પુરુષ

આ આર્થિક તૂતનાં ભૂત કેવાંક ભયજનક છે?

અત્યારે આભાસી નાણું ક્રિપ્ટોકરન્સી સાથે હવે આ NFT- નોન ફંગિબલ ટોકનનું નવું તૂત રોકાણકારોને લોભાવી રહ્યું છે.એ બન્ને કેવાંક ઉપકારક ને કેટલાં જોખમી છે એનો ચોંકાવનારો ઍક્સ-રે

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

આજકાલ આપણી આસપાસ કેટલું બધું બની રહ્યું છે રોજિંદી જિંદગીમાં ય ધારી નહોતી એટલી બધી ઘટના બની રહી છે. એમાંય તમે જો અખબાર જગત સાથે સંકળાયેલા હો તો ઘાંઘાં થઈ જાવ એ ઝડપે ઘટના – સમાચાર સર્જાતાં રહે છે. જેનો પહેલાં સરવાળો થતો હતો એ બધાનો હવે ગુણાકાર થવા લાગ્યો છે!

આર્થિક આપઘાત કરવાના ઘણા રસ્તા છે. તમે પ્રયાસ કરો અને સફળ ન પણ નીવડો,પણ બે રસ્તા આજે એવા પણ છે,જેમાં તમે અચૂક સફળ નીવડો. આર્થિક આપઘાતના એ બે રસ્તામાંથી એક છે શેરબજાર અને બીજો છે ક્રિપ્ટોકરન્સી!

શેરબજાર તમને આર્થિક રીતે આબાદ
કરી શકે એમ ખુવાર પણ કરી શકે છે .એવું જ આજનું નવું દૂષણ છે આભાસી નાણું ક્રિપ્ટો.

આર્થિકજગત અને શેરબજારમાં જેમની ઓળખ સૌથી ડાહ્યા માણસ અને સૌથી સ્માર્ટ ઈન્વેસ્ટર તરીકે છે એવા ૯૩ વર્ષી વોરેન બફેટને તો આજના નવા આર્થિક દૂષણ એવા ક્રિપ્ટોકરન્સી પર સખત નફરત છે. એ કહે છે કે બિટકોઈન તો મૂષક મારવાની ઝેરી દવા જેવો છ ેહું તો મારી મિલકતમાંથી ૨૫ ડૉલર જેવી મામૂલી રકમ સુધ્ધાંનું ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ ન કરું,કારણ કે આ આભાસી નાણું તો ચેપી ગુપ્ત રોગ જેવું છે!

બીજી તરફ, બીજા દેશોની જેમ આપણી સરકાર પણ અવઢવમાં છે કે ક્રિપ્ટોકરન્સીને સત્તાવાર માન્યતા આપવી કે નહીં. એની લેતી-દેતી પર કામચલાઉ ટેક્સ ફટકાર્યો છે. આપણી રિઝર્વ બૅન્કના માજી ડેપ્યુટી ગવર્નર રવિશંકર પણ આ ક્રિપ્ટોકરન્સીને લે-ભાગુ પોન્ઝી સ્કિમ જેવી ગણાવી છે. ગમે ત્યારે એનો પરપોટો ફૂટી શકે છે..

આજકાલના સાંયોગિક પુરાવા પણ તે તરફ દોરી જાય તેવા છે. શેરમાર્કેટમાં ‘કભી ખુશી..કભી ગમ’ જેવો માહોલ રહે છે તો ક્રિપ્ટોની બજારમાં જે રીતની અંધાધૂંધી ફેલાઈ રહે છે એ જોઈને સત્તાવાર રીતે આપણી સરકારની ના હોવા છતાં ક્રિપ્ટોમાં રોકાણ કરનારાનાં હૃદયનાં પાટિયાં બેસી જાય એવા સંજોગો સર્જાયા છે. ટૂંકમાં, ક્રિપ્ટો અને શેરબજારના પળે પળે પલટાતાં વલણ તો કાંચિડાને ય શરમાવે તેવાં છે. ફરી શાણા અને સફળ રોકણકાર વોરેન બફેટના શબ્દો ટાંકીએ તો કહી શકાય : ‘અજ્ઞાન અને ઉધારના પૈસામાં લાલચ ભળે તો એ ડેડલી કોકટેલ બની જાય
અત્યારની આભાસી આર્થિક માર્કેટમાં આવું મિશ્રણ અતિ જોખમી છે’

