પુરુષ

દારા પોચખાનાવાલા સર,વી વિલ મિસ યુ

પીઢ ખેલકૂદ પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર ૧૯૮૧માં મુંબઈમાં રમાયેલી એશિયાની પહેલવહેલી ડે/નાઇટ ક્રિકેટ મૅચના આયોજનના મુખ્ય સ્તંભ હતા

સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા

*૧૯૮૧ના મે મહિનામાં મુંબઈમાં રમાયેલી એશિયાની સૌપ્રથમ ડે/નાઇટ મૅચની ઐતિહાસિક ઝલક.

*ગયા અઠવાડિયે મુંબઈ ક્રિકેટની એક મૅચમાં અમ્પાયર્સે હાથ પર કાળી પટ્ટી પહેરીને દારા પોચખાનાવાલાને અંજલિ આપી હતી.

મુંબઈ ક્રિકેટે અને ‘મુંબઈ સમાચાર’ અખબારે દારા પોચખાનાવાલાના રૂપમાં એવી હસ્તી ગુમાવી છે જેમની ખોટ ક્યારેય નહીં પુરાય. લગભગ ચાર દાયકા દરમ્યાન સ્થાનિક મૅચો માટેના અમ્પાયર તથા યુવા ક્રિકેટરોના તેમ જ ઊભરતા અમ્પાયરોના માર્ગદર્શક, કોચ, સલાહકાર, શિક્ષક તેમ જ સ્થાનિક ક્રિકેટના માનદ વહીવટીકાર સહિત અનેક પ્રકારની ભૂમિકા ભજવનાર દારા સાહેબ ‘મુંબઈ સમાચાર’ના લાખો વાચકોને વર્ષો સુધી દરરોજ રમતગમતના અનેક પ્રકારના ન્યૂઝ-વ્યૂઝ પૂરા પાડતા હતા. વાચકો સુધી ખેલકૂદની ખબર પહોંચાડવાની સાથે તેઓ સહ-કર્મચારીઓના માત્ર રાહબર જ નહીં, સૌના લાડલા અને માર્ગસૂચક પણ હતા.

‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર દારા સાહેબે શુક્રવાર, ૧૬મી ઑગસ્ટે રાત્રે ૧૦.૩૦ વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા, પણ એ પહેલાં તેઓ મુંબઈની સ્થાનિક ક્રિકેટને અને ‘મુંબઈ સમાચાર’ના તમામ સહ-કર્મચારીઓને ક્રિકેટ સહિત ખેલકૂદના જ્ઞાનરૂપી અખૂટ ઑક્સિજન આપતા ગયા છે કે જે બદલ તેઓ સદા દરેકના દિલમાં રહેશે. તેઓ ૭૩ વર્ષના હતા. જેમ સુનીલ ગાવસકર, ચેતન ચૌહાણ, ગુંડપ્પા વિશ્ર્વનાથ, દિલીપ વેન્ગસરકર, યશપાલ શર્મા જેવા ખ્યાતનામ બૅટર્સ હરીફ બોલરના બૉલમાં ચોક્કો-છગ્ગો ફટકારી દેતા એમ દારા સાહેબ મિત્રોમાં અને સહ-કર્મચારીઓમાં પોતાના રમૂજી વિચારોની બાઉન્ડરી ફટકારી દેતા હતા. શાંત, વિનમ્ર અને સરળ સ્વભાવના દારા સાહેબ મેદાનની જેમ અખબારના કાર્યાલયમાં પણ શિસ્તપાલનના આગ્રહી હતા.

