Fri May 29 2026

Logo

ઉત્તર પ્રદેશના હમીરપુરમાં નિર્માણાધીન બ્રિજ તૂટતા પાંચ શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઑપરેશન શરૂ

14 hours ago
Author: Mumbai Samachar Team
Article Image


વધુ એક બ્રિજ ધડામ

બ્રિજ તૂટવાની ઘટનામાં શ્રમિકોના મોતનો આંકડો વધવાની શક્યતા

હમીરપુરઃ ઉત્તર પ્રદેશા હમીરપુરમાં ભારે હવા અને તોફાનની સ્થિતિમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડતા નાસભાગ મચી હતી. બ્રિજ પડવાની આ ઘટનામાં કુલ પાંચ શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે અનેક મજૂર કાટમાળમાં દટાયા હોવાની વિગત સામે આવી રહી છે. આ બ્રિજ લાલપુરના મોરાકંદર અને કુરારાના મવાઈજાર વિસ્તારને જોડવા માટે તૈયાર થઈ રહ્યો હતો. ઘટના સામે આવતા રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિકોએ શ્રમિકોનો બાહર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી.

વહેલી સવારે બની ઘટના
આ સમગ્ર ઘટના શુક્રવારની વહેલી સવારે બની હોવાનું સામે આવ્યું છે. હમીરપુરની બેતવા નદી પર તૈયાર થઈ રહેલો બ્રિજ અચાનક તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. વહેલી સવારથી બ્રિજના કામ માટે શ્રમિકો અહીંયા એકઠા થયા હતા. બ્રિજ બનાવવાની કામગીરી ચાલું હતી એ સમયે અચાનક આ ઘટના બની હતી. એવું જાણવા મળ્યું છે કે, આ ઘટના ભારે વરસાદ અને તોફાનના કારણે બની છે. એવા આરોપ પર લગાવાઈ રહ્યા છે કે, બ્રિજ બની રહ્યો હતો એ સમયે કોઈ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. બ્રિજ તૂટવાની પરિસ્થિતિને ધ્યાને લેતા એવું લાગી રહ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. હાલમાં પોલીસ અને રેસ્ક્યૂ ટીમની મદદથી શ્રમિકોને બાહર કાઢવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે. ઈજાગ્રસ્ત શ્રમિકોને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેતું ખસેડવામાં આવ્યા છે. 

તપાસના આદેશ આપવામાં આવ્યા
થોડા સમય પહેલા બિહારના ભાગલપુરમાં પણ એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો. ગંગા નદી પર તૈયાર થયેલો વિક્રમશિલા બ્રીજનો એક ભાગ તૂટી જતા એ નદીમાં પડ્યો હતો. એ સમયે ત્યાં હાજર અધિકારીઓએ યુદ્ધના ધોરણે એક્શન લેતા ત્યાંથી લોકોને દૂર ખસેડી લેવામાં આવ્યા હતા.આ ઘટનામાં કોઈનો જીવ ગયો નથી કે કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. આ પહેલા જમ્મુ જિલ્લાના બંતલાબ વિસ્તારમાં નિર્માણાધીન બ્રિજ તૂટી ગયો હતો.

આ ઘટનામાં પણ અનેક શ્રમિકના મોત નીપજ્યા હતા, જ્યારે કેટલાક શ્રમિકોને ગંભીર ઈજા પહોંચી હતી. હમીરપુરમાં મશીનની મદદથી કાટમાળ દૂર કરવા માટેની કામગીરી ચાલું કરી દેવામાં આવી છે. આ ઘટનામાં જીવ ગુમાવનાર મોટાભાગના મજૂર બાંદા જિલ્લાના ચિલ્લા ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે વહીવટી તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, તપાસનો રિપોર્ટ સામે આવ્યા બાદ હકીકત જાણવા મળશે.