શેરબજાર અને ક્રિપ્ટોનો ક્રેઝ એવો વધ્યો છે કે બધાને રાતોરાત અઢળક કમાઈ લેવું છે. સદીઓ પહેલાં આવો જે એક વાયરો જોરશોરથી ફૂંકાયો હતો એને આજે આપણે ક્રિપ્ટોકરન્સી સાથે સરખાવી શકીએ. મધ્યયુગનો એ માયાવી વાયરો હતો ટ્યૂલિપ ફલાવરનો. જે આપણે ત્યાં ‘કંદ પુષ્પ’ તરીકે ઓળખાય છે એ મૂળ તુર્કીનું ફૂલ પાછળ યુરોપના શ્રીમંતો જબરા પાગલ. પોતાના માણસોને ખાસ તુર્કી મોકલી ટ્યૂલિપ મંગાવતા. યુરોપના શ્રીમંતો પોતાનાં વૈભવી મહાલય ટ્યૂલિપ ફ્લાવરથી શણગારતા. આ એક ‘સ્ટેટસ સિમ્બોલ’- વિશેષ સામાજિક મોભો ગણાતો. પાછળથી એની ખેતી યુરાપમાં-ખાસ કરીને હોલેન્ડમાં થવા લાગી.શરૂઆતમાં આ પુષ્પો ધનવાનોને પોષાતા. પછી મધ્યમ વર્ગમાંય એની ઘેલછા શરૂ થતાં એનો વેપાર ઝડપથી વધવા લાગ્યો . ઊંચી કિંમતે એની લે-વેંચ થવા માંડી. એ વખતે ટ્યૂલિપની લોકપ્રિયતા એવી વધી ગઈ કે સામાન્ય લોકો પણ પોતાના મૂળ કામ – ધંધાને છોડીને ટ્યૂલિપના વેપારમાં લાગી ગયા. ક્રમશ: ટ્યૂલિપ ફૂલની જોઈતી ખપતની સામે માલની જબરી અછત સર્જાઈ.એના આગોતરા સોદા થવા લાગ્યા પછી આવી દરેક તેજીમાં થાય છે એમ એની પરાકાષ્ઠાએ ટ્યૂલિપના શાણા સટોડિયાઓએ એમનો સઘળો માલ બજારમાં વહેલો ફૂંકી માર્યો ને માર્કેટ
ધડાકાબંધ કડડભૂસ તૂટી પડી,જેમાં હોલેન્ડના અસંખ્ય લોકો પાયમાલ થઈ ગયા.

કોવિડ વખતનું લોકડાઉન – ઘરબંધીને લીધે ડિજિટલ આર્થિક વ્યવહાર વધ્યો એને પગલે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો. આ દ્રશ્યમાં વર્ચ્યુલ કરન્સી ક્રિપ્ટોના પ્રવેશ પછી આ સાઈબર ક્રાઈમવાળા ક્રિપ્ટો ક્રાઈમ તરફ વળી ગયા છે. એ જ રીતે , ક્રિપ્ટોની લે-વેચ કરતા બોગસ ક્રિપ્ટો એકસ્ચેન્જમાંય ઉછાળો આવ્યો છે. આ બે ભયસ્થાનની અડફેટમાં કેમ ન આવવું એ વિશે વિચારીએ – સમજીએ એ પહેલાં આપણે ત્યાં એક ત્રીજી જ ભયની સીસોટી-ઘંટી વાગવાની શરૂ થઈ ગઈ છે.

