને શોષી લે છે.

આવા મનમોજીલા સાગર-મહાસાગર એની ભીતર અતિમૂલ્ય અઢળક ખજાનો ગુપ્ત રીતે સંગ્રહી રાખવામાં
કુશળ છે. અત્યાર સુધીમાં વા-વંટોળ કે અતિ વૃષ્ટિનાં સમુદ્રી તોફાન અથવા તો દરિયાઈ યુદ્ધ વખતે અનેક તોતિંગ શીપ મહા સાગરને તળિયે કરોડો-અબજોની સંપત્તિ સાથે ગરક થઈ જાય છે.
આવી ડૂબી ગયેલી માલમતા માટે શોધખોળ ચાલતી જ રહે છે. એમાંથી અમુકનો અતોપતો મળે છે તો કેટલાંય હંમેશને માટે સમયના ગર્તામાં વિલીન થઈ જાય છે.

આવી દુર્ઘટનાની વાત આવે ત્યારે સમુદ્રી તોફાનમાં હિમશીલા સાથે ટક્કરાઈને દરિયામાં ગરક થઈ ગયેલી વૈભવી શીપ ‘ટાઈટેનિક’ની ઘટના તો આજે એક દંતકથા-લોકકથા જેવી થઈ ગઈ છે. બીજી તરફ, ટાઈટેનિકથી પણ વર્ષો પહેલાં એક અકસ્માતમાં સ્પેનનું ‘ન્યૂએસટ્રા સેનોરા દી’ ‘ઍટોચા’ જેવા અટપટા નામનું એક શીપ મધદરિયે પ્રચંડ વાવાઝોડા-વરસાદને લીધે ડૂબી ગયું હતું. ફ્લોરિડા નજીક આ જહાજ આજથી આશરે ૩૦૦ વર્ષ પહેલાં ડૂબ્યું ત્યારે ૨૬૦ જેટલા પ્રવાસી માર્યા ગયા હતા અને એમાંથી પાંચ ચમત્કારરૂપે ઊગરી પણ ગયા હતા, પણ નવાઈની વાત એ હતી કે આ જહાજમાં શું શું ખજાનો ભર્યો હતો એની ભાગ્યે જ કોઈને ત્યારે જાણ હતી, પણ આજથી ૩૮ વર્ષ પહેલાં એક ટ્રેજર હન્ટર-ખજાના શોધક સાહસવીરે જ્યારે પેલા સ્પેનિશ જહાજનો દરિયામાંથી કાટમાળ શોધી કાઢ્યો ત્યારે જગત આખાને જાણ થઈ કે ૪૦ ટન સોના-ચાંદીની પાટ-હીરા તેમ જ ૭૦ પાઉન્ડ વજનના અન્ય ધાતુના અતિ મૂલ્યવાન આભૂષણો-સિક્કા સાથે એ જહાજે દરિયામાં સમાધિ લીધી હતી,જેની અંદાજિત કિંમત હતી ૪૦૦ મિલિયન ડૉલર એટલે કે આશરે ૩૦ અબજ રૂપિયા..! કહે છે કે વિશ્ર્વમાં કોઈ પણ ડૂબેલી શીપમાંથી મળી આવેલો આ સૌથી વધુ મોટી રકમનો ખજાનો છે!

આ જ રીતે, એક વેપારી જહાજ ‘એસ.એસ. ગૈરસોપ્પા’ ને ૧૯૪૧ માં નાઝીઓએ ટોરપીડોના હુમલા દ્વારા આયર્લેન્ડના કાંઠે ડૂબાડી દીધું હતું. બીજા વિશ્ર્વ યુદ્ધ વખતે બ્રિટિશ સૈન્યને મદદરૂપ થવા આ જહાજ ભારતમાંથી અંદાજે ૧૯૦ મિલિયન ડૉલર (આશરે પંદર અબજ રૂપિયા)ની ચાંદી લઈને જઈ રહ્યું હતું. આ ડૂબેલા જહાજનો ભંગાર ૨૦૧૧માં આંશિક રીતે શોધાયો ત્યારે એમાંથી આશરે ૩૮ મિલિયન ડૉલરની ચાંદી મળી આવી હતી. આ ભંગાર સાથે એક અલગ પ્રકારનો ખજાનો પણ મળી આવ્યો હતો, જે હતો પ્રિયજનોને લખેલા ૭૦૦ પત્રોનો સંગ્રહ .. આ પત્રો સમુદ્રની ત્રણ માઇલ નીચે, કાટમાળની સાથે ચમત્કારિક રીતે સચવાયેલા હતા ! આ પત્ર – સંગ્રહ આજે લંડનના મ્યુઝિયમમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

આમ જહાજની સાથે સમુદ્રમાં ગરક થઈ ગયેલાં આવાં તો અનેક ખજાનાની રોમાંચક ઘટનાઓનો એક અલાયદો વિશેષ લેખ કરી શકાય, પણ એની વાતો ફરી કયારેક. જો કે, ‘દરિયામાં ખોવાઈ’ ગયેલા આવા દુર્લભ અધધધ ખજાના કરતાંય દરિયાદેવ પાસે તો આથીય વધુ અવાક થઈ જવાય એવી કુદરતી સંપત્તિ પણ છે.

