એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ કેમ આવ્યા ચર્ચામાં? | મુંબઈ સમાચાર

એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલ કેમ આવ્યા ચર્ચામાં?

નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બંને જૂથો ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) સમક્ષ પોતપોતાના વિચારો રજૂ કરવાની તૈયારીમાં વ્યસ્ત છે, ત્યારે અજિત પવાર કેમ્પના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રફુલ્લ પટેલ અને એનસીપીના વડા શરદ પવાર બંનેના એક ફોટોગ્રાફે મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચા જગાવી છે.

નવા સંસદભવનમાં બંને નેતા એકબીજાને મળ્યા ત્યારે એકસાથે જોવા મળ્યા હતા. નવા ભવનમાં જોવા મળેલી તસવીરને લઈ રાજકીય નિષ્ણાતો પણ અલગ અલગ તર્ક વિતર્ક કરી રહ્યા છે. આ મુદ્દે શરદ પવારના જૂથના પ્રવક્તાએ શરદ પવારની ‘ઉદારતા’ ગણાવી હતી. અલબત્ત, એક બાજુ ભારતના ચૂંટણી પંચને માહિતી આપવામાં આવી હતી કે એનસીપી વિભાજિત છે અને બંને પક્ષોને 6 ઓક્ટોબરે તેમના કેસની સુનાવણી દરમિયાન તેમના સંબંધિત પક્ષો રજૂ કરવા માટે પંચ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

બંનેનો ફોટો શેર કરતા અજિત પવાર જૂથના સાંસદ પ્રફુલ્લ પટેલે X (અગાઉના ટવિટર) પર લખ્યું હતું કે નવા સંસદ ભવનમાં એક સુપર દિવસ રહ્યો. નવું ભવન ભવ્ય છે અને આ ક્ષણ શરદ પવાર સાહેબની સાથે શેર કરવી એ અમારા માટે વિશેષ છે.

ખરેખર એક યાદગાર દિવસ!

પ્રફુલ્લ પટેલની પોસ્ટ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શરદ પવાર જૂથના રાષ્ટ્રીય પ્રવક્તાએ કહ્યું હતું કે પાર્ટી (એનસીપી)ના સ્થાપક ભારતીય રાજકારણમાં એક વિશાળ કદ ધરાવે છે અને દરેક વ્યક્તિ તેમનું સન્માન કરે છે. પ્રફુલ્લ પટેલ સાથી સાંસદ હોવાથી અને નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે પવાર સાહેબ તેમની વિનંતી પર પ્રફુલ પટેલનો ફોટો ક્લિક કરાવવા તેમની સાથે ઊભા રહ્યા હતા. આ શરદ પવારની ઉદારતાનું પ્રતિક છે અને આ તેમની પરિપક્વતાની છતી કરે છે.

અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપીના બળવાખોર જૂથના નેતા છે. બળવાખોર જૂથે જુલાઈમાં એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના અને મહારાષ્ટ્રની ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સરકાર સાથે હાથ મિલાવ્યા હતા.

બળવાખોર છાવણીએ શરદ પવારના સ્થાને અજિત પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા અને એનસીપીએ ચૂંટણી પંચ સમક્ષ નામ અને પ્રતીક અંગે દાવો કર્યો હતો.

સંબંધિત લેખો

Back to top button