ભારતના ખ્યાતનામ ક્રિકેટરો દિલીપ વેન્ગસરકર અને રવિ શાસ્ત્રી સાથે તો દારા સાહેબને ખાસ મિત્રતા હતી જ, ૧૯૮૦ના દાયકાના યુવા ખેલાડીઓ સચિન તેન્ડુલકર, વિનોદ કાંબળી વગેરે માટે તેઓ અમ્પાયરના રૂપમાં શિક્ષક સમાન હતા. અમ્પાયરિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર દારા સાહેબ જેમ મેદાન પર ક્રિકેટરોને અમ્પાયરિંગ અને કોચિંગના નિયમોથી પરિચિત કરતા એમ ‘મુંબઈ સમાચાર’ના અસંખ્ય વાચકોને ક્રિકેટ, હૉકી, ફૂટબૉલ, બૅડમિન્ટન, ચેસ, ટેનિસ, ટેબલ ટેનિસ વગેરે અનેક રમતોના રસપ્રદ અને રોમાંચક સમાચારોથી વાકેફ કરતા હતા અને તમામને ખેલદિલીની ભાવના (સ્પોર્ટ્સમેન સ્પિરિટ) અપનાવવાનું શીખવતા હતા.

૧૯૮૩ની સાલ ભારતીય ક્રિકેટ માટે સૌથી ઐતિહાસિક કહેવાય, કારણકે એ વર્ષમાં ભારતે કપિલ દેવના સુકાનમાં વન-ડે ક્રિકેટના સર્વોપરી વેસ્ટ ઇન્ડિઝને વન-ડેના સિંહાસન પરથી ઊથલાવ્યું હતું. જોકે એ નવો ઇતિહાસ લખાયો એનાં બે વર્ષ પૂર્વે (૧૯૮૧માં) દારા સાહેબ અને અન્ય મહાનુભાવો તેમ જ સ્થાનિક ક્રિકેટરોના પ્રયાસોથી ડે ઍન્ડ નાઇટ (દિવસ-રાત્રિ) ક્રિકેટ મૅચનો મુંબઈની ધરતી પર આરંભ થયો હતો.

૧૯૮૧ની ૯મી મેએ મુંબઈની કે ભારતની જ નહીં, બલ્કે એશિયાની પહેલવહેલી ડે ઍન્ડ નાઇટ (દિવસ-રાત્રિ) ક્રિકેટ મૅચનું આયોજન મુંબઈમાં થયું હતું અને સૌપ્રથમ વાર કૃત્રિમ પ્રકાશના ઝગમગાટમાં રમાયેલી એ ઐતિહાસિક મૅચના આયોજનમાં મુખ્ય સ્તંભ બની રહેનાર દારા સાહેબની એ ભૂમિકાને ક્રિકેટ-નિષ્ણાતો તથા ક્રિકેટપ્રેમીઓ ભૂલ્યા નથી અને ક્યારેય ભૂલશે પણ નહીં. મરીન ડ્રાઇવ ખાતેના વિલસન કૉલેજ જિમખાનાના મેદાન પર આયોજક સંસ્થા (કાલબાદેવી વિસ્તારની આગેવાન ક્રિકેટ સંસ્થા, બ્લુ સ્ટાર ક્રિકેટ ક્લબ) અને દારા સાહેબની ફોર્ટ યંગસ્ટર્સ ક્લબની ટીમ વચ્ચે એ ઐતિહાસિક ડે/નાઇટ ક્રિકેટ મૅચ રમાઈ હતી. એ દિવસ પહેલાં ક્રિકેટજગતમાં ફક્ત ઑસ્ટ્રેલિયાના કેરી પૅકરની જ બોલબાલા હતી, કારણકે ૧૯૭૭માં તેમણે જ ડે/નાઇટ ક્રિકેટ
મૅચનો આરંભ કરાવ્યો હતો. બ્લુ સ્ટાર ક્લબના અગ્રણીઓ અને દારા સાહેબ તથા તેમના સાથીઓની ભારતીય ક્રિકેટની તવારીખમાં નવું પ્રકરણ લખાવતી નાઇટ ક્રિકેટના આયોજનમાં સિંહફાળો હતો જ, મેસર્સ હર્ષદ ઍન્ડ કંપનીના ઉપક્રમે એક હજાર વૉટની લગભગ ૨૨૦ ફ્લડ લાઇટોનો જે ઝગમગાટ મેદાન પર છવાયો હતો એ પણ દાયકાઓથી ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગમાં પ્રકાશમાન છે.