સમુદ્રના પેટાળમાં સદીઓથી કુદરતી રીતે જ સર્જાયેલો ખનીજ-ધાતુનો અઢળક સંગ્રહ છે.

દરિયાનાં છીછરાં સ્તરે રેતી-ટીન અને થોડા વધુ અંદર ઊતરતા કાચા હીરા પણ મળી આવે. મરજીવા અમુક ઊંડાણ – ચોક્કસ સ્તર સુધી જ જઈ શકે-ગોતાખોરી કરી શકે, પણ એથી વધુ ઊંડે આધુનિક સાધનો સાથે જઈને સમુદ્રના વિવિધ સ્તરે સલ્ફાઈડ – કોબાલ્ટ – કોપર- મેગેનીઝ-ઝીન્કથી લઈને કોપર-સિલ્વર અને ગોલ્ડ ધાતુ પણ વત્તા-ઓછા અંશે ઉલેચી શકાય છે.

જો કે, આવી બધી સમુદ્રી ગોતાખોરી કે શોધખોળ આડેધડ ન ચલાવી લેવાય. અનેક વૈજ્ઞાનિક સર્વેક્ષણ કહે છે કે ધરતીના પેટાળ ઊંડેથી જે રીતે કાળા માથાનો માનવી આજે જે ત્વરાથી ધાતુ-ખનીજ ઉસરડી રહ્યો છે એ જોતાં ધરતીની તિજોરી વહેલી તકે તળિયા ઝાટક થઈ જશે .આવી જ શક્યતા દરિયાના ખનિજ-ધાતુ સાથે પણ થઈ શકે.

દરેક દેશ પોતાની આવી સમુદ્રી સંપત્તિનું રક્ષણ કરવા ઉપરાંત દરિયાદેવના ખજાનાનો
દેશ કાજે યોગ્ય ઉપયોગ કરવા પર અંકુશ રાખે છે-રાખવો પડે છે.

મહાસાગર પાસેથી આપણને માત્ર શંખ-છીપલાં-મોતી કે મૂલ્યવાન ખનીજ જ નથી મળતું. સમુદ્ર તથા એની જીવ-પ્રાણીસૃષ્ટિ પાસેથી પણ આપણને
અનેકવિધ ઉપયોગી ઔષધિ પણ મળે છે.

બહુ ઓછાને જાણ છે કે વહેલ માછલી જે ઊલટી કરે એ ‘એમ્બર્ગીસ’ તરીકે ઓળખાતું પ્રવાહી થીજી ગયા પછી મીણ જેવું બની જાય એટલે જાતીય શક્તિ વધારવા ઉપરાંત એ હૃદય અને મગજના અટપટા રોગમાં ઔષધરૂપે વપરાય છે. આવી વહેલની ઊલટી બહુ મોંઘી ગણાય છે.

થોડા સમય પહેલાં મુંબઈ પોલીસે એક શખસ પાસેથી વહેલની ‘ઊલટી’નો ૧ કિલોગ્રામ જેટલો જથ્થો ઝડપ્યો હતો, જેની કિંમત હતી ૧ કરોડ ૭૦ લાખ !

આ જ રીતે અનેક સમુદ્રી જીવોની ઝેરી લાળ તથા અમુક પ્રકારની શેવાળ જેવી દરિયાઈ વનસ્પતિઓમાંથી માનવ ઉપયોગી દવા બને છે.

આપણા દેશની સમુદ્રી સીમા જ્યાં સુધી વિસ્તરી છે એ હિંદ મહાસાગરમાં આપણી ભારત સરકારે વધુ ઊંડા ઊતરવાનો નિર્ણય કર્યો છે. એ અનુસાર આપણા સમુદ્રી વિસ્તારમાં અતિ આધુનિક સાધનો સાથે ખૂબ જ ઊંડાણ સુધી જઈ નીકલ -કોબાલ્ટ -કોપર જેવી ધાતુ-ખનીજને ઊલેચી બહાર કાઢવાની યોજના છે. કહે છે કે ૧૧૦ અબજ ડૉલરનો આ ખજાનો છે !

૨૦૨૧ થી ૨૦૨૪ દરમિયાન મહાસાગરની કુદરતી ભૂગોળ એટલે કે ઓશનોગ્રાફિ તથા ‘ડીપ સી માઈનિંગ’ પદ્ધતિથી અમલમાં આવનારા આ પ્રોજેકટ પાછળ કેન્દ્ર સરકારે રૂપિયા ૨,૮૨૩ કરોડનું બજેટ પણ અલાયદું ફાળવી દીધું છે. આમ એની અનેકવિધ સંપત્તિનું બરાબર જતન કરીએ તો દરિયાલાલ માનવીને ખરા અર્થમાં ન્યાલ કરી દે!

જોઈએ, હવે દરિયાદેવ આપણને કેવાક ફળે છે.

આ તો ૮ જૂનના ‘વિશ્ર્વ મહાસાગર દિવસ’ ના અવસરે આપણને કુદરતે આપેલા સમુદ્રની સોગાદનો માત્ર ઉપરછલ્લો પરિચય છે. એનાં અફાટ ઉછળતાં મોજાં વચ્ચે તો આનાથી અનેક ગણી વધુ સંપત્તિ અને રોમાંચક રહસ્ય અકબંધ સચવાયેલાં પડ્યાં છે.!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો