સોનમ-મુસ્કાને કેમ કર્યું આવું અઘોરી કૃત્યઃ આ chilling murder caseપાછળનું સામાજિક ગણિત પણ સમજવા જેવું

છેલ્લા ત્રણ દિવસથી ચાલતા સોનમ રઘુવંશીના લોહિયાળ કારનામા વિશે વિચારી વિચારીને મગજને ચક્કર આવી જાય પણ સમજાતું નથી કે કોઈ વ્યક્તિ આવું કઈ રીતે કરી શકે? લગ્નના ગણતરીના દિવસો બાદ જ પતિ રાજા રઘુવંશીની ઠંડા કલેજે હત્યા કરાવનારી સોનમ રઘુવંશીને કાયદો જે સજા આપે તે પણ સમાજે ચિંતા કરવાની ચોક્કસ જરૂર છે. સોનમ પહેલા મેરઠની મુસ્કાને પ્રેમલગ્ન કર્યા અને પછી ડ્રગ્સની લતે ચડી, પ્રેમી સાથે મળી પતિનું ઢીમ ઢાળ્યું અને તેને પાણી ભરવાના ડ્રમમાં ભરી સિમેન્ટથી જડી દીધો.

…તો પ્રેમી સાથે લગ્ન કેમ ન કર્યા
સોનમ રઘુવંશીના કેસમાં તેનાં પ્રેમી તરીકે રાજ કુશાવહ નામના એક યુવાનનું નામ બહાર આવ્યું. દેખાવે સાવ જ સામાન્ય લાગતો રાજ સોનમના પિતાની ફેક્ટરીમાં કામ કરતો અને સોનમ સાથેનો તેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો. જોકે ક્યાંય એ વાતનો ઉલ્લેખ નથી કે જો સોનમ રાજને પરણવા માગતી હતી તો રાજા સાથે લગ્ન શા માટે કર્યા? આ મામલે પરિવારનો પણ કોઈ મત ક્યાંય દેખાયો નથી. રાજા સાથે તેનાં લગ્ન પરિવારે નક્કી કર્યા હતા અને બન્ને પરિવારે રાજીખુશીથી લગ્ન કર્યાનું બહાર આવે છે. સોનમ પરિવારને કહી ન શકી કે તે આ લગ્ન નથી ઈચ્છતી કે પછી પરિવારે તેની વાત ન માની તેને પરણાવી દીધી, તે વાતની કોઈ સ્પષ્ટતા હજુ સુધી નથી.
રાજાના અને પરિવારે શું કહ્યું
રાજાનો પરિવાર સોનમનું નામ બહાર આવતા અચંબામાં જ મૂકાઈ ગયો, મતલબ કે તેમને એવી ભનક ન લાગી કે સોનમ આ લગ્નથી ખુશ નથી. હનીમૂનમાં જવાના સોનમે અચાનક બનાવેલા પ્લાનથી તેઓ અને રાજા થોડા નાખુશ હતા, પરંતુ નવી નવેલી દુલ્હન હનીમૂન માટે ક્યાંક જવા જીદ કરે તે કંઈ બહુ અજૂગતી કહેવાય તેવી વાત ન હતી, પણ જ્યારે સોનમનું નામ બહાર આવ્યું ત્યારે પરિવારે અલગ અલગ નિવેદન આપ્યાં. માતાએ કહ્યું કે સોનમ રાજા સાથે બહુ હળીમળી ન હતી તો જેઠાણીએ કહ્યું કે તે ચુપ ચુપ રહેતી હતી તો રાજાના ભાઈએ કહ્યું કે સોનમ આવું કરી શકે તે માન્યામાં આવતું નથી. સોનમનો પરિવાર પણ માનવા તૈયાર નથી કે દીકરી આટલી પિશાચી બની, પતિને આ રીતે મારી નાખી શકે.
બન્ને પરિવારો સોનમનું મન કેમ કળી ન શક્યા?