ભારતની મેન્સ ક્રિકેટના ભૂતપૂર્વ કૅપ્ટન નરી કૉન્ટ્રૅક્ટર તેમ જ મહિલા ક્રિકેટનાં ભૂતપૂર્વ સુકાની ડાયના એદલજીના શુભહસ્તે વિધિ કરાવાયા બાદ ફરી તેમનાં જ શુભહસ્તે એ ઐતિહાસિક મૅચનો આરંભ થયો હતો. ડાયના એદલજીએ નરી કૉન્ટ્રૅક્ટરને પહેલી ઓવર બોલિંગ કરી એ સાથે ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં નવું ચૅપ્ટર શરૂ થયું અને ત્યાર પછી સ્થાનિક સ્તરે વધુને વધુ ડે/નાઇટ મૅચો રમાતી ગઈ. આ કૉન્સેપ્ટની લોકપ્રિયતા ભારતમાં તેમ જ આડોશપાડોશના દેશોમાં વધતી ગઈ અને એ પ્રકારની મૅચો આંતરરાષ્ટ્રીય ક્રિકેટના પણ જાણે ચલણમાં આવી ગઈ હતી. ક્રિકેટના જગવિખ્યાત આંકડાશાસ્ત્રી આણંદજી ડોસા, મશહૂર કૉમેન્ટેટર સુરેશ સરૈયા, અમ્પાયર મામસા તેમ જ બીજા મહાનુભાવો પણ મુંબઈ સ્થિત પહેલવહેલી ડે/નાઇટ મૅચના પ્રસંગે ઉપસ્થિત હતા.

મુંબઈના મરાઠી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અખબારોએ જ નહીં, પણ દેશના અનેક ભાષાના દૈનિકો-સામયિકોએ દારા સાહેબ અને મિત્રોના એ ડે/નાઇટ ક્રિકેટના સફળ પ્રયાસને બિરદાવ્યો હતો અને ક્રિકેટપ્રેમીઓને નવો રોમાંચ પૂરો પાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ખુદ દારા પોચખાનાવાલાએ ‘રાત્રિ ક્રિકેટનું ભાવિ’ મથાળા સાથે અને પોતાની બાઇલાઇન (ડી. કે. પોચખાનાવાલા) સાથે પોતાના સુંદર તથા સકારાત્મક વિચારો સાથેનો સરળ શૈલીમાં મોટો લેખ ‘મુંબઈ સમાચાર’ના ‘રમત ગમત’ વિભાગમાં લખ્યો હતો. ‘ચિત્રલેખા’ સામયિકમાં ત્યારે તારક મહેતા લિખિત ‘દુનિયાને ઊંધા ચશ્મા’ નામની લોકપ્રિય કટારમાં પણ જેઠાલાલ, ટપુ (ટીપેન્દ્ર), ચંપકલાલ, મહેતાસાહેબ વગેરે પાત્રોને વણી લઈને મુંબઈ-સ્થિત એશિયાની સૌપ્રથમ ડે/નાઇટ ક્રિકેટ મૅચને લગતી બાબતોને સુંદર અને રમૂજી શૈલીમાં રજૂ કરવામાં આવી હતી.

દારા સાહેબના ખાસ મિત્ર અને ભારતના લેજન્ડરી ક્રિકેટર દિલીપ વેન્ગસરકર વર્ષો પહેલાં ‘મુંબઈ સમાચાર’ના કાર્યાલયમાં પધાર્યા હતા ત્યારે અભૂતપૂર્વ માહોલ હતો.