એ છે NFT એટલે કે ‘નોન ફંગિબલ ટોકન’ (કોઈ આનો ઉચ્ચાર ફંગિબ્લેસ’ પણ કરે છે).એને સરળ શબ્દોમાં સમજાવીએ તો એ એક એવું ટોકન-સૂચક નિશાની છે, જે ‘બ્લેકચેન’ તરીકે ઓળખાતી ડિજિટલ માધ્યમથી તૈયાર થાય છે. એમાં થતી નોંધણીને  કોઈ હટાવી-મિટાવી શકતું નથી. આ અદ્વિતીય ડિજિટલ ટોકન -સંપત્તિમાં કોઈ ફેરફાર શક્ય નથી એટલે  તમે કોઈ પણ કલાકૃતિ-તસવીર-વીડિયો,મ્યુઝિક , ઈત્યાદિને એનએફટીમાં પલટાવીને એને વેંચી શકો.સરત માત્ર એટલી જ કે એનું વેંચાણ માત્ર ક્રિપ્ટોકરન્સીમાં જ થઈ શકે છે

ઉદાહરણ તરીકે,તમારે કોઈ જાણીતું પેન્ટિંગ તમારા સ્વજન કે મિત્રને ભેટ આપવું હોય તો એનએફટી માર્કેટ પ્લેસમાંથી ક્રિપ્ટોકરન્સી દ્વારા એ ખરીદી શકો. આવી ક્રિપ્ટો તથા એનએફટીના સંયોજન દ્વારા એકઠા થતાં નાણાંની હેરાફેરી હવાલાથી આતંકવાદીઓ સુધી પણ પહોંચી શકે. કંઈ રીતે પહોંચે છે એ સમસ્ત પ્રક્રિયા અટપટી છે. કાયદાના સકંજામાં સહજતાથી એ આવતી નથી, છતાંય આપણી સરકારે ગયા વર્ષે એક ક્રિપ્ટો એકસચેન્જ દ્વારા રૂપિયા સાડાચાર કરોડના ગેરકાનૂની વ્યવહારને આંતર્યા હતા
છેલ્લાં એકાદ વર્ષમાં વિશ્ર્વભરમાં ૨૫ અબજ ડૉલરનો ધંધો એનએફટી માર્કેટમાં થયો છે. આ માર્કેટમાં ખાસ કરીને મોંઘાં ગણાતાં પેન્ટિંસના જ વધુ વેચાણ થયાં છે.એમાં એવરીડેઝ: ‘ધ ફર્સ્ટ ૫૦૦૦ ડેઝ’ નામનું ડિજિટલ પેન્ટિંગ વિક્રમસર્જક ૬૯.૩ મિલિયન ડૉલર (આશરે રૂપિયા પાંચ અબજ ૪૦ કરોડ)માં વેંચાયું છે. હોલીવૂડની જેમ આપણે ત્યાં પણ અમિતાભ બચ્ચનથી લઈને રજનીકાંત જેવા સુપરસ્ટાર એનએફટી દ્વારા એમની ‘ચીજ’ની રોકડી કરી રહ્યા છે. અમિતજીએ એમના સ્વરમાં રેકોર્ડ કરેલી એમના પિતા હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ કવિતાઓનું વેચાણ કર્યું છે.પિતાની કવિતા વત્તા ઓટોગ્રાફ કરેલાં પોતાની જાણીતી ફિલ્મ્સ પોસ્ટર્સનાં ડિજિટલ વેંચાણ દ્વારા અમિતજી રૂપિયા ૭ કરોડ ૧૭ લાખ કમાયા છે. રજનીકાંત અને સલમાન સુધ્ધાંએ આવાં એનએફટી સેલમાં ઝુકાવ્યું છે!

જો કે ક્રિપ્ટો કરન્સીની હાલત આજકાલ ડામાડોળ છે અને એનએફટીની લેતી-દેતી ક્રિપ્ટો સાથે સંકળાયેલી હોવાથી ૨૦૨૨-૨૩ વર્ષ દરમિયાન એનએફટીનાં વેચાણમાં ૪૨ ટકાની ‘પડતી’ નોંધાઈ છે.

આમ છતાં, આ ક્રિપ્ટોકરન્સી અને એનએફટીથી થતી કમાણી પહેલી નજરે ભલભલાને ચકિત અને ચલિત કરી દે એવી છે,પણ આર્થિક નિષ્ણાતોના મતે આ બધા ખેલ આખરે તો ખતરનાક જ છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…