દીકરીને ઉછેરીને મોટી કરી તે માતા-પિતા, ભાઈ સોનમના મનમાં શું હતું તે જાણવા માટે આટલા નિષ્ફળ કેમ ગયા તે સમજાતું નથી. રાજ અને રાજાની તુલના કરીએ તો ચોક્કસ પરિવારે દીકરી માટે સારું પાત્ર શોધ્યું હતું. રાજાનો ઈન્દોરમાં ટ્રાન્સપોર્ટનો સારો બિઝનેસ હતો અને દેખાવ, પરિવારમાં રાજ કરતા રાજા ચડિયાતો હતો, પણ દીકરીનું જો મન બીજે ક્યાંક હોય તો પરિવારને ખબર હોવી જોઈએ અને તે કેમ ન પડી તે સવાલ હજુ વણઉકેલ્યો જ છે. આજકાલ સગાઈ થાય કે તરત જ યુવક-યુવતીનું મળવાનું, ફોન કરવાનું આજકાલ તો વીડિયોકોલ મેસેજ કરવાનું આમ બની ગયું છે. આ સંબંધ નક્કી થયો ત્યારબાદ ક્યારેય રાજા કે પરિવારને ન લાગ્યું કે સોનમ આ સંબંધથી ખુશ નથી. અરેન્જ્ડ મેરેજમાં પણ બે યુવાન હૈયાઓ મળે ત્યારે જે ઉમળકો કે ઈમોશનલ અટેચમેન્ટ તો હોય જ.

સોનમને આવું જ કેમ સૂઝ્યું…
એકવાર માની લઈએ કે સોનમે પરિવારની ઈચ્છા સામે ઝૂકી જવું પડ્યું તો પણ લગ્નના ત્રણ જ દિવસમાં પતિની હત્યાનું કાવતરું બનાવવાનું કોઈ યુવતીને કઈ રીતે સૂઝે? સોનમ પિતાની ફેકટરીમાં અકાઉન્ટ સહિતના કામકાજ સંભાળતી હતી એટલે અબુધ તો ન હતી જ. એક તો રાજા સાથે લગ્ન ન કરતા જીદ પકડી રાજને પરણી શકી હોત, લગ્ન થયા બાદ પણ રાજાથી છૂટી થઈ શકી હોત. સોનમના કેસમાં તેણે પૈસા માટે કાવતરુ ઘડ્યાનું લાગતું નથી. સોનમને એટલી તો ખબર હશે જ કે જો પકડાઈ તો જીવન જેલમાં જશે. તો પછી આ પ્રકારે મતિભ્રષ્ટ કઈ રીતે થઈ તે સમજવા માટે તેના બચપણથી લઈને ઉછેર સુધીની માહિતી જોઈએ, તેનાં માતા-પિતાના સ્પષ્ટ નિવેદનો જોઈએ અને સમગ્ર ઘટનામાં સોનમ કઈ વાતે મુંઝાતી હતી કે આવો ભયાનક રસ્તો પકડવા કેમ મજબૂર થઈ તે જાણવું જરૂરી છે.