વેન્ગસરકરે દારા સાહેબના નિધનના સમાચાર સાંભળીને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તેમને અંજલિ આપવાની સાથે તેમની સાથેના ભૂતકાળના થોડા અનુભવોની વાત ‘મુંબઈ સમાચાર’ને કરી હતી. મુંબઈના તેમ જ દેશના અનેક યુવા ક્રિકેટરોના માર્ગદર્શક વેન્ગસરકરે ‘મુંબઈ સમાચાર’ને કહ્યું, ‘દારા સરે લાંબા સમય સુધી અમ્પાયરિંગ કર્યું હતું. ખાસ કરીને હૅરિસ શીલ્ડ અને ગાઇલ્સ શીલ્ડ સહિતની સ્પર્ધાઓમાંના તેમની સાથેના અનુભવો હું ક્યારેય નહીં ભૂલું. તેઓ બહુ સારા અમ્પાયર હતા. ખૂબ વિનમ્ર સ્વભાવના દારા સર જેવી વ્યક્તિ હવે મળવી મુશ્કેલ છે. હું મુંબઈ ક્રિકેટ અસોસિયેશન (એમસીએ)ના વહીવટમાં હતો ત્યારે તેમણે મને ઘણી મદદ કરી હતી. કંઈ પણ પ્રકારની અપેક્ષા વગર માનદ રીતે એમસીએને સેવા તેમણે આપી હતી.’

મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટર અને એમસીએ સાથે વર્ષોથી સંકળાયેલા મુંબઈના ચીફ સિલેક્ટર મિલિંદ રેગેએ દારા સાહેબને અંજલિ આપતા ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું, ‘તેઓ પરફેક્ટ જેન્ટલમૅન હતા. તેઓ પારસી સમુદાયના હતા એટલે નહીં, પરંતુ તેમની પ્રતિભા એક સજ્જન વ્યક્તિ તરીકેની હતી. શાંત અને વિનમ્ર સ્વભાવના દારા સર હંમેશાં મદદરૂપ બનતા અને તેઓ બહુ સારા અમ્પાયર પણ હતા. તેઓ નિયમોની બાબતમાં કડક હતા, પરંતુ મુક્ત મનથી આઇડિયાઝ આપવા માટે પણ જાણીતા હતા. હંમેશાં હસતો ચહેરો ધરાવતા દારા સર બહુ સારા ઑર્ગેનાઇઝર પણ હતા. મને તેમના માટે ખૂબ માન હતું અને રહેશે. ક્રિકેટ ક્ષેત્ર તેમના યોગદાનને સદા યાદ રાખશે.’

ભારતીય મહિલા ક્રિકેટનાં લેજન્ડ ડાયના એદલજીએ ‘મુંબઈ સમાચાર’ને કહ્યું, ‘દારા સર ઘણાં વર્ષો સુધી એમસીએની મૅનેજિંગ કમિટીમાં હતા અને તેમના કાર્યને સૌ કોઈ બિરદાવતા હતા. તેમના અવસાન વિશે જાણીને ખૂબ દુ:ખ થયું. ઈશ્ર્વર તેમના આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના.’

સુરતમાં રહેતા ફ્રીલાન્સ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ અને બીસીસીઆઇની પૅનલ પર રહી ચૂકેલા ફર્સ્ટ ક્લાસ સ્તરના અમ્પાયર તેમ જ અમ્પાયરિંગનો બે દાયકાનો બહોળો અનુભવ ધરાવતા કેકી દૂધવાલાએ ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું, ‘દારા સાહેબે મને એમસીસી (મૅરિલબૉન ક્રિકેટ ક્લબ)ના ક્રિકેટના કાયદાઓ પર આધારિત મારા અંગ્રેજી અને ગુજરાતી ભાષાના પુસ્તકો તૈયાર કરવામાં ઘણી મદદ કરી હતી. આ પુસ્તકોનું પ્રકાશન કરવા સંબંધિત સફળ સમારોહનું આયોજન કરવામાં પણ મને તેમણે ખૂબ મદદ કરી હતી જે હું કદી નહીં ભૂલું. તેમની મદદથી મેં તૈયાર કરેલી વન-ડે અને ટી-૨૦ ફૉર્મેટ પર આધારિત બીજી બે બુક હવે અંતિમ ચરણમાં છે અને થોડા સમયમાં એ બહાર પડશે. દારા સાહેબનું એ ઋણ કદી નહીં ભુલાય. ઈશ્ર્વર તેમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.’
વી વિલ મિસ યુ, દારા સર.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો