મહિલા અનામત બિલ પાસ થવા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
![Indian leaders celebrate the passage of the Women's Reservation Bill after 3 decades](https://bombaysamachar.com/wp-content/uploads/2023/09/Womens-Reservation-Bill.webp)
નવી દિલ્હીઃ સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલને મંજૂરી મળી ગઈ છે. નારી શક્તિ વંદન અધિનિયમ બિલ નીચલા અને પછી ઉપલા ગૃહમાં બહુમતી સાથે પસાર કરવામાં આવ્યા બાદ રાજ્યસભાની બહાર ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. મહિલા સાંસદોના ચહેરા પર ચમક જોવા મળી હતી અને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહની બહાર આવ્યા ત્યારે મહિલા સાંસદોની ખુશીની કોઈ સીમા નહોતી રહી.
મહિલા સાંસદોએ પહેલા પીએમને પુષ્પગુચ્છ આપ્યો હતો અને પછી સ્ટોલથી તેમનું સ્વાગત કર્યું હતું. મહિલા સાંસદોના હાથમાં પણ મીઠાઈ હતી. પીએમએ બધાને નમન કરીને અભિવાદન કર્યું હતું અને વિજયી મુદ્રા દર્શાવી હતી. મહિલા સાંસદોએ પીએમ મોદી સાથે ગ્રુપ ફોટો પણ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાને સમર્થન આપવા બદલ સાંસદોનો આભાર માન્યો હતો અને સંસદ દ્વારા મહિલા આરક્ષણ બિલને મંજૂરી આપવાને સોનેરી ક્ષણ ગણાવી હતી.
મહિલા અનામત બિલ પાસ થવાના અવસરે મોટી સંખ્યામાં મહિલા સાંસદોએ સંસદમાં મીઠાઈ વહેંચીને એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લાગ્યા હતા. મોદી હૈ તો મુમકીન હૈ જેવા નારા પણ ગુંજી રહ્યા હતા. આ અવસર પર તમન્ના ભાટિયા, ખુશ્બુ, દિવ્યા દત્તા, ઈશિતા ભટ્ટ અને બીજી ઘણી અભિનેત્રીઓ અને કલાકારો સંસદ ભવન પહોંચ્યા હતા. નારી શક્તિ વંદન એક્ટ પસાર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા સાંસદોને મળ્યા હતા.
મહિલા આરક્ષણ બિલ પાસ થવાની ઉજવણી માટે શુક્રવારે સવારે 10 વાગ્યે બીજેપી હેડક્વાર્ટર ખાતે પીએમ મોદીના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
મહિલા આરક્ષણ બિલ પસાર થયા પછી, પીએમએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, આપણા દેશની લોકશાહી યાત્રાની નિર્ણાયક ક્ષણ! 140 કરોડ ભારતીયોને અભિનંદન.
તેમણે નારી શક્તિ વંદન અધિનિયમ માટે મતદાન કરનારા તમામ રાજ્યસભા સાંસદોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આ પ્રકારનું સર્વસંમતિથી સમર્થન ખરેખર આનંદદાયક છે. સંસદમાં નારી શક્તિ વંદન અધિનિયમ પસાર થવાથી, અમે ભારતની મહિલાઓ માટે મજબૂત પ્રતિનિધિત્વ અને સશક્તિકરણનો યુગ શરૂ કરીએ છીએ. આ માત્ર કાયદો નથી, પરંતુ તે અસંખ્ય મહિલાઓને શ્રદ્ધાંજલિ છે જેમણે આપણા દેશનું નિર્માણ કર્યું છે. તેમના યોગદાનથી ભારત સમૃદ્ધ બન્યું છે.