મુસ્કાને તો પ્રેમલગ્ન કર્યા હતા પણ…
સોનમ જેટલો જ હચમચાવી દેનારો કેસ ઉત્તર પ્રદેશના મેરઠની મુસ્કાનનો હતો. સૌરભ નામના યુવાન સાથે પ્રેમલગ્ન થયા હતા અને છ વર્ષની દીકરીની માતા પણ બની. લગ્નના આટલા વર્ષોમાં એક સારું જીવન જીવવા શું જોઈએ, કેટલા વીસે સો થાય તે તેને ખબર હતી. પતિ સૌરભ બધી રીતે યોગ્ય હતો જ્યારે પ્રેમી સાહિલ શુક્લા દેખાવે અલગારી, વિચિત્ર અને ડ્રગ્સનો એડિક્ટ હતો. પતિને પત્નીના આવા કરતૂતોની ભનક લાગી હતી અને છુટ્ટા થવા સુધી પણ વાત પહોંચી હતી, પણ પછી સમાધાન થયું ને બન્ને સાથે રહેવા લાગ્યા. પતિ બહારગામ ગયો ને મુસ્કાન ફરી પ્રેમના નામે ખોટે રવાડે ચડી. ઈચ્છતી હોત તો પતિથી અલગ થઈ જાત, પણ ના, તેણે પણ અજીબોગરીબ માર્ગ અપનાવ્યો. પતિ વિદેશથી પાછો આવ્યો ત્યારે તેને મારી નાખ્યો ને પછી ઘરની બહાર પડેલા ડ્રમમાં લાશ મૂકી સિમેન્ટ ભરી દીધી. પોતે હિમાચલ ફરવા નીકળી ગઈ અને ત્યાંથી પરિવાર સાથે વાત પણ કરતી. થોડા દિવસ પછી પોતે જ આવી અને માતા-પિતાને વાત કરી. માતા-પિતાએ સાચો રસ્તો અપનાવ્યો અને તેને પોલીસને હવાલે કરી.
લગ્નો કરતા પ્રેમસંબંધોને રંગીન બતાવાય છે…
ફિલ્મો હોય, ટીવી સિરિયલ હોય કે શેરોશાયરી હોય કે પછી મોબાઈલમાં ફોરવર્ડ થતા ચિપ જોક્સ હોય. પત્ની કરતા પ્રેમિકાને વધારે રોમાન્ટિક અને લલચામણી બાતવાય છે. લગ્નબાહ્ય સંબંધો કે લગ્ન પહેલાના સ્ત્રી-પુરુષોના સંબંધોને લોભામણા અને કામણગારા બતાવાય છે અને લગ્નજીવન માત્ર એક જવાબદારી કે બોજ હોય તેવું કેટલુંય કન્ટેન્ટ તમને સોશિયલ મીડિયા સહિત દરેક જગ્યાએ મળી રહેશે. આને લીધે ભલે હત્યાઓ જેવા ગંભીર ગુનાઓ ન થતા હોય પણ લગ્નજીવનમાં છળ સાવ સામાન્ય બની ગયું છે. ફેમિલી કોર્ટ બાહર આવા સેંકડો કપલ તમને મળી જશે જેમાં સંબંધોમાં અવિશ્વાસ એટલો વધી ગયો હોય કે સાથે રહેવાનું શક્ય જ ન બને.
સમાજ ક્યાં ખોટો પડે છે…
સોનમ કે મુસ્કાનના કેસને અપવાદ ગણીએ તો પણ આપણે સ્ત્રીપુરુષોના સંબંધો મામલે હજુ હતા ત્યાં ના ત્યાં જ છીએ. ઈન્ટરનવેટ અને ગ્લોબલાઈઝેશન બાદ સંબંધોની વ્યખ્યામાં ખૂબ જ બદલાવ આવ્યો છે. ઘરમાં જો દાદી અને પૌત્રી હોય કે દાદા અને પૌત્ર હોય તો બન્નેના વિચારો પરથી આ સમજી શકાશે. પ્રેમ એકવાર નહીં અનેકવાર થાય છે અને લગ્ન પણ હવે જન્મોજનમનો સંબંધ છે અને નિભાવ્યે જ છૂટકો જોવી વાત રહી નથી. સમાજે યુવાનોને પ્રેમ કરવા દેવો પડશે, મનમરજીથી લગ્ન કરવા દેવા પડશે, છૂટા પડવા માગે તો પણ મંજૂરી આપવી પડશે. કારણ કે ન ગમતા સંબંધોનો ભાર વેંઢીને જીવન કાઢી નાખવામાં આજની પેઢી માનતી નથી. ભારતીય સમાજવ્યવસ્થામાં ભલે આ બંધબેસતું નથી, પણ સમજ વિનાની આધુનિકતાની આ દેન છે, તે સ્વીકારવી જ રહી.
પ્રેમ અને ગુનાખોરીના હજારો કેસ
સોનમ કે મુસ્કાને જે કર્યું તે દેશ માટે નવું નથી, આવા ઘણા સનસનીખેજ ગુનાઓ દેશમાં બન્યા છે, જેમાં હત્યા કે સામૂહિક હત્યા પાછળ પ્રેમસંબંધો જવાબદાર હોય .૨૦૨૨ના NCRBના અહેવાલ અનુસાર દેશમાં જે હત્યાઓ થાય છે, તેમાં ત્રીજા ક્રમાંકે થતી હત્યાઓ પાછળનું કારણ પ્રેમસંબંધ હોય છે. આ સાથે આત્મહત્યાઓમાં પણ પ્રેમ મુખ્યત્વે કારણભૂત છે.
પ્રેમ હત્યાનું કારણ હોય એવા કિસ્સા ૨૦૧૦-૧૪માં ૭થી ૮ ટકા હતા. એ પ્રમાણ ૨૦૧૬-૨૦માં વધીને ૧૦થી ૧૧ ટકા થયું હતું અને હાલમાં તો વધી ગયું હશે તેમ લાગે છે. પ્રેમિકાને ભરબજારે ચાકુના 16 ઘા ઝિંકવા કે પ્રેમિકાના 35 ટૂકડા કરી તેને ફ્રીજમાં મૂકવા કે કુકરમા બાફવા જેવી વરવી ઘટનાઓ બને ત્યારે છાપાઓમાં ચમકે છે, પરંતુ સંબંધોમાં ક્રુરતા અને રાક્ષસીપણું રોજ જોવા મળે છે.
આપણ વાંચો: આંતરધર્મીય લગ્ન બદલ કોઈને જેલમાં ન રાખી શકાય; ‘લવ જેહાદ’ની ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સોનમ કે મુસ્કાનના કેસ એટલા માટે આટલા હાઈપ થાય છે કે અહીં ગુનેગાર સ્ત્રી એટલે કે પત્ની છે. બાકી દહેજથી માંડી પરસ્ત્રી સાથેના સંબંધો માટે સ્ત્રીઓની બલિ ચડાવનારા પુરુષો અને સાસરાપક્ષની કમી નથી. પણ આવા કેસમાં ગુનેગાર સ્ત્રી કે પુરુષ છે તે મહત્વનું નથી, પરંતુ આટલું કાવતરાખોર, લાગણીશૂન્ય થવું કોઈ વ્યક્તિ માટે કેમ શક્ય બને તે પણ મનોવૈજ્ઞાનિક અભ્યાસ માગી લે તેવી વાત છે. આ સાથે તેને કાયદાનો કોઈ ડર નથી, સમાજનો કોઈ ડર કે શરમ નથી. તે સામાપક્ષના નહીં તો પોતાના પરિવાર, સંતાનોનો પણ વિચાર કરતા નથી. આ બધા સવાલો ચોક્કસ જવાબ માગી રહ્યા છે.
એ વાત ખરી કે સંબંધોનો આવો કરૂણ અને ચોંકાવનારો અંજામ આવે તેવાં કેસ ઓછા જ બને છે, બાકી આજે પણ જીવનના સુખદુખમાં સાથે ચાલતા દંપતીઓ દરેક ઘરમાં છે. આથી લગ્નસંબંધ કે પ્રેમસંબંધ સામે નકારાત્મક બોલવાનો કે પશ્નાર્થ મૂકવાનો અર્થ નથી, પણ સંબંધોની ખરી સમજ અને હા સાથે કાયદાની એટલી સમજ અને ધાક બન્ને હોવી જોઈએ કે કોઈ સોનમ આ રીતે એક પરિવાર પાસેથી તેનો રાજા ન છીનવી લે.